Gujarat

દાદાની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી ત્રિદિવસીય ચિંતન શિબિર

ગાંધીનગર: કર્ણાટકની (Karnataka) ચૂંટણીમાં (Election) ભાજપને (BJP) મળેલા પરાજય બાદ હવે સીએમ (CM) ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષસ્થાને આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુિનટી ખાતે મળી રહેલી ચિંતન શિબિર મહત્વની બની જાય છે. જિલ્લા વહીવટીતંત્રમાં એક પ્રકારની શિથિલતા આવી ગઈ હોય તેવુ દૃશ્ય દેખાઈ રહ્યું છે, જેના પગલે લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં પરિણામલક્ષી કામગીરી થાય તે બાબત પર ભાર મૂકવામાં આવનાર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ૧૯થી ૨૧ મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો શુભારંભ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર, ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને ર૩૦ જેટલા મહાનુભાવો જોડાશે.

રાજ્યના સમગ્ર વહીવટી તંત્રમાં કાર્યશૈલીના નૂતન અભિગમોના અમલ અને ઊર્જા સંચેતનાનો પર્યાય બની ચૂકેલી ચિંતન શિબિરની ૧૦મી શ્રેણીનો એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલે તા. ૧૯મી મેથી પ્રારંભ થશે. આ દસમી ચિંતન શિબિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટેન્ટ સિટી-૨ ખાતે સાંજે ચાર કલાકે ઉદ્દઘાટન કરાવશે. ઉદ્દઘાટન બાદ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગા વે ઓફ લાઇફ પર વક્તવ્ય યોજાશે તેમજ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ટેક્નિકલ પરિવર્તનના સંદર્ભમાં જાહેર ક્ષેત્રની ભૂમિકા અને અપેક્ષાઓ ઉપર પેનલ ચર્ચા થશે.

તા. ૨૦મી મે, શનિવારને બીજા દિવસે સવારે ૬ કલાકે આરોગ્ય વન ખાતે યોગાભ્યાસમાં મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવો ભાગ લેશે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે વિકાસના મુદ્દાઓ અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતા નિર્માણ, સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો, જેવા વિવિધ વિષયો ઉપર વરિષ્ઠ અધિકારીઓના દિશાદર્શનમાં સામુહિક રીતે ગહન ચિંતન કરવામાં આવશે.

શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં માર્ગદર્શન પણ આપશે. તદુપરાંત મહાનુભાવો સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને પ્રોજેક્શન મેપિંગ નિહાળશે. સાંજના ૮.૩૦ કલાકે ગોરા ઘાટ ખાતે મુખ્યમંત્રી સહિતના શિબિરાર્થીઓ ‘મા નર્મદા’ની મહાઆરતીમાં પણ જોડાશે.
તા. 21મી મેના રોજ ચિંતન શિબિરના અંતિમ દિવસનો પ્રારંભ પણ યોગાભ્યાસથી થશે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે વિવિધ વિષયો ઉપર પ્રેઝેન્ટેશન અને ચર્ચા થશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા જિલ્લા સુશાસન સુચકાંકોનું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે એક વાગ્યે મુખ્યમંત્રીના માર્ગદર્શક સંબોધન બાદ શિબિરનું સમાપન થશે.

Most Popular

To Top