World

આ દેશની હાલત પણ શ્રીલંકા જેવી થઈ, લોકો રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા, સ્વીમીંગ પુલમાં ડૂબકી મારી

ઈરાક: તાજેતરમાં સમગ્ર વિશ્વએ જોયું કે શ્રીલંકામાં (Shrilanka) શું થયું? શ્રીલંકા આર્થિક અને રાજકીય રીતે બરબાદ થઈ ગયું. એવી જ હાલત ઈરાકની (Iraq) થઈ ગઈ છે. સોમવારે ઈરાકના શિયા ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રે રાજનીતિ છોડવાની જાહેરાત કરી ત્યાર બાદથી ઈરાકમાં અરાજકતા વ્યાપી ગઈ છે. સેનાએ (Army) કર્ફ્યુ (Curfew) લાદી દીધો છે. તેમ છતાં અલ-સદ્રના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. એટલું જ નહીં, તેમના સમર્થકો રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી જઈ સ્વિમિંગ પૂલમાં ડૂબકીઓ લગાવી હતી. મીટિંગ હોલમાં તોડફોડ મચાવી હતી. આ અરાજકતાના ફોટા પણ લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ
વાસ્તવમાં, શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રના રાજકારણ છોડવાના નિર્ણયથી તેમના સમર્થકોમાં રોષ ફેલાયો અને શેરીઓમાં ઉતરી આવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સદરના હજારો સમર્થકો રાષ્ટ્રપતિ ભવનમાં ધસી આવ્યા હતા. સુરક્ષાદળોને રોકવા માટે પહેલા ટીયરગેસના શેલ છોડ્યા અને ફાયરિંગ પણ કર્યું, પરંતુ ભીડ બેકાબુ બની હતી.

ઇરાકમાં સરકાર બનાવવા માટે તીવ્ર મડાગાંઠ
હકીકતમાં, ઇરાકમાં છેલ્લા દસ મહિનાથી કાયમી વડા પ્રધાન નથી. કેબિનેટ નથી અને સરકાર નથી. જેના કારણે રાજકીય અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઇરાકની સરકારી મડાગાંઠ વધુ તીવ્ર બની જ્યારે મૌલવી મુક્તદા અલ-સદ્રની પાર્ટીએ ગયા ઓક્ટોબરમાં સૌથી વધુ બેઠકો જીતી હતી પરંતુ બહુમતી સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. વાત ત્યારે વણસી જ્યારે મુક્તા અલ સદ્રએ સર્વસંમતિ સરકાર બનાવવા માટે ઈરાન સમર્થિત શિયા હરીફો સાથે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો હતો.પછી ધીમે ધીમે આ મડાગાંઠ વધતી રહી. અલ-સદ્રે દાયકાઓના સંઘર્ષ અને પ્રતિબંધોને દૂર કરવા અને સાંપ્રદાયિક સંઘર્ષ, પ્રચંડ ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે ઇરાકમાં તેના સમર્થકો સાથે આંદોલન કર્યું છે. આટલું જ નહીં અમેરિકા અને ઈરાનના પ્રભાવનો વિરોધ કરીને તેમણે દેશમાં વ્યાપક સમર્થન મેળવ્યું છે.

ચૂંટણી યોજવાની અને સંસદ ભંગ કરવાની માંગ
હાલમાં, તેઓ હવે વહેલી ચૂંટણી અને સંસદ ભંગ કરવાની માંગ કરી રહ્યા હતા .તેણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું કે હું મારા અંતિમ મિશનની જાહેરાત કરું છું. તેમ છતાં તેમણે તેમની ઓફિસો બંધ કરવા અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓ ખુલ્લી રહેશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અલ-સદ્રના સમર્થકોએ જુલાઈમાં સંસદમાં તેમને સરકાર બનાવવાથી રોકવા માટે પ્રદર્શન કર્યું હતું.હાલ તો આ વખતે પણ સદરના સમર્થકોએ રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવ કર્યો હતો.સુરક્ષાદળોને રોકવા માટે પહેલા ટીયર ગેસના શેલ છોડ્યા અને ફાયરિંગ પણ કર્યું.કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ઘણા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

Most Popular

To Top