Comments

દરેક લડાઈ જીતવા માટેની હોતી નથી, કયારેક માહ્યલાને જીવતો રાખવા લડવું પડે છે

છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂત આંદોલન ચાલી  રહ્યું છે. ખેડૂત આંદોલનના મુદ્દે મીડિયા પણ બે ભાગમાં વહેંચાયેલું છે.જો કે આ બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. આમ તો મીડિયાનું કામ  મોટા ભાગે પ્રજાની સાથે રહી તંત્રના કાન પકડવાનું છે, પરંતુ લાગે છે હવે  તેવું પત્રકારત્વ ભૂતકાળ બનતું જાય છે. પત્રકારત્વની શાળામાં જે પ્રકારની તાલીમ મળે છે તેમાં પરિસ્થિતિ સામે લડવાનું શીખવાડવામાં આવે છે.

પરંતુ બહાર નીકળ્યા પછી સમજાય છે કે અહિંયા તો આપણે પરિસ્થિતિને તાબે કેમ રહેવું તેની તાલીમ મળે છે,જેના કારણે પત્રકારત્વની શાળાની તાલીમ અને વાસ્તવિક દુનિયામાં મળી રહેલી તાલીમ વચ્ચે મોટા ભાગના પત્રકારોના મનમાં દ્વંદ્વનો જન્મ થાય છે.

આ માનસિક પરિસ્થિતિમાં પત્રકારને પોતાનાં વૃધ્ધ માતા-પિતા, પત્ની, બાળકો અને સામાજિક જવાબદારીનું ભાન થાય છે ત્યારે તે બકબક કરતા પોતાના મનને શાંત રહેવાનો આદેશ આપે છે. જો કે તે પોતાના મનને તો શાંત કરે છે, પણ તે ખુશ હોતો નથી.

બહુ ઓછા પત્રકારો સામા પ્રવાહે તરવાની હિંમત  કરી શકે છે. રક્ષિતસિંહ જેવા બહુ ઓછા પત્રકારો હોય છે, જે આવતી કાલને જોયા વગર આંધળી હિંમત કરે છે. આવા રક્ષિતસિંહ માત્ર પત્રકારત્વની દુનિયામાં નહીં, તમામ ક્ષેત્રોમાં આ પ્રકારના માણસો હોય છે.

રક્ષિતસિંહને નોકરી છોડતાં પહેલાં પોતાની સાથે બહુ લાંબી લડાઈ લડવી પડી હશે.રક્ષિતે જયારે નોકરી છોડવાનું મન બનાવ્યું હશે ત્યારે પોતાની અંદર રહેલા  કેટલા બધા  ડરને હરાવવા પડયા હશે.  નોકરી છૂટી જવી  એક ઘટના છે, પણ કોઈ મુદ્દાને લઈ ખાસ કરી પોતાનો અંગત સ્વાર્થ ના હોય તેવા અન્ય કોઈના હિતમાં નોકરી છોડવી  બહુ હિંમત માંગે તેવી ઘટના છે.ખેર, રક્ષિતસિંહે તેવી હિંમત કરી નાખી. આવતી કાલે રક્ષિત સાથે શું થશે અથવા તેની આવતી કાલ કેવી હશે તેની જાણકારી માટે સમયની જ  રાહ  જોવી  પડશે.

દરેક દસકામાં બીજા માટે લડનાર જૂજ લોકો હોય છે, તેનો અર્થ એવો પણ નથી કે જેઓ લડતા નથી  તેઓ ડરપોક અને અપ્રમાણિક હોય છે. જેઓ લડતા નથી તેઓ પણ માણસ તરીકે એટલા જ ઉત્તમ હોય છે પરંતુ કેટલીક બાબતો ઈશ્વરી ભેટ જેવી હોય છે.કેટલાંક જન્મજાત લડવૈયા હોય છે, કેટલાંક બીજાને લડતા જોઈ મેદાનમાં ઝંપલાવે છે.

પણ સમસ્યા એવી છે કે જેઓ લડતા નથી તે નજર સામે દેખાતા સત્યને જાણતા નથી તેવું નથી. તેમની સમજ અંગે પણ કોઈ શંકા નથી.એક લડાયક માણસને જે સમજાય છે તે બધું જ લડાઈની બહાર બેઠેલાને પણ સમજાય છે,જેઓ મેદાનની બહાર બેઠા છે તેમની અંદર પણ ગુસ્સો અને નારાજગી હોય છે, પણ બધાની રક્ષિતસિંહ થવાની હિંમત હોતી નથી. રક્ષિતસિંહ ના થઈ શકાય તો વાંધો નથી, પણ જેટલા પણ રક્ષિતસિંહ બહાર નીકળે છે તેમની ટીકા પણ થવી જોઈએ નહીં, પણ સામાન્ય રીતે તેવું થતું નથી.  આપણે રક્ષિતસિંહ  જેવી વ્યકિતને મૂર્ખ,જીદ્દી અને ઉતાવળિયો માની બેસીએ  છીએ.

કોઈ પણ લડાઈ એકસરખી પધ્ધતિથી લડાતી નથી,અને દરેક લડાઈ જીતવા માટેની હોતી પણ નથી. કયારેક પોતાની અંદરના માણસને જીતવા માટે પણ લડવું પડે છે. કદાચ રક્ષિતે પણ તેવું જ કર્યું છે, પરંતુ હવે જેઓ મેદાનની બહાર બેઠા છે તેમને તેઓ રક્ષિત થઈ શકતા નથી તેનો રંજ છે.

તેઓ પોતાના રંજને શાંત કરવા માટે રક્ષિતની પીઠ થાબડવાને બદલે રક્ષિતને ભાંડવાનું શરૂ કરે છે. રક્ષિત તો પ્રતીકાત્મક છે, પણ બધા રક્ષિતોની વિવિધ ક્ષેત્રમાં આવી જ સ્થિતિ છે, જેઓ લડતા નથી,તેઓ લડાઈ લડનારનો હિસ્સો બને નહીં તો વાંધો નહીં, પણ બહાર બેઠેલા લોકો લડાઈ લડનારનો જુસ્સો તોડવાનો પ્રયત્ન કરે છે.

આપણે લડી શકીએ નહીં તો વાંધો નહીં, પણ કયારેક લડાઈ લડનારની ટીકા કરવાને બદલે મૌન રહીએ તો પણ ઘણું  છે.સામાન્ય રીતે જેઓ લડતાં નથી તેમના મનમાં એક પ્રકારનો દોષિત ભાવ હોય છે, જયારે તેઓ કોઈ  લડનારને જુવે છે ત્યારે દોષિત ભાવ બેવડાય છે તેવા સંજોગોમાં તેઓ પોતાના દોષિત ભાવને શાંત કરવા જે લડે છે તેને ખોટો સાબિત કરવા તેની ઉપર તૂટી પડે છે.

 મેં પહેલાં પણ કહ્યું તેમ જેઓ લડે છે તેઓ ઉત્તમ છે પરંતુ જેઓ લડતા નથી તેઓ પણ માણસ તરીકે એટલા જ ઉત્તમ છે. લડવું અથવા ના લડવું તે વ્યકિતગત પસંદગી  છે પણ તેઓ અર્થ એવો પણ નથી, જેઓ લડતા નથી તેઓ કાયર છે. જેવી લડાઈ નહીં લડનારની સમસ્યા છે તેવી લડાઈ લડનારની પણ સમસ્યા છે, જેઓ લડાઈ લડે છે તેઓ પોતાને બીજા કરતાં જુદા સમજે છે અને કહેવાતી બહાદુરીનો ભોગ બને છે.

આ માનસિક દશા જોખમી છે કારણ પોતે બીજા કરતાં  બહાદુર છે તેવી  મનોદશા ભૂલ કરાવી શકે છે. આમ જેઓ લડે છે અને જેઓ લડતા નથી તેમણે સાવચેતીપૂર્વક પોતાને સંભાળી લેવાની જરૂર છે. જયારે એક ટોળું કાયમ આપણી આસપાસ એવું હોય છે, જેમને કોઈ પણ ઘટના અંગે સ્નાનસૂતક સંબંધ હોતો નથી પરંતુ  તેઓ સતત હાકલા પડકારા કરતા હોય છે.  તેઓ અમદાવાદના સોલાથી લઈ સીરીયા સુધીના પ્રશ્ન ઉપર બોલી શકે છે. આ  ટોળાના દેકારામાં એક સૂર હોતો નથી.ટોળું એક સાથે અલગ અલગ વાત કરે છે, સોશીયલ મીડિયાના યુગમાં આ પ્રકારનો ટોળાથી પોતાને બચાવી રાખવી જરૂરી છે.

                – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top