National

નાગપુરઃ ભાજપના કાર્યક્રમમાં નાસભાગ, એક મહિલાનું મોત, કાર્યકરોને સામાન વહેંચવામાં આવી રહ્યો હતો

નાગપુર: (Nagpur) મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક 50 વર્ષીય મહિલાનું મોત (Death) થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. મૃતક મહિલાનું નામ મનુ તુલસીરામ રાજપૂત હોવાની માહિતી મળી છે. કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંતોષ પાટીલે જણાવ્યું કે આ ઘટના રેશમીબાગ વિસ્તારના સુરેશ ભટ ઓડિટોરિયમ કોમ્પ્લેક્સમાં બની હતી. અહીં ભાજપના નાગપુર શહેર એકમ દ્વારા સરકારી યોજના હેઠળ મજૂરો અને કામદારોને સામાન (વાસણો) વિતરણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સક્કરદરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં કામદારોને વાસણોનું વિતરણ કરવામાં આવનાર હતું, તેથી કાર્યક્રમના સ્થળે મહિલાઓની ભારે ભીડ એકઠી થઈ હતી. લાંબા સમય સુધી કાર્યક્રમ શરૂ ન થતાં ત્યાં ભારે ભીડ જામી હતી. અધિકારીએ જણાવ્યું કે નાસભાગમાં માર્યા ગયેલા મૃતક મહિલાનું નામ મનુ તુલસીરામ રાજપૂત છે, જે નાસભાગ દરમિયાન પડી ગઈ હતી. આ પછી તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મૃત્યુનું પ્રાથમિક કારણ ગૂંગળામણ અને હૃદયની ગતિ રોકાઈ જવાનું હોવાનું કહેવાય છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભાજપના કાર્યકરો કહી રહ્યા છે કે તંત્ર નિષ્ફળ ગયું
આ ઘટના બાદ બીજેપી કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે તંત્રની ખામીના કારણે આ અકસ્માત થયો છે. પરંતુ મહિલાઓ કહી રહી છે કે હજારોની ભીડને સંભાળવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ અકસ્માત થયો હતો. આ ઘટના આજે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં બાંધકામ કામદારોને વાસણોનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું અને સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

Most Popular

To Top