Gujarat

ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે : કોંગ્રેસ

અમદાવાદ : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી ઉપર ઈડી (ED) દ્વારા ખોટી રીતે સમન્સ મોકલવાના વિરોધમાં આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના (Ahmedabad) લાલ દરવાજા સરદાર બાગ ખાતે ધારણા- પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત અનેક પદાધિકારીઓ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ કાળા વસ્ત્ર ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ સરદારબાગ ખાતે વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો – આગેવાનોને સંબોધન કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પેપર ફૂટે પ્રશ્ન ન પૂછો, મોંઘવારી સતત વધે પ્રશ્ન ન પૂછો, રૂપિયાનું સતત ધોવાણ થાય તો પણ પ્રશ્ન ન પૂછો, વેપાર ધંધા પડી ભાંગે પ્રશ્ન ન પૂછો, ખેડૂત આંદોલન ન કરે, બેરોજગાર આંદોલન ન કરે, મહિલાઓ આંદોલન ન કરે, કર્મચારીઓ પોતાના હક અને અધિકાર માટે બહાર ન આવે તે માટે વારંવાર પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજૂ કરશે. સતત જનતાનો અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના નેતાના સત્યથી મોદી સરકાર ડરી ગઈ છે. સત્યને દબાવી શકાતું નથી, ઝુકાવી શકાતું નથી. ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષ સામાન્ય, મધ્યમવર્ગ, શોષિત, વંચિત, ગરીબ, ખેડૂતો, દલિત સહિતના લોકોનો અવાજ મજબુતાઈથી ઉઠાવતા રહ્યાં છે. કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, કોંગ્રેસપક્ષ ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકારે કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભૂલ કરી છે. નેશનલ હેરાલ્ડ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અવાજ બન્યું હતું. નેશનલ હેરાલ્ડએ સ્વાતંત્ર્ય સંગ્રામની ઓળખ પણ છે અને અવાજ પણ છે. જે આજે પણ દિલ્હીના શાસન પર બિરાજમાન સત્તાધિશો સામે મક્કમતાથી અવાજ ઉઠાવી રહ્યું છે.

કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેરાલ્ડની નાણાકીય કટોકટીના સમયે મહેનતુ પત્રકારોના પગાર, અખબાર ચલાવવા અને અન્ય કામગીરી માટે આર્થિક મદદ કરી હતી. ત્યારે દેશ પૂછે છે કે, અંગ્રેજો સામે હિંદુસ્તાનીઓનો અવાજ બુલંદ કરનાર અખબારની સંસ્થાને નાણાંકીય મદદ કરવી શું ગુનો છે ? કોંગ્રેસ પક્ષ એ ગાંધી – સરદારની ઉત્તરાધિકારી છે. જે વિભાજનકારી એજન્ડા ધરાવતી ભાજપની બદલાની રાજનીતિ થી કદાપી ડરશે નહીં.

Most Popular

To Top