Madhya Gujarat

બોરસદ જેલમાંથી ભાગેલો હત્યાનો આરોપી પકડાયો

છ માસ પહેલા કુલ ચાર કેદી ભાગી ગયાં હતાં

બોરસદ સબ જેલમાં છ માસ પહેલા ગાર્ડને ચકમો આપી ચાર કેદી ભાગી ગયાં હતાં. જે અંગે ચાલી રહેલી તપાસમાં મુખ્ય સુત્રધારને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ શખ્સ બળાત્કાર તેમજ હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો.
બોરસદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. સિંધવ સહિતની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બોરસદ શહેર વિસ્તારની હદમાં આવેલા ધુવારણ રોડ પરથી અજાણી મહિલાની નગ્ન અવસ્થાની લાશ હત્યા કરેલી હાલતમાં મળી આવી હતી. જે અંગે બોરસદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ દરમિયાન આ હત્યામાં સંડોવાયેલા સંજય ઉર્ફે ચોટલી ગણપત પરમારને પકડી પાડ્યો હતો. સંજયને બોરસદ સબ જેલમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ 2જી સપ્ટેમ્બર,23ની રાત્રિના સુમારે બેરેક નં.3માંથી ગાર્ડને ચકમો આપી સંજય સહિત ચાર કેદી ભાગી ગયાં હતાં. જેની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ફરાર કેદી પૈકી મુખ્ય સુત્રધાર સંજય ઉર્ફે ચોટલી ગણપત પરમાર બોરસદની કેજીએન હોટેલ પાસે આવી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી કેજીએન હોટેલ પાસે વોચ ગોઠવી હતી. જોકે, પોલીસની ગંધ આવી જતાં સંજય ખેતરોમાં ભાગવા લાગ્યો હતો. પરંતુ પોલીસે તેનો પીછો કરી પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સંજય ઉર્ફે ચોટલી બોરસદ અને ભાદરણ પંથકમાં ખેતરમાં ભટકતું જીવન જીવતો હતો અને ભીક્ષુક તરીકે જે મળે તે ખાઇ જીવન ગુજારતો હતો.

Most Popular

To Top