ગાંધીનગર: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા સૈન્ય તણાવ અને હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે તેના પડઘા હજારો કિલોમીટર દૂર ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે. દુબઈ, અબુધાબી, શારજહાં, બહેરીન અને મક્કા સહિતના વિસ્તારોમાં અંદાજે 3000 જેટલા ગુજરાતી ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યારે 1500થી વધુ લોકોએ પોતાના પ્રવાસના બુકિંગ રદ કર્યા છે.
સાવચેતી માટે ગુજરાતીઓના બિલ્ડિંગ ખાલી કરાવાયા
દુબઈમાં નોકરી-ધંધા સાથે જોડાયેલા ગુજરાતીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામનો એક યુવાન, જે દુબઈમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે, બે દિવસમાં પરત જવાનો હતો. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા તેણે મુસાફરી મોકૂફ રાખી છે. તે રહેતો હતો તે વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવાયું હોવાનું જાણવા મળે છે. અનેક સ્થળોએ સુરક્ષા કડક બનાવવામાં આવી છે અને ધડાકાના અવાજોથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
મક્કામાં 55 ગુજરાતી યાત્રાળુઓ અટવાયા, બહાર નીકળવામાં પણ ડર લાગે છે
મક્કામાં પવિત્ર યાત્રા માટે ગયેલા ગુજરાતના અંદાજે 55 લોકો હાલ હોટલોમાં રોકાયા છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે ફ્લાઇટો રદ થતાં તેઓ પરત ફરી શક્યા નથી. ફસાયેલા યાત્રાળુઓએ જણાવ્યું છે કે હોટલના ભાડા અને રહેવા-જમવાના ખર્ચ વધતા આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. કેટલાક યાત્રાળુઓએ દાવો કર્યો છે કે બહાર નીકળતાં પણ ડર લાગે છે. તેઓએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે વહેલી તકે સુરક્ષિત વતન વાપસી માટે અપીલ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પર સતત ફ્લાઇટો રદ
મધ્ય પૂર્વના તણાવની સીધી અસર અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહી છે. દુબઈ, શારજહાં, કુવૈત અને અબુધાબી જતી અનેક ફ્લાઇટો રદ અથવા વિલંબિત થઈ છે. એરપોર્ટ તંત્રએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને ફ્લાઇટની સ્થિતિ ચકાસ્યા બાદ જ મુસાફરી કરવાની સલાહ આપી છે. હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે, છતાં રિફંડ, રહેવાની અને ભોજનની વ્યવસ્થા અંગે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લગ્ન કરેલું એક દંપતી કેનેડા પરત જવા માટે એરપોર્ટ પર અટવાયું છે. અન્ય ઘણા મુસાફરો પણ અનિશ્ચિતતામાં છે.