સુરત શહેરના માંન દરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નં. 16માં એક દુઃખદ ઘટના સામે આવી છે. શાળામાં પીટીના પિરિયડ દરમિયાન ધોરણ-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી વિદ્યાર્થીના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે શાળાના અન્ય વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિકોમાં પણ ભારે શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામનો વિદ્યાર્થી પીટીના પિરિયડ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે શાળાના ધાબા પર ગયો હતો. આ દરમિયાન ધાબા પર લગાવવામાં આવેલા લોખંડના લાઇટના થાંભલાના સંપર્કમાં આવતાં તેને અચાનક જોરદાર કરંટ લાગ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કરંટ લાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો અને ત્યાં હાજર વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોએ તેને બચાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વિદ્યાર્થીના મોતના સમાચાર મળતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાએ શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વાલીઓ અને સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે જો શાળા પરિસરમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત તો આવી દુર્ઘટના ટાળી શકાય તેમ હતી. ખાસ કરીને જ્યાં વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય તેવા સ્થળે લાઇટના થાંભલા અથવા અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોની નિયમિત તપાસ કરવામાં આવે છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઘટના બાદ વિદ્યાર્થીના પરિવારજનો અને સ્થાનિક લોકોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો કોઈની બેદરકારીના કારણે વિદ્યાર્થીનો જીવ ગયો હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક શાળાએ પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીને કરંટ કેવી રીતે લાગ્યો અને લાઇટના થાંભલામાં વીજપ્રવાહ કેવી રીતે આવ્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત શાળાની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
હાલ સમગ્ર મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને વિવિધ લોકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી શાળા સંચાલન અથવા પોલીસ તરફથી સત્તાવાર રીતે કરંટ લાગવાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. તેથી ઘટનાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ત્યાં સુધી આ દુર્ઘટનાએ સુરત શહેરમાં શાળાઓની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચા શરૂ કરી છે.