Comments

પ્રજા અને પોલીસ બન્નેને કાયદાના તંત્ર પર ભરોસો નથી?

શાંત અને સલામત ગણાતા ગુજરાતમાં ધોળે દિવસે, જાહેર જગ્યાઓ પર હત્યાઓનો સિલસિલો વધતો જ જાય છે. પ્રેમી સાથે પરણી ગયેલી સગી બહેનને ભાઇ ચપ્પાના ઘા મારી દે છે. ગુસ્સે થયેલો બાપ દીકરા-પત્નીને ધારિયાના ઘા મારી દે છે. પ્રેમી અને પ્રેમિકા ભેગાં મળીને પતિને મોતને ઘાટ ઉતારી દે છે. બજારમાં નાની બોલાચાલીમાં ગોળીબાર થાય છે. અદાવત રાખીને ટોળું તૂટી પડે છે અને માણસને મારી નાખે છે. એકાદ કે આકસ્મિક નહીં રોજ સવાર પડે ને બે ત્રણ જાહેર હત્યાના કેસ બને છે. બધે જ સી.સી.ટી.વી. કેમેરા લાગેલા છે. લોકો વિડિયો બનાવી લે છે. તે જાણવા છતાં હત્યારા અટકતા નથી.

સમાજમાં સહનશીલતા ઘટતી જાય છે. ઉગ્રતા, ગુસ્સો વધતા જાય છે. ક્ષણવારમાં કોઇનો જીવ લઇ લેવો રમત વાત થઇ ગઇ છે! આ તમામ બાબતો સમાજશાસ્ત્રીઓ માનસશાસ્ત્રીઓ માટે ઊંડા અને વ્યાપક અભ્યાસનો વિષય છે. આવી જઘન્ય હત્યાઓ વધી રહી છે તેનાં અનેક કારણ છે પણ એક કારણ આમાં એ પણ છે કે લોકોને કાયદાનો ડર નથી અને ‘જાતે જ ન્યાય કરી દેવાની, ગુનેગારને સજા આપી દેવાની પ્રબળ વૃત્તિ વધતી જાય છે! ‘સજા થશે તો ભોગવી લઇશું પણ આને તો પૂરો જ કરવો છે! થી માંડીને ‘કાયદો તો કયારે સજા કરે! ત્યાં સુધી રાહ થોડી જોવાય?’ આવી તકલાદી માનસિકતા વધતી જાય છે. સામાજિક ધાર્મિક કારણોસર વધતી હત્યાઓ પ્રજા કાયદો હાથમાં લે છે. તે બતાવે છે લોકશાહી બંધારણ દ્વારા સૌને સમાન તક અપાઇ છે તે સમાનતા અને સ્વતંત્રતા જ ઘણાને પસંદ નથી. માટે ‘કોર્ટ તો આ ગુનો જ નહીં ગણે તો સજા શું કરશે?’ની વિચારધારાથી પ્રેરાઇ વ્યકિત પોતે જ કાયદો હાથમાં લે છે. પોતે માની લીધેલા ગુનેગારને સજા કરે છે!

કાયદાનો ડર અને કાયદાના તંત્રમાં વિશ્વાસ પ્રજા ગુમાવતી જાય છે. કારણ કે છેલ્લા વર્ષમાં આપણી સરકાર અને કાયદો વ્યવસ્થાના એક અંગ એવા પોલીસ તંત્રે પણ ગુનેગારને જાતે જ સજા કરવાનું શરૂ કર્યું છે. આપણું અપરિપકવ મિડિયા ગૌરવભેર જાહેર કરે છે આ સરકારે આટલા ‘એન્કાઉન્ટર’ કર્યા! ફલાણા ઇન્સ્પેકટર ‘એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ’ છે! આપણને પ્રશ્ન થાય કે કોઇ માણસ ‘એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ’ કેવી રીતે હોઇ શકે! આ ઇન્સ્પેકટર હશે ત્યારે જ ગુનેગાર ભાગવાનો પ્રયત્ન કરશે. પોલીસના હથિયાર છીનવી લેશે! પોલીસ પર હુમલો કરશે અને સામસામા ગોળીબારમાં માર્યા જશે!’ આવું બની જ કેવી રીતે શકે?

ખેર! એ જે હોય તે પણ ચેનલો અગ્રણી વકતાઓ, લેખકો આ એન્કાઉન્ટરને એટલે કે કોર્ટમાં દાખલા-દલીલ-પુરાવા દ્વારા આરોપ સાબિત કરવાના લાંબા રસ્તાને બદલે પોલીસ પોતે જ આરોપીને ગુનેગાર ગણી સજા કરી દે તે સ્થિતિને યોગ્ય ગણે છે! અને પોલીસ એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવવા આપણા ન્યાયતંત્રમાં કેવી ખામીઓ છે તેના લાંબા લેખ લખે છે. હવે મૂળ વાત આ છે કે ન્યાયતંત્રમાં ખામી છે. કાનૂની પ્રક્રિયા અસહ્ય લાંબી ચાલે છે. છટકબારીઓનો કાયદાવીદો જ ગુનેગારોને રક્ષણ આપવા ઉપયોગ કરે છે. ન્યાયતંત્રની ખામીઓને નજીકથી જોનારા ન્યાયમૂર્તિઓ પોતે જ નિવૃત્ત થયા પછી ન્યાય વ્યવસ્થાની ખામીઓ માટે મોટાં પ્રવચનો આપે છે! તો એક સામાન્ય માણસને પ્રશ્ન તો થાય ને કે ‘જો આ તંત્ર ખામીયુકત છે તો તે બદલતા કેમ નથી? સુધારતા કેમ નથી? પણ ના ન્યાયતંત્રમાં ખામી છે એવું બહાનું કાઢીને સૌ સમાંતર ન્યાય વ્યવસ્થા ચલાવે છે. પોતાને ન ગમતાં લોકોને મોતને ઘાટ ઉતારી દે છે અને બહાનું ન્યાય વ્યવસ્થાનું કાઢે છે.

ફિલ્મોમાં અંધારી આલમના મુખિયા પોતાની ન્યાય અને સજાની આગવી વ્યવસ્થા ચલાવે. ગુનેગારોને સજા કરે… મનોરંજન માટે આવી વાર્તાઓ ભલે આપણે માણીએ પણ રોજિંદા જીવનમાં આ સ્થિતિ યોગ્ય નથી! માનો ન માનો એક ડરનો માહોલ ઊભો થયો છે. દુકાનદાર પોતાને ત્યાં કામ કરતા મજૂરને કશું કહેતાં પહેલાં વિચાર કરશે… રખે ને આ હુમલો કરી દે… રસ્તે ઝઘડતા બે માણસને છોડાવવા કોઇ તૈયાર નથી… રખે ને ઝપાઝપીમાં આપણને જ પાડી દે! આપણાં યુવાન બાળકો બહાર ગયાં હોય તો જીવ સતત ઊંચો રહે છે. જાહેર રસ્તા પર તોફાન કરતાં અસામાજિક તત્ત્વોને ટોકવાની હવે કોઇની હિંમત નથી! કારણ કે જીવન સાવ સસ્તું કરી દેવામાં આવ્યું છે. ખરેખર હવે કાયદાનો ડર માત્ર સજ્જનોને રહ્યો છે! અસામાજિક તત્ત્વો કાયદાથી બિલકુલ નથી ડરતા માટે જ હવામાં ફાયરીંગ, રસ્તા પર કેક કાપવી, ફટાકડા ફોડવા, બેફામ વાહન ચલાવવાં, મારામારીમાં જીવલેણ હુમલા કરવા… લગભગ ફિલ્મ કે સિરીયલમાં જોવા મળે તેવાં દૃશ્યો જોવા મળે છે.

સમાજમાં જયારે આવી અરાજકતાભરી સ્થિતિ હોય ત્યારે તેનો લાભ સ્થાપિત હિતો લેતા હોય છે. ન ગમતા માણસોને થાળે પાડવા કાં તો અસામાજિક તત્ત્વો દ્વારા કાં તો પોલીસ દ્વારા હિંસા થાય છે. આ હિંસા અતિ છે. ચિંતા ઉપજાવનારી છે. વહેલી તકે આપણે આ જાહેરમાં સર્જાતી હિંસા માટે સામુહિકપણે વિચારવું પડશે. આ અરાજકતા કયારે કોનો ભોગ લેશે તે કહેવાય નહીં! આ કોઇ પાર્ટી કે વ્યકિતનો પ્રશ્ન નથી. દરેક પાર્ટીમાં ખોટ લોકો સાથે સારા પણ હોય છે. મૂળ મુદ્દો પાર્ટી હોય કે સમાજ સારા લોકોએ આગેવાની લેવાનો છે! જાહેર રસ્તા પર થતી હિંસાનું લોહી આપણા ઘર સુધી પહોંચે તે પહેલાં આ હિંસાનો વિરોધ કરો! હિંસા પ્રજા કરે કે પોલીસ! તે યોગ્ય જ નથી! એ સત્ય બધાએ સ્વીકારવું પડશે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top