Gujarat

PM મોદી મંગળવારે સરદાર પટેલ જન્મજયંતી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પશે

ગાંધીનગર: (Gandhinagar) સરદાર પટેલ જયંતી નિમિત્તે આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue Of Unity) મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે.

  • સરદાર પટેલ જન્મજયંતી પ્રસંગે મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પશે
  • એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે 196 કરોડના વિવિધ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે
  • દર રવિવારે અમદાવાદ સુધી દોડનારી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપશે

વડાપ્રધાન આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આરંભ કાર્યક્રમનું આ પાંચમું સંસ્કરણ હશે, જેની આ વર્ષની થીમ છે, ‘હારનેસિંગ ધ પાવર ઓફ ડિસરપ્શન’.
આ સાથે જ પીએમ મોદી દ્વારા વિવિધ વિકાસકામો અને પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ 5 પ્રોજેક્ટ્સ, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણી (નેચર, વોટર એન્ડ કલ્ચર)ના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ. ૧૯૬ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરાશે. વડાપ્રધાન એકતાનગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે ચાલનારી હેરીટેજ ટ્રૈનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે.
રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કચ્છના લખપતના કિલ્લાની ૧૦૬ મીટર લાંબી પ્રતિકૃતિ રજુ કરવામાં આવી છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે પીએમ મોદી સમક્ષ યોજાનારી પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે પાંચ રાજ્યોના પોલીસ વિભાગ જોડાયા છે. પીએમ મોદી મોદી કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે પોતાનું પ્રેરક ઉદબોધન કરશે. ત્યારબાદ પોલીસજવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. તેના પશ્ચાદભૂમાં આ કિલ્લો હશે. લખપતનો કિલ્લો દેશના એ ચુનિંદા કિલ્લાઓ પૈકીનો એક છે, જ્યાં આજે પણ સ્વાતંત્ર્ય દિને અને પ્રજાસતાક દિને ધ્વજવંદન કરાય છે અને પાકિસ્તાન બોર્ડર સમીપે આવેલા આ ઐતિહાસિક સ્થળે શાનથી તિરંગો લહેરાય છે.

મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્મિત કમલમ્ પાર્કનું લોકાર્પણ કરશે
ગાંધીનગર: આવતીકાલે તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસરમાં નિર્માણ પામેલા કલમલ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાશે.
રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

કમલમ્ પાર્ક એ ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવા માટે વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ડ્રેગન ફ્રૂટ કે જે ‘કમલમ્’ તરીકે જાણીતું છે તેની નર્મદા નદીના ડાબા કિનારે સુંદર નર્સરી એકતાનગર ખાતે સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં ૯૧,૦૦૦ કમલમ છોડનું વિતરણ પણ કરાશે. નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની તેની નિકટતા તેને એકતા નગરના મુલાકાતીઓ માટે રસપ્રદ આકર્ષણ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શુષ્ક પ્રદેશમાં કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા અને તેના ફળદાયી પરિણામો પર વડાપ્રધાનની પહેલ છે. પ્રાયોગિક ધોરણે નર્મદા જિલ્લામાં આ ફળની રજૂઆત અને ભવિષ્યમાં તેના આશાસ્પદ પરિણામો પર પ્રકાશ પાડે છે.

Most Popular

To Top