SURAT

આર્સેલર મિત્તલ કંપનીના લીધે હજીરા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા

સુરત(Surat) : આખાય રાજ્યમાં વરસાદ (Rain) જામ્યો છે, ત્યારે કેટલાંક ઠેકાણે દબાણ અને નિયમ વિરુદ્ધ બાંધકામોના લીધે પાણી ભરાઈ જવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. આવું જ કંઈક હજીરા (Hazira) ગામમાં બન્યું છે. અહીંના ગુંદરડી ફળિયામાં લોકોના ઘરોમાં બેથી અઢી ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયા છે. ગ્રામવાસીઓનો આક્ષેપ છે કે આર્સેલ મિત્તલ એન્ડ નિપ્પોન કંપનીના (AMNS) લીધે તેઓના ઘરોમાં વરસાદી પાણી (Rain Water) ભરાયા છે. આજે બુધવારે સવારે જ્યારે લોકો ઉઠ્યા ત્યારે તેઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. હાલમાં ગ્રામવાસી અને સ્થાનિક આગેવાનો તલાટી, કલેક્ટરને આ મામલે ફરિયાદ કરવા દોડ્યા છે.

સુરત શહેર જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયાથી સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આવી જ સમસ્યા હજીરા ગામના ગુંદરડી ફળીયામાં પણ જોવા મળી છે. આજે બુધવારે સવારે અહીંના 15થી 20 જેટલાં ઘરોમાં બેથી અઢી ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા ગ્રામવાસીઓ હેરાન થઈ ગયા હતા. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ હતી. જાણે પૂર આવી ગયું હોય તેવી સ્થિતિ ગ્રામવાસીઓની થઈ હતી. ગ્રામવાસીઓનો આક્ષેપ છે કે આ બધું પાણી આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન કંપનીના લીધે તેમના ઘરોમાં આવી રહ્યું છે.

સ્થાનિક આગેવાન દિપક પટેલે કહ્યું કે, હજીરા ગામના ગુંદરડી ફળિયાની ચારેતરફ આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન કંપની દ્વારા સ્ટીલ પ્લાન્ટનું બાંધકામ કરી દેવાયું છે. કંપની દ્વારા તેમના રસ્તા ગુંદરડી ફળિયાની સરખામણીએ ચારથી પાંચ ઊંચા રાખ્યા છે. પ્લાન્ટના રસ્તા જમીનથી 4થી 5 ફૂટ ઊંચા હોવાના લીધે બાજુમાં આવેલા નીચાણવાળા ગુંદરડી ફળિયામાં પાણીનો ભરાવો થાય છે. 5 વર્ષ પહેલાં કંપનીએ ગુંદરડી ફળિયાની આસપાસ સ્ટીલ પ્લાન્ટનું બાંધકામ કર્યું ત્યારથી આ સમસ્યા ઉભી થઈ છે. અનેકોવાર કંપનીને રજૂઆત કરવામાં આવી પરંતુ તેઓ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી રહ્યાં નથી. જ્યારે પાણી ભરાય ત્યારે પંપથી પાણી કાઢી આપે છે.

આજે ફરી એકવાર ગુંદરડી ફળિયાના 15થી 20 ઘરોમાં પાણી ભરાયા છે. તેથી પંચાયતના તલાટી, કલેક્ટર, જીપીસીબી સહિત તમામ જવાબદાર કચેરી અને અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવા જઈ રહ્યાં છે. કંપની પોતાના વિકાસ માટે ગ્રામજનોને હેરાન કરે તે ચલાવી લેવાય નહીં તેમ દિપક પટેલે ઉમેર્યું હતું.

Most Popular

To Top