Dakshin Gujarat

અંકલેશ્વરમાં પરિણીતાનો સ્નાન કરતો વિડીયો ઉતારી યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું

ભરૂચ, અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં એક પરિણીતાનો સ્નાન કરતો વિડીયો (Video) ઉતારી લઇ તેની સાથે દુષ્કર્મ (Abuse) કરનારા યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી.

  • પરિણીતાનો સ્નાન કરતો વિડીયો ઉતારી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
  • પરિણીતા સ્નાન કરી રહી હતી એ વેળા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો
  • વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી યુવકે ડરેલી પરિણીતા સાથે દુષ્કર્મ કર્યુ

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં ૨૪ વર્ષીય પરિણીતાનો ગામમાં જ રહેતા પ્રદીપ ભરત વસાવાએ વિડીયો બનાવ્યો હતો. આ પરિણીતા સ્નાન કરી રહી હતી એ વેળા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી યુવકે ડરેલી પરિણીતા સાથે દુષ્કર્મ કર્યુ હતુ. વારંવાર શરીરસુખ માણતા એક તબક્કે પરિણીતાને પેટમાં ગર્ભ રહી ગયો હતો. આ વિશે પ્રદીપ વસાવાને જાણ કરતાં તેણે મહિલાને ગર્ભનિરોધક ગોળીઓ આપી ગર્ભ પડાવી નાંખ્યો હતો. પ્રદીપના બ્લેકમેઇલથી કંટાળેલી પરિણીતાએ આખરે અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તેમજ આઈ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના બનાવોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ટૂંકા ગાળામાં બે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ હવે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ પરિણીતાને શારીરિક પરિક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી.

‘તું કેમ ચાંદિયાપુરા ગામે પિકઅપ ડ્રાઇવિંગ કરે છે’ કહી ડ્રાઇવર પર હુમલો
ઝઘડિયા: ભરૂચના ઝઘડિયાના ફિચવાડા ગામે રહેતા એક ઇસમને જીતપુરાના ઇસમે પિકઅપ ગાડી પર ડ્રાઇવિંગ કરવાની બાબતે બોલાચાલી કરી માર માર્યો હોવાની ઘટના બની છે. ઝઘડિયાના ફિચવાડા ગામે રહેતો ભરત દિવાન વસાવા ચાંદિયાપુરા ગામના કાલીદાસ વસાવા નામના ઇસમની પિકઅપ ગાડી પર ડ્રાઇવિંગ કરવાની નોકરી કરે છે. તા.૧૪મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં જીતપુરા ગામે રહેતો અર્જુન વસાવા તેમજ ચાંદિયાપુરા ગામે રહેતો વિનોદ ઉર્ફે ભુરો વસાવા નામના ઇસમો હાથમાં લોખંડની કુહાડી તેમજ લોખંડની પાઇપ લઇને આવ્યા હતા અને તું ચાંદિયાપુરાના કાલિદાસ વસાવાની પિકઅપ પર કેમ ડ્રાઇવિંગ કરે છે અને તેની સાથે કેમ ફરે છે? તેમ કહી આ લોકોએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ તેમજ કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરતભાઇ ઇજાગ્રસ્ત થતાં માથામાં ચામડી ફાટી જઇને લોહી નીકળ્યું હતું. ત્યારબાદ આ લોકો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત ભરતભાઇને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. આ ઘટના સંદર્ભે ભરત દિવાન વસાવાએ ઉમલ્લા પોલીસમથકે અર્જુન વસાવા (રહે.,જીતપુરા, તા.ઝઘડિયા) તેમજ વિનોદ ભૂરો વસાવા (રહે.,ચાંદિયાપુરા, તા.ઝઘડિયા) વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

Most Popular

To Top