Charotar

નડિયાદ નગરપાલિકાએ 11 કરોડ ઉપરાંતના ટેક્સ લેણાં વસુલવા મોટા એકમો પર લાલ આંખ કરી



નગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા એકમો નોટીસ લગાવી ટેક્સ ભરવા 2 દિવસની સમયમર્યાદા આપી
2 દિવસમાં ટેક્સ ભરપાઈ ન કરે તેવા એકમો સીલ કરવાની ચિમકી ઉચ્ચારી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.4
નડિયાદ નગરપાલિકામાં પાછલાં નાણાંકીય વર્ષોના ટેક્સ ન ચુકવનારા મોટા એકમો પાસેથી ટેક્સ વસુલાતની કામગીરી આરંભી છે. ગત રોજ નગરપાલિકાએ વોર્ડ નં.12માં આવેલા કેટલાક મોટા એકમોમાં પહોંચી અને વેપારીઓ તેમજ જે-તે મિલકત માલિકોને રૂબરૂ સમજાવટ કરી અને નોટીસો પાઠવી છે. જેના કારણે જે મિલકતધારકોનો ટેક્સ બાકી છે, તેમને દોડધામ શરૂ કરી છે. તો આ નોટીસો પાઠવ્યા બાદ એક જ દિવસમાં 1.55 લાખ રૂપિયા ટેક્સ ભરપાઈ થયો છે.
નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળના સીધા માર્ગદર્શનમાં ઈચા. ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ મુકેશભાઈ પટ્ટણી અને ટેક્સ વિભાગના અન્ય કર્મચારીઓ શહેરના મોટા એકમોના પાછલાં બાકી લેણાં ભરપાઈ કરાવવા માટે કવાયત હાથ ધરાઈ છે. નગરપાલિકામાં અંદાજીત 11 કરોડ ઉપરાંતનો પાછલા વર્ષોનો ટેક્સ વસુલવાનો બાકી છે. આથી ટેક્સ વિભાગે ગઈકાલે 3 જુલાઈ, 2024ના દિવસથી શહેરમાં આવેલા મોટા એકમોનો ટેક્સ બાકી હોય, તેમને નોટીસ પાઠવવાનું શરૂ કર્યુ છે. ગતરોજ ઈચા. ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ મુકેશભાઈ પટ્ટણી અને તેમની ટીમે વોર્ડ નં.12માં આવા 5 જેટલા મોટા એકમોમાં પહોંચી અને મિલકત માલિકોને ટેક્સ ભરપાઈ કરવા માટે સમજાવટ કરી હતી અને નોટીસો પણ પાઠવી હતી. આ ઉપરાંત મિલકત માલિકોને ટેક્સ ભરવા માટે 2 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે, જે સમયગાળામાં ટેક્સની ભરપાઈ ન થાય તો 2 દિવસ બાદ જે-તે મિલકતો સીલ કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ વચ્ચે નોટીસો પાઠવ્યા બાદ નગરપાલિકામાં એક જ દિવસમાં 1.55 લાખનો ટેક્સ ભરપાઈ થયો છે. આ ઉપરાંત હજુ આગામી દિવસોમાં પણ નગરપાલિકાની આ કામગીરી યથાવત રહેવાની છે, જેના પગલે હવે ટેક્સ બાકી ધરાવતા હોય, તેવા મિલકધારકોએ પણ નગરપાલિકામાં ટેક્સની ભરપાઈ કરવા દોડ મુકી છે. નગરપાલિકાની કાર્યવાહીના પગલે ટેક્સની મોટી રકમો બાકી ધરાવતા હોય, તેવા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Most Popular

To Top