પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં થયેલા આત્મઘાતી હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા. જ્યારે 10 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલામાં 19 નાગરિકો પણ ઘાયલ થયા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં એક સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું. ત્યારબાદ થયેલા વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા છે તેમજ 10 લશ્કરી કર્મચારીઓ અને 19 નાગરિકો ઘાયલ થયા છે. વિસ્ફોટથી નજીકના ઘરોને પણ નુકસાન થયું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટને કારણે બે ઘરોની છત પણ પડી ગઈ હતી, જેમાં છ બાળકો ઘાયલ થયા હતા. અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે આ પાકિસ્તાનના સૌથી તણાવપૂર્ણ વિસ્તારોમાંનો એક છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના હુમલાઓ અહીં વારંવાર થયા છે.
તાજેતરના ભૂતકાળમાં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ ઝડપથી વધ્યા છે. આવી સ્થિતિમાં બીજો એક મોટો હુમલો પાકિસ્તાનની ચિંતા વધારનારો છે. જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ આ વર્ષે માર્ચમાં પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેણે TTP સાથે જોડાયેલા 10 શંકાસ્પદ આતંકવાદીઓને મારી નાખ્યા છે. દક્ષિણ વઝીરિસ્તાનમાં જંડોલા ચેકપોસ્ટ નજીક ફ્રન્ટિયર કોર્પ્સ કેમ્પ પર આત્મઘાતી હુમલો થયો હતો. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરીને આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
પાકિસ્તાની સેના પર આતંકવાદી હુમલા
છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાની સેના પર અનેક આતંકવાદી હુમલાઓ થયા છે. ડિસેમ્બર 2024 માં એક હુમલામાં 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 8 ઘાયલ થયા હતા. આ હુમલો અફઘાનિસ્તાન સરહદ નજીક થયો હતો, જેની જવાબદારી TTP એ લીધી હતી. જાન્યુઆરીમાં બલૂચ લિબરેશન આર્મીએ કેચમાં 35 હુમલા કર્યા હતા જેમાં 94 સૈનિકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. જૂનમાં બલૂચ આર્મીએ ગ્વાદરના સયાબાદ પર હુમલો કર્યો હતો જેમાં 16 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.