Gujarat

બિપોરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો, માંડવીમાં ઝાડ પડતા હાઈવે બંધ, ભાવનગરમાં પિતા-પુત્રના મોત

ગાંધીનગર: અરબી સમુદ્રમાંથી ઉઠેલા બિપરજોય વાવાઝોડાએ ગુરુવારની રાત્રે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. વાવાઝોડું ગુરુવારે સાંજે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટક્યું હતું. રાત્રે 12 વાગ્યે કચ્છમાં ચક્રવાતનું સંપૂર્ણ લેન્ડફોલ થયું હતું. આ દરમિયાન 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અનેક શહેરોમાં ભારે વરસાદ ચાલુ છે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ માંડવીમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારે પવનના કારણે વીજ થાંભલા ધરાશાયી થયા હતા. માંડવી રોડ પર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે વાવાઝોડાને કારણે થયેલા નુકસાન વિશે પૂછપરછ કરી હતી.

માંડવીમાં ઝાડ પડતા હાઈવે જામ
ગુજરાતના કચ્છ જિલ્લામાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા, ઈલેક્ટ્રીક થાંભલા તૂટવાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. દરિયાને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. માંડવીમાં વાવાઝોડામાં સેંકડો વૃક્ષો પડી ગયા હતા. જેના કારણે હાઈવે જામ થઈ ગયો હતો. એટલું જ નહીં ભારે વરસાદને કારણે માંડવીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આવી સ્થિતિમાં NDRFની ટીમોએ બચાવકાર્ય શરૂ કરી દીધું છે.

ભાવનગરમાં પિતા-પુત્રના મોત
વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. બિપરજોય વાવાઝોડા બાદ ગુજરાતના ભાવનગરમાં એક પિતા અને પુત્ર તેમના પશુઓને બચાવતા મૃત્યુ પામ્યા હતા. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાતા તેમના પશુઓ ખાડામાં ફસાઈ ગયા હતા. બંનેને બચાવતી વખતે ડૂબી જતાં મોત નીપજ્યાં હતાં.

ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. 23 પશુઓએ જીવ ગુમાવ્યા છે. 524 વૃક્ષો પડી ગયા છે. કેટલીક જગ્યાએ વીજ થાંભલા પણ પડી ગયા છે. 940 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

કચ્છના દરિયા કિનારાથી 10 કિ.મી.નો વિસ્તાર વધુ પ્રભાવિત
કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કે પવન ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લામાં 200 થાંભલા અને 250 વૃક્ષો ધરાશાયી થયા હતા. 5 તાલુકાઓના 940 ગામોમાં વીજળી ડૂલ થઈ હતી.

તેમણે જણાવ્યું કે દરિયા કિનારેથી 10 કિમી સુધીનો વિસ્તાર ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. કચ્છમાં લગભગ 52,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 25,000 ઢોરને પણ ઊંચા સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચક્રવાતી તોફાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી હતી.

વાવાઝોડાના લીધે અનેક ટ્રેનો રદ કરાઈ
ચક્રવાતને કારણે રેલ સેવા પ્રભાવિત થઈ છે. જે વિસ્તારો બિપોરજોયથી અસરગ્રસ્ત છે, તે વિસ્તારોમાંથી પસાર થતી 99 ટ્રેનો રદ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય 23 ટ્રેનો રદ કરવામાં આવી છે, 3 ટ્રેનોના રૂટ ટૂંકાવામાં આવ્યા છે અને 7 ટ્રેન અટકાવી દેવાઈ છે. અત્યાર સુધીમાં 99 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે 39 ટ્રેનોને ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવી છે.

વાવાઝોડું પસાર થયા બાદ ભારે વરસાદની ચેતવણી
16-17 જૂને ભારે વરસાદની ચેતવણી બિપોરજોયની અસર હજુ શમી નથી. વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં 16-17 જૂને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 16 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે 17 જૂને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આજુબાજુના ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે

Most Popular

To Top