2012માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થયેલો શાહરૂખ ખાન અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. IPL સીઝન વચ્ચે આ જૂની ઘટના ફરી હેડલાઇન્સમાં છે, કારણ કે તે સમયના પૂર્વ ACP ઈકબાલ શેખે હવે આ મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. આ ઘટનાની વાત કરીએ તો આ ઘટના ત્યારે બની હતી જ્યારે કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR)એ મુંબઈ ઇન્ડિયન્સને હરાવી હતી. મેચ પૂરી થયા પછી મોટાભાગના દર્શકો સ્ટેડિયમ છોડીને જઈ ચૂક્યા હતા અને ત્યાં શાંતિપૂર્ણ વાતાવરણ હતું. તે સમયે શાહરૂખ ખાન મેદાનમાં કેટલાક બાળકો સાથે રમતા હતા. આ દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને સીટી વગાડી. ગાર્ડના આ વર્તનથી વાત શરૂ થઈ અને થોડી જ વારમાં બંને વચ્ચે તણાવ વધ્યો. પૂર્વ ACP ઈકબાલ શેખના જણાવ્યા અનુસાર, તેમને આ ઘટનાની જાણ MCA (મુંબઈ ક્રિકેટ એસોસિએશન)ના એક અધિકારીએ કરી હતી. માહિતી મળતા જ તેઓ તરત જ સ્થળ પર પહોંચ્યા. ત્યાં પહોંચતા સુધીમાં વાત વધુ ગંભીર બની ગઈ હતી અને સ્ટેડિયમમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પોલીસને સ્થિતિ સંભાળવી પડી હતી.
ઈકબાલ શેખ કહે છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તેઓ સીધા શાહરૂખ ખાન પાસે ગયા અને તેમને શાંતિથી બહાર જવા વિનંતી કરી. શાહરૂખે તેમની વાત સ્વીકારી અને તેઓ સ્ટેડિયમની બહાર નીકળી ગયા. ત્યારબાદ ધીમે ધીમે મામલો શાંત પડી ગયો. આ ઘટનાને લઈને તે સમયે પણ ઘણી ચર્ચા થઈ હતી. શાહરૂખ ખાન પર વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ પણ મુકાયો હતો. ઘણા લોકોએ તેમના વર્તનને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ તેમને સમર્થન પણ આપ્યું હતું. પછી શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાની તરફથી સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી ગાર્ડે બાળકોની હાજરીમાં કેટલાક અપમાનજનક અને ધાર્મિક રીતે સંવેદનશીલ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દો તેમને ખૂબ ખરાબ લાગ્યા અને તેથી તેઓ ગુસ્સે થઈ ગયા. તેમના જણાવ્યા મુજબ, તેઓ પોતાના બાળકોની સામે આવી ભાષા સહન કરી શક્યા નહોતા.
શાહરૂખે એ પણ કહ્યું હતું કે તેઓ સામાન્ય રીતે શાંત રહેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે દિવસની પરિસ્થિતિ અલગ હતી. બાળકોની સામે થયેલી આ વાત તેમને વ્યક્તિગત રીતે પણ ઠેસ પહોંચાડતી હતી, જેના કારણે તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતા. આ આખી ઘટનાએ તે સમયે મોટી ચર્ચા ઉભી કરી હતી અને આજે પણ તે લોકોના મનમાં તાજી છે. હવે પૂર્વ ACPના નિવેદન પછી આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે અને લોકો ફરી એકવાર આ ઘટનાની પાછળનું સત્ય જાણવાની કોશિશ કરી રહ્યા છે. ક્યારેક નાની બાબતથી પણ મોટો વિવાદ ઉભો થઈ શકે છે, ખાસ કરીને ત્યારે, જયારે તેમાં જાણીતા લોકો સામેલ હોય.