Vadodara

CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાના આત્મીય વિદ્યાલય ખાતેથી 1 હજાર છાત્રો સાથે PMના સંવાદમાં જોડાયા

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાઓ એકાગ્રતા,એકચિત્ત અને સ્થિર મનોસ્થિતીથી આપવાનું પ્રેરણા માર્ગદર્શન પરીક્ષા પે ચર્ચાની ૬ઠ્ઠી આવૃત્તિ દ્વારા કર્યુ હતું. નવી દિલ્હીના તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા મનનીય માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના આત્મીય વિદ્યાલયના ધોરણ-૧૦ અને ૧ર ના એક હજાર છાત્રો સાથે આ સંવાદ-માર્ગદર્શનમાં સહભાગી થયા હતા.

વડાપ્રધાનને જણાવ્યું કે દરેક વાલીએ પોતાના બાળકોનું સાચું મૂલ્યાંકન કરી તેની ક્ષમતાને ઓળખવી જોઈએ. એટલું જ નહિ, છાત્રોને સ્માર્ટ હાર્ડ વર્ક કરવાની શીખ આપી અઠવાડિયામાં એક દિવસ ટેક્નોલોજીથી અલિપ્ત રહેવાનો અનુરોધ વડાપ્રધાને કર્યો હતો. શહેર અને જિલ્લામાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ૧૪૩૪ શાળાઓના ૨.૫૪ લાખ છાત્રો ઉપરાંત તેમના વાલીઓએ ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧ર ના મળી અંદાજે ૧૬.૪૦ લાખ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના આ પ્રેરણાદાયી સંવાદ,માર્ગદર્શનનો લાભ મેળવ્યો હતો.

વડોદરામાં આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલા, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર અને ધારાસભ્ય કેયુર રોકડીયા, ધારાસભ્ય યોગેશ પટેલ, ચૈતન્ય દેસાઈ, મનીષાબેન વકીલ, શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ પટેલ, પ્રદેશ અગ્રણી ભાર્ગવભાઇ ભટ્ટ અને અશ્વિનભાઇ પટેલ, ભરતભાઇ ડાંગર, નગર શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટ્ટણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલ, મ્યુનિ.કમિશનર બી.એન.પાની, કલેકટર અતુલ ગોર ,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર પણ આ વેળાએ ઉપસ્થિતિ રહ્યા હતા.મુખ્યમંત્રીના હસ્તે એક્ઝામ વોરિયર અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવા સાથે વડાપ્રધાન લિખિત એક્ઝામ વોરિયર પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top