લોકસભામાં મહિલા અનામત બિલ સાથે જોડાયેલા ત્રણ બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. લગભગ 21 કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ જ્યારે મતદાન થયું, ત્યારે જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતા બિલ નામંજૂર થયું. બંધારણ (131મો) સુધારા બિલ, 2026 માટે કુલ 528 સાંસદોએ મતદાન કર્યું. બિલના પક્ષમાં 298 મત અને વિરોધમાં 230 મત મળ્યા. જોકે, બિલ પસાર કરવા માટે ઓછામાં ઓછા 352 મત જરૂરી હતા, જેના કારણે બિલ 54 મતોથી પસાર થઈ શક્યું નહીં. આ સાથે સરકાર બાકીના બે બિલ, સીમાંકન સુધારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત સુધારા પર મતદાન કરાવવાથી પણ ફેલ રહી. છેલ્લા 11 વર્ષના શાસનમાં આ પહેલીવાર છે કે મોદી સરકાર લોકસભામાં કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં નિષ્ફળ રહી છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે.
બિલ નામંજૂર થતાં વિપક્ષે તેને પોતાની મોટી જીત ગણાવી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બંધારણ પરના હુમલાને અમે હરાવી દીધો છે. આ સાચું મહિલા અનામત બિલ નહોતું, પરંતુ રાજકીય માળખાને બદલવાનો પ્રયાસ હતો. પ્રિયંકા ગાંધીએ પણ આ નિર્ણયને લોકશાહી અને દેશની એકતા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો. કોંગ્રેસના નેતા શશિ થરૂરે જણાવ્યું કે તેઓ મહિલા અનામતના સમર્થનમાં છે, પરંતુ તેને સીમાંકન સાથે જોડવું યોગ્ય નથી. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા.
બીજી તરફ, સરકાર અને ભાજપે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કર્યા. સંસદ બહાર NDAની મહિલા સાંસદોએ વિરોધ નોંધાવ્યો. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ દરેક મુદ્દાનો વિરોધ કરે છે અને મહિલા સશક્તિકરણ સામે ઉભી છે. ગૃહમંત્રી અમિત શાહે લાંબા ભાષણમાં વિપક્ષની ટીકા કરતા કહ્યું કે વિપક્ષ વિચાર્યા વગર વિરોધ કરી રહ્યો છે. તેમણે રાહુલ ગાંધીના વર્તન પર પણ પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે ગૃહની ગરિમા જાળવવી જરૂરી છે. શાહે દાવો કર્યો કે ભાજપ સરકારે હંમેશા મહિલાઓને આગળ વધારવાનું કામ કર્યું છે, પછી ભલે તે ત્રણ તલાક કાયદો હોય, મહિલા મુખ્યમંત્રીઓની નિમણૂક હોય કે પંચાયત સ્તરે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવું હોય. આ સમગ્ર ઘટનાએ દેશની રાજનીતિમાં નવી ચર્ચા ઊભી કરી છે. એક તરફ સરકાર મહિલા સશક્તિકરણનો દાવો કરી રહી છે, જ્યારે બીજી તરફ વિપક્ષ આ બિલને બંધારણમાં ફેરફાર કરવાનો પ્રયાસ ગણાવી રહ્યો છે.