National

2029થી ‘વન નેશન, વન ઇલેક્શન’ અમલમાં આવી શકે, JPCએ તેજ કરી તૈયારીઓ

ભારતમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલો ‘વન નેશન, વન ઇલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી)નો પ્રસ્તાવ હવે અમલ તરફ આગળ વધી રહ્યો છે. સંસદની સંયુક્ત સમિતિ (JPC) આ યોજના 2029ની લોકસભા ચૂંટણીથી લાગુ થઈ શકે તે માટે સતત તૈયારીઓ કરી રહી છે. સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું છે કે અત્યાર સુધી દેશભરમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચર્ચાઓ દરમિયાન લગભગ 99 ટકા લોકો અને વિવિધ સંગઠનોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. સમિતિ હવે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, રાજકીય પક્ષો, કાનૂની નિષ્ણાતો અને વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરીને અંતિમ ભલામણ તૈયાર કરી રહી છે.

તાજેતરમાં સમિતિએ ગોવાની મુલાકાત લઈને ત્યાંના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. ભાજપના સાંસદ અને સમિતિના સભ્ય અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગોવા જેવા નાના રાજ્યમાં પણ વારંવાર યોજાતી ચૂંટણીઓથી સરકારના વિકાસ કાર્યો પર અસર થાય છે. જો નાના રાજ્યમાં આવી અસર જોવા મળે છે તો મોટા રાજ્યો અને સમગ્ર દેશમાં તેનો પ્રભાવ વધુ મોટો હોઈ શકે છે. તેમણે કહ્યું કે હવે સમિતિનો આગામી પ્રવાસ લખનઉનો રહેશે, જ્યાં ઉત્તર પ્રદેશ સરકાર, વિપક્ષના નેતાઓ, વિવિધ રાજકીય પક્ષો અને વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સમિતિ આગામી દિવસોમાં પોતાના અહેવાલને અંતિમ સ્વરૂપ આપીને સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારનો પ્રયાસ છે કે બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીને 2029થી આ યોજના અમલમાં મૂકી શકાય.

‘વન નેશન, વન ઇલેક્શન’નો મુખ્ય હેતુ દેશભરમાં લોકસભા, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અલગ-અલગ સમયે કરાવવાને બદલે એકસાથે યોજવાનો છે. હાલમાં દેશમાં વર્ષના અલગ-અલગ સમયગાળામાં ચૂંટણી યોજાતી હોવાથી સરકારો વારંવાર ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત રહે છે. આ કારણે વિકાસના કામો પર અસર પડે છે અને ચૂંટણી ખર્ચ પણ ઘણો વધી જાય છે. સરકારનું માનવું છે કે એકસાથે ચૂંટણી યોજવાથી સમય, નાણાં અને વહીવટી સંસાધનોની મોટી બચત થશે. જો આ યોજના અમલમાં આવશે તો કેટલાક રાજ્યોના કાર્યકાળમાં ફેરફાર કરવો પડશે. જે રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2029 પછી પૂર્ણ થવાનો હશે, તેમનો કાર્યકાળ બંધારણીય સુધારા દ્વારા સમય પહેલાં સમાપ્ત કરીને 2029ની ચૂંટણી સાથે જોડવામાં આવી શકે છે. જ્યારે જે રાજ્યોમાં 2029 પહેલાં કાર્યકાળ પૂર્ણ થવાનો હશે, ત્યાં ટૂંકા ગાળાની ચૂંટણી અથવા જરૂર પડે તો મર્યાદિત સમય માટે રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ પણ વિચારાધીન છે.

સરકાર અને સંયુક્ત સંસદીય સમિતિ હાલમાં એક સુરક્ષિત ટ્રાન્ઝિશન મોડેલ પર પણ કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ‘ટુ-ફેઝ ટ્રાન્ઝિશન મોડેલ’ સૌથી વ્યવહારુ માનવામાં આવી રહ્યો છે. તેના હેઠળ સમગ્ર દેશને એકસાથે ચૂંટણી ચક્રમાં લાવવાને બદલે બે તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 2029માં લોકસભા સાથે લગભગ 20 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાશે, જ્યારે બાકીના રાજ્યોને 2034 સુધીમાં સામાન્ય ચૂંટણી ચક્રમાં સામેલ કરવામાં આવશે. આ મોડેલથી કોઈ રાજ્યનો કાર્યકાળ ખૂબ ઓછો કરવો ન પડે અને રાજકીય તેમજ વહીવટી મુશ્કેલીઓ પણ ઓછી રહે.

આ યોજના અમલમાં મૂકવા માટે બંધારણના અનેક અનુચ્છેદોમાં સુધારો જરૂરી બનશે. ખાસ કરીને અનુચ્છેદ 83, 172 અને 356 સહિતની જોગવાઈઓમાં ફેરફાર કરવાની જરૂર પડશે. આ માટે સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી ઉપરાંત દેશના અડધાથી વધુ રાજ્યોની મંજૂરી પણ જરૂરી રહેશે. એટલે કે માત્ર કેન્દ્ર સરકારની ઇચ્છાથી આ યોજના અમલમાં આવી શકશે નહીં, પરંતુ રાજ્યોની સહમતિ પણ એટલી જ મહત્વપૂર્ણ રહેશે.

નિષ્ણાતોનું માનવું છે કે બંધારણમાં આવા ફેરફારો માટે પૂરતી જોગવાઈઓ ઉપલબ્ધ છે. મોહનલાલ સુખાડિયા યુનિવર્સિટીના કાયદા વિભાગના પૂર્વ ડીન આનંદ પાલીવાલના જણાવ્યા મુજબ, કેટલાક રાજ્યોમાં સમય પહેલાં ચૂંટણી યોજી શકાય છે તો કેટલાક કિસ્સાઓમાં કાર્યકાળમાં મર્યાદિત વધારો પણ શક્ય છે. ભારતના રાજકીય ઇતિહાસમાં અગાઉ પણ વિશેષ પરિસ્થિતિઓમાં લોકસભા અને વિધાનસભાના કાર્યકાળમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

‘વન નેશન, વન ઇલેક્શન’નો વિચાર નવો નથી. વર્ષ 1952થી 1967 સુધી દેશભરમાં લોકસભા અને મોટાભાગની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી. પરંતુ 1967 પછી અનેક રાજ્યોમાં સરકારો સમય પહેલાં પડી જવા લાગી. ત્યારબાદ ઘણી વિધાનસભાઓ ભંગ થઈ અને 1970માં લોકસભા પણ સમય પહેલાં ભંગ થતાં સમગ્ર ચૂંટણી ચક્ર તૂટી ગયું. ત્યારથી દેશમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાવાની પરંપરા શરૂ થઈ, જે આજે પણ ચાલુ છે.

આ વિચારને આગળ વધારવા માટે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2023માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ લગભગ 191 દિવસ સુધી વિવિધ હિતધારકો, કાનૂની નિષ્ણાતો અને રાજકીય પક્ષો સાથે ચર્ચા કરીને વિગતવાર અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ માર્ચ 2024માં પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યો હતો. હવે તે ભલામણોના આધારે સંસદીય સમિતિ આગળની કાર્યવાહી કરી રહી છે. જો તમામ બંધારણીય અને રાજકીય પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો દેશ 2029થી ‘વન નેશન, વન ઇલેક્શન’ના નવા ચૂંટણી મોડલ તરફ આગળ વધી શકે છે. જોકે આ માટે રાજકીય સહમતિ, બંધારણીય સુધારા અને રાજ્યોનો સહકાર સૌથી મહત્વપૂર્ણ રહેશે.

Most Popular

To Top