Gujarat

રાજ્યમાં કોરોનાના એક પણ દર્દી રેમડેસિવિર વિના નહીં રહે: મુખ્યમંત્રી રૂપાણી

રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી. એટલુંજ નહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે બન્ને જિલ્લાઓમાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.રૂપાણીએ જામનગરમાં કહ્યું હતું કે,રાજયમાં એક પણ કોરોનાના દર્દી રેમડેસિવિર વિના ના રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી.

રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ આ સંક્રમણમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. દરરોજ આવતા ૩૦૦ કેસોની સામે હાલ દૈનિક કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ વ્યાપક છે. જેના કારણે હાલની સ્થિતિ ખૂબ નાજુક બની છે. ૧૫મી માર્ચે સમગ્ર રાજયમાં કોવિડના ૪૧ હજાર બેડ હતા. જે વધારીને ૧૫ એપ્રિલ સુધીમાં ૭૫ હજાર સુધી કરવામાં આવ્યા છે. તેમજ સાથે સાથે ઓક્સિજન, પેરામેડિકલ તથા મેડિકલ સ્ટાફ, વેક્સિન તેમજ ઓક્સિજન સુવિધા સાથેના બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં માહિતી આપતાં કહ્યું કે,આવનારા ૧૫ દિવસમાં ૮ થી ૧૦ હજાર બેડનો વધારો કરી બેડ અંગે પડતી મુશ્કેલી નિવારવામાં આવશે. ઓક્સિજનની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની સુવિધાઓમાં રાજય સરકારે વધારો કર્યો છે. તેમણે રેમડેસિવિર ઇન્જેકશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની નાજુક સ્થિતિમાં સારવારની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. જે મુજબ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે જ સારવાર લેવા જ્યારે ગંભીર કે અન્ય રોગો ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું છે. એ પ્રમાણે હાલ મળતા ૨૦ હજાર રેમડેસિવિર ઇન્જેકશનનું પણ પ્રાયોરિટીના ધોરણે વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ જથ્થો ઉપલબ્ધ થયે ભવિષ્યમાં ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસિવિર ઇન્જેકશન આપવામાં આવશે. ગુજરાતના દવાખાનાઓમાં એક પણ દર્દી રેમડેસિવિર ઇન્જેકશન વિના ન રહે તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજય સરકાર જવાબદારીપૂર્વક આગળ વધી રહી છે ત્યારે નાગરિકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.

Most Popular

To Top