Gujarat

ઇનામી નાબૂદી કાયદા હેઠળની જમીનો જંત્રીની 20 ટકા કિમતે નિયમબદ્ધ થશે

ગાંધીનગર : રાજ્યમાં ખેડૂતોની ઇનામ નાબૂદી કાયદાઓ (Prize Abolition Laws) હેઠળની જમીનોના કબજા હક નિયમબદ્ધ કરવા અંગે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ ખેડૂતોના (Farmers) આવા જમીનધારકોના (Landholders) કબજા હક પ્રવર્તમાન જંત્રીના (Jantri) 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સમક્ષ આ સંદર્ભમાં મળેલી રજૂઆતોમાં જણાવવામાં આવ્યું હતું કે આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના હકો મળી રહે અને મધ્યસ્થીઓ નાબૂદ થાય તે હેતુથી વિવિધ ઇનામ નાબૂદી કાયદાઓથી ચાકરી, નોકરી, સલામી ભરવા જેવા વિવિધ ઇનામો નાબૂદ કરવામાં આવ્યા અને આવી જમીનોના ખેડનારને તેમની જમીનો પરત્વેના સ્વતંત્ર માલિકી હકકો આપવામાં આવ્યા છે. આવા માલિકી હકો મેળવવા માટે સમયમર્યાદામાં કબજા હકની રકમ ભરવી અનિવાર્ય હતી. પરંતુ ખેડૂતો તેમની કાયદાની અજ્ઞાનતાના લીધે આ કબજા હકની રકમ નિયત સમયમર્યાદામાં ભરી શક્યા નથી. જેથી તેમને આ જમીનો પરના સંપૂર્ણ માલિકી હક મળ્યા ન હતા.

એટલું જ નહીં તેઓ લીટી નીચેના કબજેદાર તરીકે ચાલતા આવેલા છે. એટલું જ નહીં આવા લીટી નીચેના કબજેદારો દ્વારા જમીનો પરત્વે ઉત્તરોતર વેચાણો પણ કરવામાં આવ્યા છે. આવા જમીનધારકોના કબજાઓ નિયમિત થયા ન હોવાના લીધે આવા કબજેદારો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોથી વંચિત રહી જતાં હતા. તેમજ આવી જમીનોના તબદીલી અને હેતુફેરના સમયે ટાઇટલ ક્લિયરન્સના પ્રશ્નો બહોળી માત્રામાં ઉપસ્થિત થયેલા હતા.

મુખ્યમંત્રી સમક્ષ થયેલી રજૂઆતોના આધારે એવું પણ ધ્યાનમાં આવ્યું કે હાલના જમીનધારકોને આવી જમીનોના વિકાસ કાર્યો કરવામાં અવરોધ ઉપસ્થિત થતો હતો. જેના પગલે મુખ્યમંત્રીએ ખેડૂતોના આવા જમીનના કબજાઓ નિયમબદ્ધ કરી આપવાના જે દિશા નિર્દેશો આપેલા હતા. તેને પગલે હવે આવા કબજાઓ નિયમબદ્ધ થઈ શકશે. સરકારે લીધેલા નિર્ણય મુજબ અગાઉ આવા કબજાઓ જિલ્લા કલેકટર કક્ષાએ નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને હવે સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આમ આવી જમીનોના સ્વત્વાર્પણ, બિનખેતી પરવાનગી, વિકાસની કામગીરી પરત્વે ઉપસ્થિત થતા ટાઇટલ ક્લિયરના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા જિલ્લા કલેકટર કક્ષાએ સત્તા અપાઈ છે.

Most Popular

To Top