National

અમરનાથમાં વાદળ ફાટતા ટેન્ટ સાથે શ્રદ્ધાળુઓ તણાઈ ગયા: 16ના મોત, 48 લોકો ગૂમ

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં  (Jammu Kashmir) અમરનાથ (Amarnath)ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ હતી. પૂરના (Flood) ધસમસતા પ્રવાહમાં ટેન્ટ સાથે અનેક શ્રદ્ધાળુઓ વહી ગયા હતા. અત્યાર સુધીમાં 16 લોકોના મોતને સમર્થન મળ્યું છે. જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે 40થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. તેમની શોધમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ITBP અને NDRFની ટીમો સ્થળ પર ઊભી છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. શનિવાર સવારથી ફરી એકવાર કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.

પથ્થરો હટાવીને લોકોને શોધી રહ્યા છે
સવારથી રાહત અને બચાવ કાર્ય ઝડપી કરવામાં આવ્યું છે. પૂર આવવાના કારણે કેટલાક લોકો પાણીમાં વહી ગયા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં હવે સૈનાના જવાનો દ્વારા પથ્થરો હટાવીને લોકોની શોધખોળ કરાઈ રહી છે. આ દુર્ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત 48 લોકો ગુમ હોવાના અહેવાલ છે. તેમની શોધમાં બચાવ ટીમ સતત કામ કરી રહી છે.

શુક્રવારે સાંજે પવિત્ર ગુફાથી એકથી બે કિલોમીટરની ત્રિજ્યામાં વાદળ ફાટ્યું હતું. અહીં ભક્તો માટે ઉભા કરાયેલા 25 જેટલા ટેન્ટ અને બે થી ત્રણ લંગર પહાડો પરથી જોરદાર પ્રવાહ સાથે આવેલા પાણીમાં તણાઈ ગયા હતા. સેનાના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસ, NDRF, ADRF, ITBPના જવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ઝડપી કર્યું છે.

BSFનું MI 17 પણ બચાવ કાર્યમાં લાગેલું છે
BSFના MI 17 હેલિકોપ્ટરને હવાઈ પરિવહનમાં તૈનાત કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટર ઘાયલ અને મૃતદેહો તેમજ લોકોને નીલગઢ હેલિપેડ/બાલતાલથી BSF કેમ્પ શ્રીનગર સુધી લઈ જઈ રહ્યું છે. આ ઉપરાંત ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલા અમરનાથ ગુફા નજીક પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા જ્યાં બચાવ કામગીરી હાલ પણ ચાલી રહી છે. આ સિવાય આઈજીપી કાશ્મીર વિજય કુમાર અને ડિવિઝનલ કમિશનર કાશ્મીર આજે સવારે અમરનાથ પવિત્ર ગુફા પહોંચ્યા અને બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે.

તેલંગાણાના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ પરિવાર સાથે અમરનાથ યાત્રા પર ગયા હતા. શુક્રવારે સાંજે અચાનક વાદળ ફાટવાની ઘટનામાં તેઓનો બચાવ થયો હતો. રાજા સિંહ અને તેમના પરિવારના સભ્યો હેલિકોપ્ટર દ્વારા અમરનાથ પહોંચ્યા હતા. શુક્રવારે હવામાનની સ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલાં તેઓએ પહાડો પરથી નીચે ઉતરવા માટે ટટ્ટુનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. રાજા સિંહે કહ્યું કે અમને લાગ્યું કે હવામાન અચાનક બદલાઈ ગયું છે અને ખરાબ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, હેલિકોપ્ટર સેવા પણ રદ કરવામાં આવશે, તેથી અમે ટટ્ટુનો ઉપયોગ કરીને ટેકરીઓ પર ઉતરવાનું નક્કી કર્યું હતું. મેં ટેકરીઓથી લગભગ એક કિલોમીટર નીચે વાદળછાયું જોયું. પૂરમાં અનેક તંબુઓ ધોવાઈ ગયા હતા. ધારાસભ્યો વિશેષ સુરક્ષા હેઠળ હોવાથી, સેનાએ પરિવારને શ્રીનગર ખસેડવામાં મદદ કરી. તેમણે વધુમાં કહ્યું કે તેલંગાણા સહિત અન્ય રાજ્યોના લોકો ત્યાં ફસાયેલા છે.

Most Popular

To Top