Entertainment

આમિર ખાનને શાહરુખની મદદ લેવી પડશે !

અમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ ની રજૂઆતની ૧૧ ઓગષ્ટની તારીખ નજીક આવી રહી હોવા છતાં જેટલી થવી જોઇએ એટલી ચર્ચા થઇ રહી નથી. અને એની સાથે રજૂ થનારી અક્ષયકુમારની ‘રક્ષા બંધન’ દર્શકોમાં ઉત્સુક્તા વધારી રહી છે. કેમકે અક્ષયની ફિલ્મમાં ભારતીય ભાઇ-બહેનની વાર્તા છે અને આમિરની ફિલ્મ હોલિવૂડની રીમેક છે. ‘રક્ષાબંધન’ ના ટ્રેલર પછી ‘તેરે સાથ હું મેં’ અને ‘કંગન રુબી’ ગીતને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. જ્યારે ‘લાલસિંહ ચઢ્ઢા’ નું ‘કહાની’ પછી ‘ફિર ના ઐસી રાત આયેગી’ ગીત પણ લોકપ્રિય થઇ શક્યું નથી. આમિરે ફિલ્મનું ટ્રેલર દોઢ મહિના પહેલાં રજૂ કર્યું ત્યારે મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. તેના એક જૂના વિડીયોને કારણે આમિર સોશ્યલ મિડીયા પર ટ્રોલ થઇ રહ્યો હોવાથી અને ફિલ્મનો બૉયકોટ કરવાની અપીલ થતાં સારું ઓપનિંગ મળવા બાબતે ટ્રેડ પંડિતોને શંકા છે. કરીના અત્યારે વેકેશન પર છે. તે ફિલ્મના પ્રચારમાં રસ લઇ રહી નથી ત્યારે આમિરે ‘લાલસિંહ ચઢ્ઢા’ માટે શાહરૂખ ખાનની મદદ લેવાની તૈયારી કરી છે. આ ફિલ્મમાં શાહરુખની મહેમાન ભૂમિકા છે. તે પહેલી વખત કોઇ ફિલ્મમાં આમિર સાથે દેખાવાનો છે. આ બાબતનો ઉપયોગ પ્રચારમાં કરવામાં આવશે.

આમિર દર વખતે અલગ રીતે પોતાની ફિલ્મનો પ્રચાર કરે છે અને સતત ચર્ચામાં રહે છે.  પરંતુ ચાર વર્ષ પછી તેની કોઇ ફિલ્મ આવી રહી હોવા છતાં ‘લાલસિંહ ચઢ્ઢા’ માટે દર્શકોમાં જે ઉત્સાહ દેખાવો જોઇએ એ દેખાતો નથી. એકદમ ઠંડો પ્રતિસાદ હોવાથી તેની ટીમ ચિંતામાં છે. આમિરે પ્રચાર માટે કરણ જોહરની ‘કોફી વિથ કરન’ ની નવી સીઝનમાં હાજર રહેવાનું નક્કી કર્યું છે. અત્યારની સ્થિતિમાં ફિલ્મને પહેલા દિવસે રૂ.૧૫ થી ૨૦ કરોડનું ઓપનિંગ મળી શકે છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દે એવી શક્યતા દેખાતી નથી. ફિલ્મનું બજેટ મોટું છે અને તેની પાછળ ત્રણ વર્ષની મહેનત કરી છે એ દ્રષ્ટીએ આ ઓપનિંગ ઘણું ઓછું મનાય છે. ફિલ્મના એક દ્રશ્ય માટે આમિર લાંબા સમય સુધી દોડ્યો હતો. તેણે દોડવાનું શરૂ કર્યું ત્યારે પગમાં ઇજા થઇ હતી. પરંતુ દ્રશ્યને ફિલ્માવવા તે દર્દશામક દવા લઇને દોડતો રહ્યો હતો. આમિર પરફેક્ટનિસ્ટ હોવાથી દરેક દ્રશ્ય પર મહેનત જરૂર કરી છે. એનો કેટલો લાભ ફિલ્મને થાય છે એ જોવાનું રહેશે.

Most Popular

To Top