National

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટના 24 કલાકમાં 300 કેસ, 5ના મોત

નવી દિલ્હી: કોરોના વાયરસે (Covid19) ફરી એકવાર ભારતથી (India) લઈને સિંગાપોર (Singapore) સુધી દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા છે. ચેપને કારણે 5 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં ચાર દર્દીઓ ફક્ત કેરળના હતા, જ્યારે એક ઉત્તર પ્રદેશનો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે ભારતમાં 335 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે પછી સક્રિય કેસ વધીને 1,701 થઈ ગયા છે. દરમિયાન કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1ની પણ પુષ્ટિ થઈ છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ નોંધાયા છે. વધુ 5 દર્દીઓના મૃત્યુ પછી મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 316 થઈ ગયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર દેશનો રિકવરી રેટ 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે. 8 ડિસેમ્બરે, કેરળમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો કેસ નોંધાયો હતો. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 79 વર્ષીય મહિલાના RT-PCR ટેસ્ટનું પરિણામ 18 નવેમ્બરે આવ્યું હતું. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. અગાઉ, સિંગાપોરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ-વેરિયન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.

કોરોનાના વધતા કેસ બાદ કર્ણાટક સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેરળ અને અન્ય રાજ્યોમાં કોવિડના કેસમાં થયેલા વધારાને પગલે કર્ણાટક સરકારે બીમાર વૃદ્ધ લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે

Most Popular

To Top