Madhya Gujarat

તારાપુર ચોકડી પર લારી લઇ ઉભેલા દબાણકર્તા સામે કાર્યવાહી

આણંદ: તારાપુર ચોકડી પર બે દિવસ પહેલા ટ્રક પલટી જતાં રસ્તા પર ઉભેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત બાદ પોલીસ સફાળી જાગી છે અને અહીં ચોકડી આસપાસ દબાણ કરી ઉભા રહેલા શખસો સામે કાર્યવાહી હાથ ધરી છે.
તારાપુર મોટી ચોકડી સર્કલ પર લારી લઇને ઉભેલા વિનુ છગન સોલંકી (રહે.સીંજીવાડા), યોગેશ વિનુ સોલંકી (રહે.સીંજીવાડા), રાજુ અશોક પટેલ (રહે.સીંજીવાડા) પોતાની લારી લઇને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતી. આથી, પોલીસે ત્રણેય સામે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે લારી ઉભી રાખવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તારાપુર મોટી ચોકડી પર બે દિવસ પહેલા પુરપાટ ઝડપે જતી ટાઈલ્સ ભરેલી ટ્રક પલટી ગઇ હતી. જેના કારણે રસ્તાની બાજુમાં ઉભેલા દાદા, પૌત્ર અને પૌત્રીનું ટ્રક નીચે દબાઇ જતાં મોત નિપજ્યું હતું. આ અંગે તપાસમાં સર્કલ આસપાસ દબાણના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાતાં પોલીસે રહી રહીને કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ કાર્યવાહીની કેટલી અસર થશે ? અને કેટલાક દિવસ ચાલુ રહેશે ? તે પ્રશ્ન છે.

Most Popular

To Top