uncategorized

દેવભાષા સંસ્કૃતનું પુનરુત્થાન થઇ રહ્યું છે

વિશ્વમાં અનેક ભાષાઓ એવી છે કે જે હવે કોઇ બોલતું જ નથી. આવી ભાષાઓ છેવટે લુપ્ત થઇ જાય છે. સંસ્કૃત ભાષા પણ એક સમયે બોલચાલની ભાષા હતી. મોટા રાજાઓની સભાઓમાં પંડિતો વચ્ચે જે વાદ થતા તે સંસ્કૃતમાં જ થતા હતા. વૈદિક અને જૈન ધર્મના અનેક ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યા છે. ભારતવર્ષની સેંકડો પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવતું હતું. દોઢસો વર્ષ અગાઉ ભારતમાં અંગ્રેજી ભાષાનું એવું આક્રમણ થયું કે સંસ્કૃત પાઠશાળાઓ ફટાફટ બંધ થવા લાગી અને તેનું સ્થાન અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો લેવા લાગી. અગાઉ સ્કૂલોમાં એક વિષય તરીકે સંસ્કૃત ભાષા હતી પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાંથી સંસ્કૃતની સંપૂર્ણપણે હકાલપટ્ટી થઇ. હવે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ ફરીથી પ્રજાને સમજાઇ રહ્યું છે અને સંસ્કૃત ભાષાનું માન વધી રહ્યું છે. જાણીને આશ્ચર્ય થશે પણ કર્ણાટકમાં તુંગભદ્રા નદીને કિનારે આવેલા માથૂર ગામના બધા જ લોકો સંસ્કૃત ભાષામાં પોતાનો વ્યવહાર ચલાવે છે. નાળિયેરી અને સોપારીનાં વૃક્ષોની ઘટાથી આચ્છાદિત આ ગામમાં પ્રવેશતા જ આપણે જાણે વેદ કે પુરાણોના કાળમાં પ્રવેશતા હોઇએ તેવી અનુભૂતિ થાય છે. આ ગામમાં પ્રવેશતા જ સંસ્કૃત ભાષાના શ્લોકોનો મધુર ગુંજારવ સાંભળવા મળે છે. સફેદ ધોતી અને અંગરખામાં સજ્જ થયેલા કિશોરો અને યુવાનો એકબીજાનું અભિવાદન ‘હરિ ઓમ્ શબ્દોથી કરે છે અને પૂછે છે, કથમ્ અસ્તિ? (તમે કેમ છો?)

આ ગામમાં પ્રવેશ કરનાર નવાગંતુકને પૂછવામાં આવે છે, ‘ભવત: નામં કિમ? (તમારું નામ શું છે?) આ ગામમાં શેરીઓનાં નામનાં પાટિયાં પણ સંસ્કૃતમાં લખવામાં આવ્યાં છે અને દિવાલ ઉપરનાં સૂત્રો પણ દેવભાષામાં જ વાંચવા મળે છે. માથૂર ગામમાં આજે પણ સંસ્કૃત ભાષાનો આટલો પ્રભાવ છે તેનું કારણ ઐતિહાસિક છે. આ ગામમાં પ્રાચીન કાળથી સંકેતી બ્રાહ્મણોની મોટી વસતિ હતી, જેઓ પુરોહિત તરીકે વિખ્યાત હતા. આ પરિવારોમાં જન્મ પામનાર પ્રત્યેક બાળકને બચપણથી જ સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવામાં આવતું હતું. પછી તો ગામમાં મુસ્લિમો, પછાત વર્ગો તેમ જ અન્ય કોમો પણ આવી પણ સંસ્કૃતની પરંપરા અખંડ રહી હતી. આ ગામની બધી જ સ્કૂલોમાં નર્સરીના સ્તરથી સંસ્કૃત શ્લોકો મુખપાઠ કરાવવામાં આવે છે અને સંસ્કૃત કથાઓ પણ કહેવામાં આવે છે.

આ ગામના મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ કોઇ પણ જાતના સંકોચ વિના સંસ્કૃત શ્લોકોના પઠન કરે છે અને સંસ્કૃત ભાષામાં ગોષ્ઠિ પણ કરી શકે છે. આ વિદ્યાર્થીઓને ઘરમાં પણ પોતાની માતૃભાષાને બદલે દેવભાષામાં વાત કરવામાં વિશેષ આનંદ આવે છે. કર્ણાટકના શિમોગા શહેરથી માથૂર ગામ માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલું છે અને તેની વસતિ આશરે પાંચ હજારની છે. અહીં વૈદિક પંડિતોના ઘરની બહાર કન્નડ ભાષામાં બહારના મુલાકાતીઓ માટે સૂચના લખવામાં આવી હોય છે : “તમે આ ઘરમાં સંસ્કૃતમાં વાત કરી શકો છો. વિજયનગરના સામ્રાજ્યનો સૂર્ય જ્યારે મધ્યાહ્ને તપતો હતો ત્યારે માથૂર અને પડોશમાં આવેલું હોસાહલ્લી ગામ સંસ્કૃત અને વેદવિદ્યાનાં કેન્દ્રો માનવામાં આવતાં હતાં. ઇ.સ. ૧૫૧૨માં વિજયનગરના રાજવીઓએ આ બે ગામો ત્યાંના પંડિતોને ભેટ આપ્યાં હતાં.

ઇ.સ. ૧૯૯૨માં પેજાવર મઠના ધર્મગુરુ સ્વામી વિશ્વેશ તીર્થે આ ગામનું નામકરણ ‘સંસ્કૃત ગ્રામ’ તરીકે કર્યું હતું. આ ગામના ૩૦ યુવાનો બેંગલોર, મૈસૂર અને મેંગલોરની અનેક કોલજોમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે નોકરી કરે છે. આ વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં કુુશળ છે એટલે બીજા વિષયોમાં પાછળ છે, તેવું પણ નથી. અનેક યુવાનો કોલેજનું શિક્ષણ લઇને સોફ્ટવેર એન્જિનિયર પણ બન્યા છે. તેમનું સંસ્કૃત ભાષા અને વ્યાકરણનું જ્ઞાન તેમને કોમ્પ્યુટરની ભાષા સમજવામાં વિશેષ મદદ‚પ બને છે, કારણ કે સંસ્કૃત ભાષા કોમ્પ્યુટર માટેની શ્રેષ્ઠ ભાષા છે. સંસ્કૃત જનપદ તરીકે માથૂર ગામની ખ્યાતિ ભારત તો ઠીક, ભારતની બહાર પણ પ્રસરી ચૂકી છે. આ કારણે જ વિદેશના અનેક વિદ્યાર્થીઓ સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે પોતાનો દેશ છોડી માથૂર ગામની મુલાકાતે આવે છે અને મહિનાઓ સુધી અહીં રહે છે. માથૂર ગામમાં સંસ્કૃતની અનેક પાઠશાળાઓ ચાલી રહી છે, જ્યાં પ્રાચીન ગુરુ-શિષ્યની પરંપરા મુજબ સંસ્કૃત ભાષાનું શિક્ષણ વડના વૃક્ષ હેઠળ ઓટલા ઉપર આપવામાં આવે છે. આ પાઠશાળાના વિદ્યાર્થીઓ મુંડન કરાવે છે અને માથે શિખા પણ બાંધે છે.

ગુજરાતમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અનેક સ્કૂલો હશે પણ એક સ્કૂલ સંસ્કૃત માધ્યમમાં પણ શિક્ષણ આપે છે, તેનો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલી આ સ્કૂલમાં ૮૪ વિદ્યાર્થીઓ સંસ્કૃત સાહિત્ય, વેદ, ઉપનિષદો, પુરાણો અને જ્યોતિષશાસ્ત્ર સાથે અંગ્રેજી ભાષા અને કોમ્પ્યુટરનો પણ અભ્યાસ કરે છે. અહીં અંગ્રેજી અને કોમ્પ્યુટર સિવાયના બધા જ વિષયો સંસ્કૃત માધ્યમથી ભણાવવામાં આવે છે. સામાન્ય સ્કૂલમાં સાતમું ધોરણ પાસ કરનાર કોઇ પણ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. આ શાળામાં આઠ વર્ષ અભ્યાસ કરનાર વિદ્યાર્થીને ‘શાસ્ત્રી’ની ડિગ્રી મળે છે. આ ડિગ્રી કોઇ પણ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષા સાથે બી.એ.ની ડિગ્રીની સમકક્ષ ગણાય છે.ભારતમાં મેકોલેના શિક્ષણનો પ્રભાવ વધ્યો તે પહેલાં સંસ્કૃત ભણાવતાં હજારો ગુરુકુળો હતાં. હવે લોકોને સંસ્કૃતનું મહત્ત્વ સમજાયું હોવાથી નવાં ગુરુકુળો ખૂલી રહ્યાં છે.

Most Popular

To Top