World

હવે આંતકવાદના મુદ્દે પણ ચીન પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે

નવી દિલ્હી: ચીન (China) ભારત સામેની તેની અવળચંડાઇનો એક પણ મોકો છોડતું નથી. જો કે, હવે તાઇવાન મુદ્દે અમેરિકા (America) પણ તેની સામે આવી ગયું છે તો જાપાન પહેલાથી મજબૂત સ્થિતિમાં છે. તાજેતરમાં ભારતે જ શ્રીલંકાના (SriLanka) બંદર ઉપર ચીનના જાસૂસી જહાજને નહીં આવવા દેવાનો વિરોધ કરતાં શ્રીલંકાએ પણ તેમાં સૂર પૂરાવતા ચીને જહાજ દરિયામાં જ અટકાવી દીધું હતું અને પરત બોલાવી લીધું હતું. આંતર રાષ્ટ્રીય સમુદાયમાં પણ ચીનની પ્રતિષ્ઠા ધીરે ધીરે ઘટી રહી છે ત્યારે, આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન (Pakistan) તેના તરફ આગળ વધી રહ્યું છે. જો કે, વ્યુહાત્મક રીતે ભારતને ઘેરવા માટે ચીન હવે પાકિસ્તાનનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યું છે. હવે ચીન આ મુદ્દે કોઇ પણ હદે જઇ શકે તેમ છે. એટલું જ નહીં પરંતુ ચીન પાકિસ્તાન સાથે આતંકવાદના મુદ્દે પણ સમાધાન કરવા માટે તૈયાર છે.

તાજેતરમાં જ મળતી માહિતી પ્રમાણે નેશનલ ન્યૂઝ એજન્સી એએનઆઇએ જે અહેવાલ રજૂ કર્યો છે તે અનુસાર ચીન અમેરિકા અને ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાનમાં શરણ લઇ રહેલા અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તેમજ જૈસ એ મોહંમદના કમાન્ડર અબ્દુલ રઉફ અઝહર પર પ્રતિબંધ લગાડવા માટેનો પ્રસ્તાવ સાથે મળીને પસાર કર્યો હતો. પરંતુ હવે ચીન આડોડાઇ કરી રહ્યું છે. અમેરિકી ટ્રેઝરીએ વર્ષ 2010માં જ રઉફને આતંકવાદીની યાદીમાં નાંખી દીધો હતો. ત્યાર પછી તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં યુએનએસીમાં પ્રસ્તાવ પણ પસાર થઇ ગયો છે પરંતુ હવે ચીન તેમાં પીછે હઠ કરી રહ્યું છે. 1999માં જ્યારે ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક થયું હતું ત્યારે, તે ષડયંત્રમાં તે સામેલ હતો અને તેના કારણે જ જૈશ એ મોહંમદના આતંકવાદી મસૂદ અઝહરને છોડવો પડ્યો હતો. અબ્દુલ રઉફ મસૂદ અઝહરનો નાનો ભાઇ છે અને તેનો આખો પરિવાર જ આતંકવાદી ગતિવિધીમાં સામેલ છે.

આ ઘટના પછી એટલે કે 23 વર્ષથી મુફ્તી અબ્દુલ રઉફ ભારતના મોસ્ટ વોન્ટેડ ટોપ પાંચ આંતકવાદીની લિસ્ટમાં સામેલ છે. જૈશ એ મોહંમદ દ્વારા જેટલા પણ આતંકવાદી હુમલાઓ થાય છે તે તમામનું ષડયંત્ર અબ્દુલ રઉફ જ રચે છે. 2001ના વર્ષમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ઉપર આતંકવાદી હુમલો થયો હતો. ત્યાર બાદ ભારતની સંસદ ઉપર હુમલો થયો હતો. પઠાનકોટ એરબેઝને નિશાન બનાવાયું હતું. એટલું જ નહીં પરંતુ તાજેતરમાં જ પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો હતો. જેના કારણે ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવી પડી હતી. આ હુમલાનો માસ્ટર માઇન્ડ પણ અબ્દુલ રઉફ જ હતો. સૌથી ગંભીર બાબત તો એ છે કે જૈશ એ મોહંમદના વડા મસૂદ અઝહરની ગેરહાજરીમાં તમામ મહત્વના નિર્ણય પણ રઉફ જ લે છે.

Most Popular

To Top