Gujarat

વેટલેન્ડ્સ માત્ર જળાશય નહીં પૃથ્વીની જીવનરેખા છે

ગાંધીનગર : ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’નું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ આવેલા છે. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી તેમણે શાળાઓમાં ‘વેટલેન્ડ ક્લબ’ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. દરેક જીવનું કુદરતી ચક્રમાં આગવું મહત્વ છે.

તેમણે ઉદાહરણ આપ્યું કે સાપ જેવી રીતે ઉંદરો પર નિયંત્રણ રાખીને અનાજનો બગાડ અટકાવે છે, જે પ્રત્યક્ષ રીતે માનવજાતને મદદરૂપ છે. વધુમાં, ધરમપુર ખાતેના રિસર્ચ સેન્ટરમાં સાપના ઝેરમાંથી એન્ટી-વેનમ દવાઓ બનાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે, તે વિજ્ઞાન અને પ્રકૃતિના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધી રહી છે અને તાજેતરમાં કચ્છના ‘છારી-ઢંઢ’ ને પાંચમી રામસર સાઇટ તરીકે માન્યતા મળી છે. આગામી સમયમાં પોરબંદરના મોકર સાગર અને મેઢાક્રીકને પણ આ વૈશ્વિક યાદીમાં સ્થાન અપાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ ઉપરાંત, પર્યાવરણીય પર્યટનને વેગ આપવા રંગબાઈ માતાના મંદિર પાસે ૨૧ કરોડના ખર્ચે સાંસ્કૃતિક વન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે. અંતમાં તેમણે પર્યાવરણને માતા સમાન ગણાવી તેની જાળવણી માટે સૌને પ્રતિજ્ઞા લેવા આહવાન કર્યું હતું.

Most Popular

To Top