ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ બુધવાર 13 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં તેની ખાસ સામાન્ય સભા (SGM) દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતની બિડને ઔપચારિક રીતે મંજૂરી આપી. ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન શહેર બનાવવા માટે ઇરાદા પત્ર રજૂ કરી દીધો છે. જોકે, ભારતે 31 ઓગસ્ટની અંતિમ તારીખ પહેલાં અંતિમ બિડ માટે દરખાસ્તો સબમિટ કરવાની રહેશે.
કેનેડા રેસમાંથી બહાર થયા પછી 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની ભારતની શક્યતાઓ વધી ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સના ડિરેકટર ડેરેન હોલના નેતૃત્વમાં કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓની એક ટીમ તાજેતરમાં અમદાવાદની મુલાકાતે આવી હતી જેથી સ્થળોનું નિરીક્ષણ કરી શકાય અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી શકાય.
કોમનવેલ્થ ગેમ્સનું એક પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં અમદાવાદ પહોંચે તેવી અપેક્ષા છે. આ પછી નવેમ્બરમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી યજમાન દેશનો નિર્ણય લેશે. આ પછી જ નક્કી થશે કે ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે કે કોઈ અન્ય દેશને આ મેગા ઇવેન્ટનું આયોજન મળશે. જો ભારતને યજમાન પદ મળે છે તો આ રમતો બીજી વખત ભારતમાં યોજાશે.
ભારતે અગાઉ 2010 માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. 20 વર્ષ પછી ભારત ફરીથી આ ગેમ્સનું આયોજન કરી શકે છે. અમદાવાદના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે લગભગ દરેક રમત માટે મેદાન અને કોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઘણી રમતો માટેની સુવિધાઓ પણ તૈયાર છે. આગામી સમયમાં ભારત ઓલિમ્પિકની યજમાની માટે પણ દાવો કરવા જઈ રહ્યું છે.