Dakshin Gujarat

મોદીજી, અમને આઝાદી પછીય ‘વિકાસ’ નસીબ નથી

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામથી 3થી 4 કિમી ઊંચાઈના ડુંગર પર આવેલું ચિનકુવા ગામમાં 300થી વધુ વસતી અને 50થી વધુ છૂટાછવાયાં ઘરો આવેલાં છે. એક તરફ ચીનકૂવા ગામની બિલકુલ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને એની આસપાસના વિસ્તારમાં ભરપૂર વિકાસ કરવામાં આવ્યો પરંતુ આઝાદીના 75 વર્ષ થયા છતાં ચીનકૂવા ગામમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો જ નથી.

આ ગામમાં કોઈ બીમાર પણ પડે તો 108 ને પહોંચવામાં પણ ઘણી તકલીફ પડે એવા તો રસ્તાઓ છે. ગ્રામજનોએ સુવિધાઓ મામલે કેટલીયેવાર નર્મદા જિલ્લા વહીવટીતંત્રને રજૂઆતો કરી પણ સરવાળે મીંડું, તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું જ રહ્યું. હવે આખા રાજ્યમાં કદાચ આ જ ગામ એવું હશે કે જ્યાં કાચાં ઝૂંપડામાં શાળા ચાલતી હશે. એ ગામમાં પાણી માટે માત્ર 2 કૂવા જ છે. ચીનકૂવા ગામના જેસીંગભાઇ દલસુખભાઈ વસાવાએ ગ્રામજનો સાથે ભેગા મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને PMO પોર્ટલ પર ફરિયાદ કરતા PMOમાંથી રાજ્ય સરકાર સુધી અને ત્યાંથી નર્મદા જિલ્લા કલેક્ટર સુધી રેલો આવ્યો.

અંતે નર્મદા જિલ્લા કલેક્ટરે ચીનકૂવા ગ્રામજનોની ફરિયાદ મામલે સ્થળ તપાસના આદેશ આપતાં ગરુડેશ્વર મામલતદાર અને ગામના તલાટી ચીનકૂવા ગામે પહોંચી જરૂરી સમસ્યાની જાત તપાસ કરી હતી. દરમિયાન ત્યાં બે કૂવા રિપેર કરવાના ત્રણથી ચાર રોડ અને બે પ્રોટેક્શન વોલ, 3 કિમીનો ડામર રોડ બનાવવાના આયોજનની લેખિત માહિતીનો રિપોર્ટ નર્મદા જિલ્લા કલેક્ટરને કર્યો હતો. આમ ગ્રામજનોને હવે એક આશ બંધાઈ છે કે હવે ગામને પાયાની સુવિધાઓ મળશે.

Most Popular

To Top