Sports

ટેસ્ટ મેચના ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ, ધર્મશાળામાં જીત બાદ BCCIની મોટી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) ઈંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ શ્રેણીની (Test Series) છેલ્લી મેચ એકપક્ષીય રીતે એક ઇનિંગ અને 64 રને જીતી લીધી હતી. શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 4-1થી જીતી હતી. ભારતીય ટીમના આ શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ એક મોટી જાહેરાત કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની રુચિ વધારવા માટે ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ સ્કીમ લાગુ કરવામાં આવી છે. BCCIના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે આ સ્કીમ દ્વારા તમામ ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પૈસા આપવામાં આવશે.

બીસીસીઆઈના સચિવ જય શાહે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચની જીત બાદ તરત જ એક ટ્વીટમાં ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ સ્કીમના અમલની જાહેરાત કરી હતી. આ સ્કીમમાં ખેલાડીઓને મેચ ફી ઉપરાંત વધારાના પૈસા મળશે. હાલમાં ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓને મેચ ફી તરીકે 15 લાખ રૂપિયા મળે છે. નવી પ્રોત્સાહક યોજના હેઠળ ખેલાડી મેચ ફી સહિત વધુમાં વધુ 60 લાખ રૂપિયા મેળવી શકે છે. જય શાહે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ભારતની મેન્સ ટેસ્ટ ટીમના ખેલાડીઓ માટે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહક યોજના શરૂ કરવાની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. તેનો ધ્યેય અમારા ખેલાડીઓને આર્થિક સ્થિરતા પ્રદાન કરવાનો છે. આ યોજના 2022-23 સીઝનથી લાગુ કરવામાં આવશે.

ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ સ્કીમની વાત કરીએ તો BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે, પહેલા ભાગમાં જે ખેલાડીઓ એક સિઝનમાં 50 ટકાથી ઓછી મેચ રમશે તેમને કોઈ ઈન્સેન્ટિવ નહીં મળે. બીજા ભાગમાં જો એક સિઝનમાં 50 ટકાથી વધુ મેચો રમનારા ખેલાડીઓ પ્લેઇંગ 11નો હિસ્સો હોય તો મેચ ફી ઉપરાંત તેઓને મેચ દીઠ બીજા 30 લાખ રૂપિયા મળશે અને જો તેઓ પ્લેઇંગ 11નો ભાગ ન બને તો તેમને પ્રોત્સાહન તરીકે મેચ દીઠ વધારાના રૂ. 15 લાખ મળશે. છેલ્લી કેટેગરીમાં જો કોઈ ખેલાડી એક સિઝનમાં 75 ટકાથી વધુ ટેસ્ટ મેચો રમે છે તો જો તે પ્લેઈંગ 11નો ભાગ છે તો તેને ઈન્સેન્ટિવ તરીકે પ્રતિ મેચ 45 લાખ રૂપિયા મળશે જ્યારે તે પ્લેઈંગ 11નો ભાગ નથી તો તેને પ્રોત્સાહન તરીકે 22.5 લાખ રૂપિયા મળશે.

Most Popular

To Top