Business

ખુશખબર: હવે SVPI અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના શિયાળુ સમયપત્રકમાં નવા સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. હવે SVPIA થી ‘ગોલ્ડન સિટી’ જેસલમેર (Jaisalmer), મનોહર શહેર દિવ (Diu), ઐતિહાસિક શહેર આગ્રા (Agra) અને પોર્ટ બ્લેરના (Port blair) અદભૂત ટાપુઓનો આરામદાયક પ્રવાસ કરી શકાય છે. નવુ સમયપત્રક 29મી ઑક્ટોબરથી લાગુ કરવામાં આવ્યું છે.

ઈન્ડિગો એરલાઈન્સે (Indigo Airlines) અમદાવાદ એરપોર્ટથી જેસલમેર અને દીવની દૈનિક સીધી ફ્લાઈટ માટે બુકિંગ શરૂ કરી દીધું છે. નવા સ્થળોનો ઉમેરો થવાથી પ્રવાસીઓને દિવના દરિયાકિનારાનો નજારો, ‘ગોલ્ડન સિટી’ જેસલમેરના આકર્ષણનો અનુભવ તેમજ મનમોહક ઐતિહાસિક સ્થળોની યાત્રાનો આનંદ આપશે. ઈન્ડિગોએ આગ્રામાં પણ ઓપરેશન્સ ચાલુ કર્યા છે જેથી પ્રવાસીઓ વિશ્વ વિખ્યાત અજાયબી તાજમહેલને નિહાળી શકશે. તો અલાયન્સ એર પણ ઈન્દોરને ગંતવ્ય સ્થાન તરીકે સમાવીને તેના શેડ્યૂલનો વિસ્તાર કરી રહી છે. જેમાં સાપ્તાહિકમાં ડાયરેક્ટ ત્રણ ફ્લાઈટ્સ ચાલે છે પરિણામે કનેક્ટીવીટી વધુ મજબૂત બનશે. સ્પાઈસજેટ દ્વારા પણ દૈનિક ચેન્નાઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે, જે અમદાવાદને આકર્ષક ટાપુ પોર્ટ બ્લેર સાથે જોડે છે. પ્રવાસીઓ તેનાથી પોર્ટ બ્લેરના મનોહર પામ-રેખિત દરિયાકિનારાનો અનુભવ કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય સ્થળોની વાત કરીએ તો, સ્પાઈસજેટે દુબઈની સીધી ફ્લાઈટ સપ્તાહિક સાતથી વધારીને નવ કરી છે. આ ઉન્નતિકરણ મુસાફરોને વાઇબ્રન્ટ મેટ્રોપોલીસનું આયોજન કરતી વેળાએ પસંદગીના વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવશે.
સિંગાપોર એરલાઈન્સે પણ તેના આવર્તનોમાં વધારો કર્યો છે. હવે અમદાવાદથી સિંગાપોર દૈનિક સીધી ફ્લાઇટ ઉપલબ્ધ છે. વળી 1લી ડિસેમ્બરથી મલેશિયા એરલાઇન્સ કુઆલાલંપુર માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે. મુસાફરોને દર અઠવાડિયે ચાર સીધી ફ્લાઇટની સુવિધા મળશે, જે દક્ષિણપૂર્વ એશિયાના ઘણા રોમાંચક સ્થળોની સહેલગાહ કરાવશે.

આ શિયાળાની સિઝનમાં SVPIA પ્રવાસીઓ માટે આગામી નૂતનવર્ષના તહેવારોની રજાઓનો આનંદ માણવાની તકો પૂરી પાડે છે. જેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી સાથે બિઝનેસ અને લેઝર બંને વર્ગના પ્રવાસીઓને લાભ થશે. હવે SVPIA 7 એરલાઇન્સ સાથે 39 સ્થાનિક અને 18 એરલાઇન્સ સાથે 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે કનેક્ટેડ છે.
*અસ્વીકરણ: એરલાઇન્સ ઓપરેશનલ જરૂરિયાતોને આધારે ઉપર જણાવ્યા મુજબ ગંતવ્યોમાં ફેરફાર કરી શકે છે. તેથી સમયપત્રકમાં ફેરફારની શક્યતા છે.

Most Popular

To Top