
અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુ કેસમાં CBIની તપાસ હવે પ્રેગ્નન્સી સંબંધિત મુદ્દા પર કેન્દ્રિત થઈ ગઈ છે. તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવા, ચેટ્સ અને પરિવારજનોના નિવેદનો પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ટ્વિશા અને તેના પતિ સમર્થ વચ્ચેનો મુખ્ય વિવાદ પ્રેગ્નન્સીને લઈને હતો. CBIને મળેલી માહિતી મુજબ સમર્થે ટ્વિશાને સવાલ કર્યો હતો કે તે પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ શકે અને બાળક કોનું છે. આ વાતને લઈને બંને વચ્ચે ગંભીર મતભેદો ઉભા થયા હતા. તપાસ દરમિયાન ટ્વિશા અને તેની માતા વચ્ચેની કેટલીક ચેટ્સ પણ સામે આવી છે, જેમાં ટ્વિશાએ લખ્યું હતું કે સમર્થ વારંવાર બાળક વિશે સવાલ કરી રહ્યો છે અને તેનાથી તે ખૂબ જ પરેશાન છે. ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહે અગાઉ જણાવ્યું હતું કે 30 એપ્રિલે ટ્વિશા અને સમર્થે પરસ્પર સહમતિથી પ્રેગ્નન્સી ટર્મિનેટ કરાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ આ નિર્ણય બાદ ટ્વિશા માનસિક રીતે તણાવમાં રહેવા લાગી હતી. ત્યારબાદ પરિવાર તેને ભોપાલના એક જાણીતા સાયકિયાટ્રિસ્ટ પાસે પણ લઈ ગયો હતો. CBI હાલમાં પોસ્ટમોર્ટમ બાદ સુરક્ષિત રાખવામાં આવેલા ગર્ભાશયના હિસ્ટોપેથોલોજી રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ તપાસ માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. અધિકારીઓ ફોરેન્સિક પુરાવા, મોબાઇલ ચેટ્સ અને આરોપીઓના નિવેદનોની સરખામણી કરીને ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમર્થે તપાસ એજન્સીને જણાવ્યું છે કે પ્રેગ્નન્સીને લઈને બંને વચ્ચે બધું સામાન્ય નહોતું. તેણે ટ્વિશાના કેટલાક મિત્રોના નામ પણ તપાસ દરમિયાન જણાવ્યા હોવાનું સૂત્રો કહે છે. સમર્થના જણાવ્યા મુજબ ટ્વિશાનો સ્વભાવ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી બદલાતો હતો અને તે ઘણીવાર ભાવનાત્મક રીતે અસ્વસ્થ રહેતી હતી. તો બીજી તરફ ગિરિબાલા સિંહનું કહેવું છે કે પરિવાર પ્રેગ્નન્સીના સમાચારથી ખુશ હતો, પરંતુ ટ્વિશા બાળક ઇચ્છતી નહોતી. તેને લાગતું હતું કે માતા બનવાથી તેની કારકિર્દી પર અસર પડી શકે છે. CBI હવે ટ્વિશાની સારવાર કરનારા ડૉક્ટરો અને સાયકિયાટ્રિસ્ટના નિવેદનો પણ નોંધશે. એજન્સી જાણવા માંગે છે કે ટ્વિશા કયા પ્રકારની માનસિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહી હતી અને પ્રેગ્નન્સી ટર્મિનેશન પાછળનું કારણ શું હતું.
તપાસમાં CCTV ફૂટેજ, બ્યુટી પાર્લરની મુલાકાત, ઇવનિંગ વોક અને મૃત્યુ પહેલા થયેલી હલચલની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે ફૂટેજમાં ઘટનાની સીધી માહિતી મળી નથી, પરંતુ તે દિવસે ટ્વિશાની ગતિવિધિઓ વિશે કેટલીક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. CBI સૂત્રોના જણાવ્યા અનુસાર કેસના મોટા ભાગની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને હવે બાકી રહેલા ફોરેન્સિક રિપોર્ટના આધારે અંતિમ તારણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી કેટલાક અઠવાડિયામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.