Gujarat

પનીર માટે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકિંગ

ગાંધીનગર : ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં રાજ્યવ્યાપી એક મેગા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ સર્વિસ એકમોમાં વપરાતા પનીર અને ચીઝની ગુણવત્તા તપાસવી, તેની સાચી ઓળખ સુનિશ્ચિત કરવી અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો હતો. ​ખોરાક નિયમન તંત્ર દ્વારા ૦૪ એપ્રિલથી ૦૯ એપ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવેલી આ તપાસમાં ફૂડ સેફ્ટી ઓફિસરોએ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને ઉત્પાદક એકમો પર દરોડા પાડ્યા હતા. આ કામગીરીના આંકડા નીચે મુજબ છે. ​રાજ્યની ફૂડ સેફ્ટી વાન દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

જેમાં ૬૫૯ એકમોની તપાસ કરવામાં આવી અને કુલ ૬૭૯ નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ​આ અભિયાન દરમિયાન તંત્રએ એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે “એનાલોગ પનીર” એ નકલી પનીર નથી, પરંતુ તે ડેરી પનીરનો એક વિકલ્પ છે. ગ્રાહકો અને વેપારીઓમાં આ બાબતે સાચી સમજ વિકસાવવામાં તંત્રને સફળતા મળી છે. જોકે, ડિસ્પ્લે બોર્ડ પર તેની સ્પષ્ટ જાણકારી આપવી ફરજિયાત છે. ​નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે આ સ્પેશિયલ ડ્રાઈવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને ઉત્પાદક પેઢીઓ તથા વિક્રેતાઓને ત્યાં પનીર કે એનાલોગના વેચાણ અંગે વધુ સઘન તપાસ કરવામાં આવશે.

ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી

​• કુલ તપાસાયેલ એકમો: ૨૫૨૭ (ઉત્પાદક, હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા વગેરે)
​• નોટિસ ફટકારવામાં આવી: ૨૭૦ એકમોને
​• સીલ કરાયેલ પેઢીઓ: ૧૮ એકમોને નિયમોના ઉલ્લંઘન બદલ બંધ કરાવાયા

  • વસૂલ કરાયેલ દંડ: ₹ ૨,૮૪,૩૦૦/-
    ​• જપ્ત કરી નાશ કરાયેલ જથ્થો: ૭૦૩ કિલોગ્રામ (અખાદ્ય પનીર/ચીઝ)
    ​• લેવામાં આવેલ નમૂનાઓ: ૯૫ નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા

Most Popular

To Top