Comments

ચાણક્ય નીતિની ત્રણ વાતો

એક ઇન્ટરેસ્ટિંગ રેડિયો કાર્યક્રમ હતો. ‘ચાણક્યને પૂછો’ આ કાર્યક્રમમાં જે આર જે હતો તે અર્થશાસ્ત્રના રચયિતા આચાર્ય ચાણક્યે લખેલી અને કહેલી વાતો જન સામાન્યને સમજાય તે રીતે વાર્તા રૂપે રજૂ કરતો. આજના કાર્યક્રમમાં તેણે કહ્યું, ‘આજે ત્રીજો મહિનો અને ત્રીજી તારીખ છે તો આપણે વાતો કરીશું. આચાર્ય ચાણક્યની નીતિની ત્રણ વાતો કરીશું અને એકસાથે ત્રણ ત્રણ ગીતોના મુખડા સાંભળીશું. આર.જે એ આજની વાત શરૂ કરી. વર્ગમાં પ્રોફેસર આવ્યા અને કહ્યું, ‘હું આજે તમને ચાણક્ય નીતિની ત્રણ વાતો સમજાવવાનો છું.

સૌથી પહેલાં ત્રણ વસ્તુ એવી છે જે હંમેશા કોઈને પણ સમજી વિચારીને આપવી જોઈએ.તે ત્રણ વસ્તુ છે; કોઈ પણ સવાલનો જવાબ,હંમેશા દરેક નાના કે મોટા સવાલનો જવાબ બરાબર વિગત સમજીને તેની લાંબી અસર વિચારીને આપવો — કોઈને આપવાની સલાહ, કોઈ સલાહ ન માંગે ત્યાં સુધી આપવી નહિ અને જયારે કોઈ સલાહ માંગે ત્યારે એકદમ પરિસ્થિતિ અને સંજોગો સમજી બધી બાબતનો વિચાર કરી અને પોતાને તે સ્થિતિમાં વિચારીને આપવી અને કોઈને પણ ઉધાર પૈસા, પૈસા કોને આપો છો? કેટલા આપો છો? ક્યારે પાછા આપશે, આપી શકશે કે નહિ તે બધા વિષે વિચાર કરીને ઉધાર આપવું.

આ ત્રણે વસ્તુ આપતી વખતે હંમેશા પૂરેપૂરો વિચાર કરજો.’ ત્રણ ગીતો ગૂંજ્યા પછી આગળ વાત ચાલી. પ્રોફેસરે કહ્યું , ‘હવે વાત કરીએ કે આચાર્ય ચાણક્યે એવી કઈ ત્રણ વસ્તુઓ જણાવી છે, જે હંમેશા બધાને બહુ જ પ્યારી હોય છે.તે ત્રણ વસ્તુ છે; સૌથી પહેલાં છે પૈસા, પણ યાદ રાખવું કે આ પૈસા નીતિથી કમાવા જોઈએ.કોઈ બીજાના કે અણહકના કે ચોરી કરેલા ન હોવા જોઈએ અને પૈસાનો સતત સદુપયોગ કરવો જોઈએ.બીજી સૌથી પ્યારી વસ્તુ છે ‘સ્ત્રી’; પોતાની પત્નીને બહુ પ્રેમ કરવો પણ અન્ય સ્ત્રી પર નજર ખરાબ કરવી નહિ.દરેક સ્ત્રીની રક્ષા કરવી અને સન્માન જાળવવું.પછી સૌથી પ્યારી ત્રીજી વસ્તુ છે ‘સંતાન’.પોતાના સંતાનને દરેક માતા પિતા પ્રેમ કરે છે પણ સંતાનના મોહમાં અંધ બની તેની ખોટી જીદ પૂરી કરવી નહિ અને સંતાન મોટાં થાય ત્યારે તેમના મિત્ર બની જવું.’

ફરી ત્રણ ગીતો ગૂંજ્યાં. આર જે એ આગળ વાત કરી પ્રોફેસરે આગળ કહ્યું, ‘આચાર્ય ચાણક્યે જણાવ્યું છે કે આ ત્રણ વસ્તુ ક્યારેય ન કરો.તે છે ઘમંડ; કોઇ પણ વાતનું પૈસા ,સુંદરતા ,વિદ્યા,આવડત કોઈ વાતનું અભિમાન ન કરવું.બીજી વાત છે ‘અપમાન’અભિમાન કે પોતાના પદ અને પ્રતિષ્ઠાના આધારે કોઈ અન્યનું અપમાન ક્યારેય ન કરવું અને ત્રીજી વાત છે ‘અપેક્ષા.’કોઈ પાસેથી ક્યારેય કોઈ અપેક્ષા રાખવી નહિ. અપેક્ષા નહિ રાખો તો જીવનમાં જે મળશે તેની સાચી ખુશી અનુભવી શકશો.’ ત્રણ ગીતો ગૂંજ્યાં અને કાર્યક્રમ પૂરો થયો. બહુ આસાનીથી આર જે એ જીવનમાં સમજવા જેવી અઘરી વાતો સરળતાથી સમજાવી દીધી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top