Business

ગો ફર્સ્ટ બંધ થયાનો આ નવી એરલાઈનને થયો ફાયદો, ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરશે

નવી દિલ્હી: વાડિયા ગ્રૂપની એરલાઇન (Airline) GoFirst અચાનક બંધ થઈ જતાં ભારતનો (India) ઉડ્ડયન વ્યવસાય મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેની અસર ઉનાળાની રજાઓમાં સીટો અને વિમાની ભાડાની અછતના રૂપમાં જોવા મળી હતી. હવે દેશના અગ્રણી રોકાણકાર સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન્સ અકાસા (Akasa Airline) એર આ ખામીને પહોંચી વળવા માટે તૈયાર છે. આકાશ એર ટૂંક સમયમાં ભારતમાં તેની પહોંચ વધારવાની તૈયારી કરી રહી છે. જ્યારે તે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International Flights) પણ શરૂ કરવા જઈ રહી છે.

અકાસા એર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનય દુબેએ કહ્યું છે કે એરલાઇન પાસે મૂડીની કમી નથી. તેમની પાસે આ વર્ષના અંત સુધીમાં ટ્રિપલ ડિજિટમાં પ્લેન ઓર્ડર કરવા માટે પૂરતા પૈસા છે. તેમણે વધુમાં કહ્યું કે એરલાઈન્સમાં ઘણી ઝડપથી વૃદ્ધિ કરવાની ક્ષમતા છે. જ્યારે તેના કાફલામાં 20 એરક્રાફ્ટ હોય ત્યારે એરલાઇન આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી શકે છે. અકાસા એર આવતા મહિને તેની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ વિશે દુબેએ કહ્યું કે અમે અમારી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છીએ.

એરલાઈને 76 બોઈંગ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. એરલાઈન વિશે વાત કરતા દુબેએ કહ્યું કે મને નથી લાગતું કે આપણે થોડી ઝડપથી વૃદ્ધિ કરીશું કે થોડી ધીમી. અમને સ્થિરતા જોઈએ છે. અમે એક એરલાઇન બનાવવા માંગીએ છીએ જે સમયની કસોટી પર ખરી ઉતરે. મળતી માહિતી મુજબ અકાસા એરનો મે મહિનામાં સ્થાનિક બજાર હિસ્સો 4.8 ટકા હતો. તેમણે કહ્યું કે આગામી 20 વર્ષ “ઉડ્ડયન માટે સુવર્ણ યુગ” બનવા જઈ રહ્યા છે અને આગામી 15 થી 20 વર્ષમાં દેશમાં લગભગ 2,000 એરક્રાફ્ટ અને વધુ એરપોર્ટ હશે. દુબેએ કહ્યું કે અમે જે સ્તર પર છીએ તેના પર અમે ખૂબ જ ખુશ છીએ. મને લાગે છે કે ત્યાં ઘણી વૃદ્ધિ થઈ રહી છે.

Most Popular

To Top