Gujarat

બગોદરા-તારાપૂર 6 લેન થયેલા માર્ગનું લોકાર્પણ

ગાંધીનગર : રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા 54 કિલોમીટર લાંબા બગોદરા-તારાપૂર-વાસદ સિક્સલેન રોડનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે દેશ અને દુનિયાના લોકો ઉદ્યોગ-વેપાર રોકાણો માટે ગુજરાત (Gujarat) પર પસંદગી ઉતારે છે તેના મૂળમાં રાજ્યની સુદ્રઢ કનેક્ટિવિટી છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગે આ બગોદરા-તારાપૂર-વાસદ ના સમગ્ર માર્ગને ૬ લેન કરવાનો પ્રોજેક્ટ બે પેકેજમાં હાથ ધરવાનો નિર્ણય કરીને તારાપૂર-વાસદ માર્ગની રૂ. ૧૦૦પ કરોડના ખર્ચે ૬ લેન કામગીરી ઓક્ટોબર-ર૦ર૧માં પૂર્ણ કરી દીધી હતી. મુખ્યમંત્રીએ આજે આ માર્ગના પેકેજ-૧ ની રૂ. ૬૪૯ કરોડના ખર્ચે પૂર્ણ થયેલી બગોદરા થી તારાપૂરના પ૪ કિલોમીટર માર્ગની ૬ લેન કામગીરીનું લોકાર્પણ સંપન્ન કર્યુ હતું.

પટેલે કહ્યું હતું કે, ગ્રામિણ ક્ષેત્રોને પણ પાકા રસ્તાની સુવિધા આપવા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં ૧૩૭૦૦ કિલોમીટરના ગ્રામ માર્ગોના રૂ. ૪૦૮૬ કરોડના કામો બે દાયકામાં પૂર્ણ કર્યા છે. રાજકોટ હાઇવે ૬ લેન થઈ રહ્યો છે, સરખેજ-ગાંધીનગર હાઇવે ૬ લેન બનવાની તૈયારીમાં છે અને ગામડાઓને પણ વધુમાં વધુ રોડ કનેક્ટિવિટીથી જોડવામાં આવી રહ્યાં છે. આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે. બગોદરાથી તારાપુર ૫૪ કિલોમીટરના છ માર્ગીય રસ્તાનું લોકાર્પણ થકી ગુજરાતના વિકાસની હરણફાળનું વધુ એક ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વાસદથી તારાપુર ૪૭ કિલોમીટર અને તારાપુરથી બગોદરા ૫૪ કિલોમીટર એમ બે ભાગમાં કુલ ૧૦૧ કિલોમીટરનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ રસ્તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના લાખો નાગરિકોને અવરજવર માટે એક સેતુરૂપી સાબિત થવાનો છે.

રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટીવિટીને સુદ્રઢ કરવાની નેમ સાથે માર્ગ અને મકાન મંત્રીએ કે, જણાવ્યું હતું કે આવનારા સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે વિખુટા પડી જતા હોય તેવા ગામોમાં કોઝ-વે વિયર, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડામરનો રસ્તો ન હોય તેવા ગામોમાં આઝાદી બાદ પ્રથમવાર પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગના સચિવ વસાવાએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ સંદિપ વસાવાએ કહયું હતું કે ગુજરાત તેમજ કચ્છને જોડતો આ છ માર્ગીય રસ્તો પરિવહનને સરળ બનાવશે. રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૪ અને ૬ લેન કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે, આમ સમગ્ર રાજ્યના અંતરિયાળ વિસ્તારને પરિવહન થકી જોડવાનું કામ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બગોદરા – તારાપુર છ માર્ગીય રસ્તો સૌરાષ્ટ્ર ઝોનને અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતા સૌથી ટૂંકા છ માર્ગીય રસ્તાનો અનુભાગ છે. આ રસ્તા ઉપર ત્રણ મોટા પુલ, એક રેલવે ઓવરબ્રિજ, એક નાનો પુલ, ૧૪ અંડરપાસ, ૧૯ કિલોમીટર સર્વિસ રોડ, ૧ ટોલ પ્લાઝા તેમજ અત્યાધુનિક એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની સજ્જ આ છ માર્ગીય રસ્તો છે. તદુપરાંત ૩૨ બસ સ્ટેન્ડ, હાઇટેક કેમેરા સાથેની સર્વેલેન્સ સિસ્ટમ, સ્પીડ ડિસ્પ્લે સિસ્ટમ તેમજ વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે સિસ્ટમનો ઉપયોગ આ છ માર્ગીય રસ્તાઓ પર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top