Gujarat

અમરેલીમાં પાંચ કૂતરાએ ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધું

રાજકોટ :અમરેલી જિલ્લામાં સિંહ (Lion) અને દીપડા જેવા વન્યપ્રાણીના હુમલાની (Attack) ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. તાજેતરમાં જ દીપડા અને સિંહણે બાળકોના શિકાર કર્યાની ઘટનાઓ સામે આવી હતી. જોકે આજે સામે આવેલી ઘટના કંઇક અલગ જ છે. આજે એક બાળકને વન્યપ્રાણીએ નહીં, પણ પાલતું પ્રાણીએ ફાડી ખાધું છે. અમરેલીના દામનગર-ઢસા રોડ પાસે ખેતરમાં રમી રહેલા એક માસૂમ પર પાંચ શ્વાન (Dog) તૂટી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ તેને ચૂંથી નાખ્યું હતું. પરિવારજનો પોતાના વહાલસોયાને લઇને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ત્યાં સુધી તો પ્રાણપંખેરું ઊડી ગયું હતું. એને લઇને પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

  • ખેતરમાં ઢસડીને જઇ ગરદન, કાન, માથા અને પીઠમાં બચકાં ભરતા બાળકનું મોત
  • ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો

દામનગર શહેરમાં ઢસા રોડ ઉપર આદિવાસી પરિવાર વાડીમાં કામ કરવા માટે ભાગિયું રાખી રહે છે. તેમનો પરિવાર ખેતીકામ કરતો હતો. ત્યારે 3 વર્ષીય બાળક ત્યાં રમતું હતું. આ દરમિયાન અહીં પાંચ જેટલા શ્વાન આવી ચડ્યા હતા અને બાળક પર હુમલો કરી દીધો હતો. શ્વાને આ બાળકને ઢસડીને ચૂંથી નાખ્યું હતું. બાળકની ગરદનની ડાબી બાજુ તથા ડાબા કાન પાસે માથાના ભાગે તથા પીઠના ભાગે શ્વાને બચકાં ભરી લીધાં હતાં. જેથી બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. ગંભીર ઇજાઓને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જોકે ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું. ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પરિવાર દ્વારા દામનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવને લઈ માહિતી આપતાં પોલીસ પણ દોડી ગઈ હતી. સમગ્ર તપાસમાં શ્વાનના આતંકથી મોત નીપજ્યાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Most Popular

To Top