Columns

વાંસદા તાલુકાની બોર્ડર પર આવેલું અને 70 ટકા સાક્ષર ગામ ખાંભલા

વાંસદા તાલુકાના છેવાડા અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલું ખાંભલા ગામ આજે અનેક પ્રગતિના પંથે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. 3691 વસતી ધરાવતા ખાંભલા ગામમાં 1882 પુરુષ અને 1808 સ્ત્રી વર્ગનો સમાવેશ થાય છે. જેમાં ચૂંટણી દરમિયાન 2389 જેટલું મતદાન થાય છે. ખાંભલા ગામમાં પોસ્ટ ફળિયું, બજાર ફળિયું, વાટી ફળિયું, પટેલ ફળિયું, મહુ ફળિયું, ચિકાર ફળિયું, ઉપલા ફળિયું અને મંદિર ફળિયું એમ આઠ ફળિયાંનો સમાવેશ થાય છે. ખાંભલા ગામમાં કુકણા, ધોડિયા, ચવધરી, ગાયકવાડ, ચૌધરી, વારલી વગેરે જાતિના લોકો વસવાટ કરે છે. પરંતુ કુકણા જાતિના લોકો વધુ જોવા મળે છે. ખાંભલા ગામ વાંસદા તાલુકાનું છેવાડાનું ગામ હોવાથી ઔદ્યોગિક ક્ષેત્ર નહીં હોવા છતાં અહીંના લોકો ખેતી અને પશુપાલન કરી આર્થિક રીતે પગભર થઈ આગળ વધી રહ્યા છે. અહીંના ખેડૂતો ખેતીમાં ડાંગર, શેરડી, ચણા, તુવેર જેવા પાકોની ખેતી કરે છે. પરંતુ અહીંના લોકોનો મુખ્ય ખોરાક ડાંગર હોવાથી તેની ખેતી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગામમાં લીલાંછમ ખેતરો તેમજ દરેક ફળિયાં અને મહોલ્લામાં પાકા ડામર રસ્તા અને પેવર બ્લોકના કામથી ગામની સુંદરતામાં વધારો થઈ જાય છે. ખાંભલા ગામ તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્રની બોર્ડર વિલેજનું ગામ હોવા છતાં અહીં 70 ટકા જેટલું સાક્ષરતાનું પ્રમાણ જોવા મળી રહે
છે.

ગામની અન્ય સુવિધાઓ
ખાંભલા ગામની મધ્યમાંથી પસાર થતો રસ્તો મહારાષ્ટ્રને જોડતો રસ્તો હોવાથી અને ગામથી માત્ર ત્રણ કિ.મી.ના અંતરે મહારાષ્ટ્ર બોર્ડર આવેલી હોવાથી ખાંભલા ગામમાં નાના-મોટા વેપારીઓ અનેક સુવિધાયુક્ત દુકાનો ચલાવી રહ્યા છે. જેનો ગ્રામજનોને ઘરઆંગણે બહોળો લાભ મળી રહે છે, તેમજ ખાંભલા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં રાત્રિ હાટ બજારનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં આજુબાજુનાં ગામોના ખેડૂતો સહિત મહારાષ્ટ્રના ખેડૂતો પણ પોતાની શાકભાજીનું વેચાણ કરવા આવતા હોય છે. જેમાં સ્થાનિક ખેડૂતો સવારે પોતાનાં ખેતરોમાંથી વિવિધ પ્રકારની શાકભાજીઓ લાવી રાત્રિ હાટ બજારમાં વેચી ઘરઆંગણે સારી આજીવિકા મેળવી લે છે. તેમજ વાંસદા તાલુકાનું અંતરિયાળ ગામ હોવા છતાં અહીં ગામની મધ્યમાં એટલે કે બજાર ફળિયા ખાતે એક 24 કલાક પેટ્રોલ પંપની સુવિધા પણ મળી રહે છે. જેના થકી અહીંના લોકોએ હવે પેટ્રોલ-ડીઝલ માટે વાંસદા સુધી જવાની જરૂર પડતી નથી. ઘરઆંગણે પેટ્રોલ – ડીઝલ મળી રહેતાં લોકોનો ઘણો સમય બચી જાય છે. તેમજ ગામ સાડા ત્રણ હાજરની વસતી ધરાવતા ગામમાં એક સસ્તા અનાજની દુકાન સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેનો આદિવાસી અને જરૂરિયાતમંદ લોકોને પૂરતો લાભ મળી રહે છે. તેમજ ગામમાં બજાર ફળિયા ખાતે એક શોપિંગ સેન્ટરનું પણ નિર્માણ થયું હોવાના કારણે અહીં બજાર જેવો માહોલ બની રહ્યો છે. જેમાં લોકોને જરૂરિયાતની અનેક સુવિધાઓ પણ ધીમે ધીમે ઘરઆંગણે મળી રહી છે. ગામમાં મોટા ભાગની દુકાનો આ જ વિસ્તારમાં હોવાથી તેને બજાર ફળિયું તરીકે ઓળખવામાં આવે છે.

સરપંચથી લઈ તાલુકા પંચાયત સદસ્ય અને નવસારી જિ.પં.ના સદસ્ય તરીકે ચુંટાઈ આવનાર બાબજુભાઈ ગાયકવાડ
વાંસદા તાલુકાના ખાંભલા ગામમાં પ્રથમવાર સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા બાદ બાબજુભાઈ ગાયકવાડએ પાંચ વર્ષ સુધી ગામના સરપંચ તરીકે ગ્રામ પંચાયતનો ભાર સંભાળી ગામની અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી ગામને હંમેશાં વિકાસના પંથે આગળ વધાવ્યો હતો. સરપંચથી લઈ તાલુકા પંચાયત સદસ્ય અને નવસારી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. બાબજુભાઈ પ્રજાજનોની પડખે ઊભા રહી હરહંમેશ લોકોની સમસ્યા માટે લડતા આવ્યા છે, તેમણે પાંચ વર્ષ સરપંચ પદનો ભાર સંભાળ્યા બાદ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ ચુંટાયા આવ્યા હતા. બાબજુભાઈ ગામમાં લોકોની સમસ્યાઓને દૂર કરી હરહંમેશ ગામના વિકાસ માટે જરૂરી અનેક યોજનાનો લાભ મળી રહે એ માટે હંમેશા સરકારને રજૂઆત કરતા આવ્યા છે. તેમની કામ કરવાની નીતિ અને લોકો પ્રત્યેની લાગણી થકી આજે રાજકારણમાં સતત અગ્રેસર રહી તેઓ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે બિરાજમાન છે અને ગામની સમસ્યા માટે આજે પણ ઉકેલ લાવવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે. બાબજુભાઈ ગાયકવાડની ગામમાં વિકાસનાં કામો કરવાની નીતિ અને પારદર્શક વ્યવહાર એ જ ખૂબી આજે એમની ઓળખ બની ગઈ છે.

ખાંભલા ગામ અને મહારાષ્ટ્રની બોર્ડર પર પાકી પોલીસ ચોકી બનશે
ખાંભલા ગામ એ વાંસદા તાલુકાના છેવાડાનું તેમજ મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું ગામ હોવાથી મહારાષ્ટ્રમાંથી ખાંભલા ગામમાં થઈ ગુજરાતમાં પ્રવેશતા થતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ વિભાગ દ્વારા વર્ષો જૂની પોલીસ ચોકીની જગ્યાએ હવે નવી સુવિધાયુક્ત પાકી પોલીસ ચોકી બનાવવા ખાંભલા ગ્રામ પંચાયતને જગ્યાની ફાળવણી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પણ કાયદાકીય રીતે ઠરાવ કરી નવી પોલીસ ચોકી બનાવવા માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઇ વહેલી તકે ખાંભલા ગામે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર પાકી પોલીસ ચોકીનું નિર્માણ થશે.

બસ સ્ટેન્ડની સુવિધાનો અભાવ
ગામને નવા બસ સ્ટેન્ડની સુવિધા આજે વર્ષોથી મળી નથી. વાંસદાથી બીલમોડા, માનકુનીયા અને નિરપણ ગામે જતી બસો ખાંભલા ગામમાંથી જ પસાર થતી હોવાથી ખાંભલા ગામનું બસ સ્ટેન્ડ કેન્દ્ર બિંદુ બની રહે છે. ત્યારે આ બસ સ્ટેન્ડની હાલત જર્જરિત હોવાને પગલે ચોમાસામાં મુસાફરોને વધુ અગવડ પડતી હોય છે. જેને લઇ સુવિધાયુક્ત ખાંભલા ગામનું નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો મુસાફરોને વધુ રાહત મળી રહે તેમ છે.

ગામની સ્મશાનભૂમિ
ખાંભલા ગામની સ્મશાનભૂમિની વાત કરીએ તો ગામમાં જ્યારે કોઈક વ્યક્તિનું અવસાન થયું હોય ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં પોસ્ટ ફળિયા ખાતે આવેલી એકમાત્ર સ્મશાનગૃહમાં લઇ જઇ અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી રહી હતી. જેમાં પણ ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડવાથી સ્મશાનભૂમિ તરફ જવાના રસ્તામાં કાદવ-કીચડ થઈ જતાં ત્યાંથી પસાર થઇ સ્મશાનગૃહ સુધી મૃતદેહને લઈ જવામાં લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી. આ સમસ્યાને ગંભીરતાથી લઈ ખાંભલા ગામના સરપંચ દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરાતાં હાલ ઉપલા ફળિયા ખાતે વધુ એક સ્મશાનભૂમિનું નિર્માણ થઇ રહ્યું છે. જેના પગલે હવે ગ્રામજનોને ચોમાસા દરમિયાન અગ્નિસંસ્કાર કરવામાં પડતી મુશ્કેલી દૂર થશે. તેમજ ગ્રામજનો પાસેથી જાણવા મુજબ સ્મશાનભૂમિમાં મૃતદેહને અંતિમસંસ્કાર કરવા માટે જરૂરી પડતાં લાકડાંનો પરિવાર પોતે જ વ્યવસ્થા કરતો હોય છે, પરંતુ આ દરમિયાન જો કોઈ પરિવાર લાકડાંની વ્યવસ્થા કરવામાં સક્ષમ ન હોય ત્યારે ગ્રામજનો ભેગા મળી અંતિમસંસ્કાર માટેનાં લાકડાંની વ્યવસ્થા કરી આપે છે.

પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા
ખાંભલા ગામમાં વાટી ફળિયા, ચિકાર ફળિયા અને પોસ્ટ ફળિયામાં એમ ત્રણ તળાવ આવેલાં છે. જેના થકી પણ ગામના ખેડૂતોને પશુપાલન અને ખેતી કરવા પાણીની સગવડ મળી રહે છે. જો કે, તળાવમાં માર્ચથી જૂન ચાર મહિના દરમિયાન પાણી ઓછું થઇ જવાથી ખેડૂતોને પાણીની તંગી વર્તાય છે. ઉપરાંત પાણી પુરવઠા યોજના હેઠળ પોસ્ટ ફળિયું, બજાર ફળિયું, વાટી ફળિયું, પટેલ ફળિયું, મહુ ફળિયું, ચિકાર ફળિયું, ઉપલા ફળિયુ અને મંદિર ફળિયું એમ આઠ ફળિયામાં સુવિધાયુક્ત પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. ગ્રામજનો અને ખેડૂતોને જેનો રોજિંદા જીવનમાં, પશુપાલન અને ખેતી કરવામાં સારો લાભ મળી રહે છે.

ગ્રામ પંચાયતના સભ્યો
(૧) કાશીરામભાઈ સોનકુભાઈ પઢેર
(૨) નરેશભાઈ રવજીભાઈ પટેલ
(૩) મનીષાબેન ગણેશભાઈ ગાયકવાડ
(૪) અરવિંદભાઈ ગનશ્યાભાઈ ગાયકવાડ
(૫) મુકેશભાઇ ઝીપરભાઈ ચવધરી
(૬) દિલીપભાઈ ઇન્દુભાઈ ગાંવીત
(૭) નિરંતાબેન અજયભાઈ કુંવર
(૮) સુમિત્રાબેન શિવરામભાઈ ભગરિયા
(૯) રવિનાબેન જિગ્નેશભાઈ પટેલ
(૧૦) ગીતાબેન મનોજભાઈ ગાયકવાડ
(૧૧) રક્ષાબેન પંકજભાઈ ચૌધરી

નદીના ચેકડેમ થકી સિંચાઈ
ખાંભલા ગામમાંથી પસાર થતી કાવેરી નદી પર આઠ જેટલા ચેકડેમો સિંચાઇ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યા છે. જેનો ભરપૂર લાભ ખાંભલા ગામના ખેડૂતોને મળી રહે છે તેમજ ગામની મધ્યમાંથી નદી પસાર થતી હોવાથી નદીની બંને બાજુ વસતા ખેડૂતો આ ચેકડેમ મારફતે ખેતી માટે સિંચાઈના પાણીનો ઉપયોગ કરી શકે છે, જેમાં આખા વર્ષ દરમિયાન આઠ જેટલા મહિના ખેડૂતોને આ નદી મારફતે પૂરતું પાણી મળી રહે છે.

ગામમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહત્ત્વ
આદિવાસી પંથકમાં આજે પણ પરંપાર જીવંત જોવા મળે છે. આ ગામમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં પશુ-પક્ષી, સાપ, સૂર્ય અને ચંદ્રની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. ગામમાં હનુમાનજી, અંબામાતાનાં મંદિરો પણ આવેલાં છે. જ્યાં ગામના ભાવિક ભક્તો વાર તહેવારે મંદિરમાં જઈ પૂજા કરતા હોય છે. પરંતુ ખાંભલા ગામમાં વસતા આદિવાસી લોકોમાં વાઘ બારસનું કંઈક વિશેષ મહત્ત્વ છે, જેમાં વર્ષના વાઘ બારસના દિવસે નાના-મોટાથી માંડી સમગ્ર ગ્રામજનો ભેગા થઈ આદિવાસી ગીતો, નૃત્યો અને વાજિંત્રો સાથે ગામમાં જુલૂસ કાઢે છે અને આગેવાનો દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ પગપાળા વાઘદેવીની સ્થાપના કરેલી જગ્યા સુધી જઇ ત્યાં આદિવાસી પરંપરા મુજબની પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને ખેડૂતો દ્વારા પ્રકૃતિને સારા વરસાદ થકી સારો પાક મેળવી શકાય તેવી અરજ કરવામાં આવે છે.

આ વાઘદેવીનું મંદિર ગામના છેવાડે જંગલ વિસ્તારમાં રાખવામાં આવે છે તેમજ આ સ્થાપિત કરેલી મૂર્તિની છત રાખવામાં આવતી નથી. આદિવાસી ખેડૂતોમાં વાઘદેવી માતાની સ્થાપનામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રહેતો હોય છે અને એવું પણ કહેવાય છે કે આ પ્રકૃતિની પૂજા અર્ચના કરવાથી ખેડૂતો ઉપર આવતી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. હાલમાં એક વર્ષ અગાઉ વાઘ બારસના દિવસે ખાંભલા ગામના ગ્રામજનો અને આગેવાનો મહારાષ્ટ્ર રાજ્યમાં સપ્તશૃંગી માતાના મંદિરેથી ધજા અને શૃંગાર લાવી ખાંભલા ગામથી બે કિલોમીટર દૂરથી પગપાળા વાઘદેવી માતાના સ્થાપના કરેલા સ્થળ સુધી જય આદિવાસી પરંપરા મુજબ પૂજા કરવામાં આવી હતી. પૂજા-અર્ચના કર્યા બાદ ગામના દરેક લોકો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે.

ખાંભલા ગામની આંગણવાડી
ખાંભલા ગામનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા છ જેટલી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં બજાર ફળિયા, પટેલ ફળિયા, મંદિર ફળિયા, મહુ ફળિયા, ઉપલા ફળિયા અને ડુંગરી ફળિયાં એમ 6 ફળિયાંમાં એક-એક આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ આંગણવાડી મળી કુલ ૨૧૬ જેટલા ગરીબ ખેડૂત પરિવારનાં બાળકોને સારું શિક્ષણ સાથે પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવી રહ્યો છે.

આદિવાસી પરિવારનાં બાળકો માટે આશીર્વાદરૂપ નવજીવન સેવામંડળ છાત્રાલય
ખાંભલા ગામના મહુ ફળિયા ખાતે આવેલ ટ્રસ્ટ સંચાલિત નવજીવન સેવામંડળ છાત્રાલય આ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારનાં બાળકો માટે ખૂબ જ સેવાનું કાર્ય કરી રહ્યું છે. આ છાત્રાલયમાં એકથી ત્રણ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોને જ એડમિશન આપવામાં આવે છે, એટલે કે એડમિશન મળ્યા બાદ વિદ્યાર્થી આગળના અભ્યાસ માટે ભણે ત્યાં સુધી અહીં છાત્રાલયમાં રહી શકે છે. આ દરમિયાન દરેક વિદ્યાર્થીઓની જમવાની વ્યવસ્થાથી લઈ તેમના રોજિંદા જીવનમાં જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ આ જ મંડળ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ છાત્રાલયમાં વાંસદા, ધરમપુર, આહવા, વઘઇ અને કપરાડા જેવા તાલુકામાંથી આશરે ૧૪૫ જેટલા વિદ્યાર્થીઓ રહી તેઓ અન્ય વિવિધ શાળાઓ, હાઇસ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. નવજીવન સેવામંડળનું રજિસ્ટ્રેશન વર્ષ ૧૯૮૧-૮૨માં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગામમાં રહેતા એક પારસી પરિવાર પાસેથી જમીન ખરીદી લઈ ત્યાં છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ આ નવજીવન સેવામંડળ દ્વારા છાત્રાલય શરૂ થયું ત્યારથી તો આજદિન સુધી સરકાર તરફથી કોઈ સહાય મેળવવામાં આવી નથી. આ મંડળ અનેક દાતાઓના દાન-ફાળાથી ચલાવવામાં આવી રહ્યું છે. અને ગુજરાતભરમાં નવજીવન સેવામંડળની ૧૨ જેટલી શાખા ચાલી રહી છે, જે જરૂરિયાતમંદ અનેક બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ કારગર સાબિત થઇ રહી છે.

કાવેરી નદીમાં શિવલિંગનાં દર્શન
ખાંભલા ગામના વાટી ફળિયામાંથી પસાર થતી કાવેરી નદીના કિનારા પર સ્થાનિક ગ્રામજનો પાસેથી જાણવા મુજબ આશરે ૨૦ જેટલાં વર્ષ અગાઉ ચોમાસા દરમિયાન નદીના તેજ પ્રવાહના ઘર્ષણ દરમિયાન નદીના પથ્થરમાં શિવલિંગ આકારની પ્રતિમાનું સર્જન થયું હતું. ત્યારથી આજદિન સુધી ગ્રામજનો દ્વારા આ શિવલિંગની ખૂબ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી રહી છે. તેમજ મહાશિવરાત્રિના દિવસે અહીં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ પણ જોવા મળે છે. તેમજ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ ૨૦ વર્ષથી નદીમાં સ્થિત આ શિવલિંગ ચોમાસા દરમિયાન નદીમાં ઘણા પૂર આવ્યા હોવા છતાં આજદિન સુધી આ શિવલિંગની પ્રતિમાને કોઈ જ નુકસાન પહોંચ્યું નથી. આજે વર્ષોથી ગ્રામજનો દ્વારા નદીમાં સ્થિત આ શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

ખાંભલા ગામમાં આરોગ્યની સુવિધા
ખાંભલા ગામની મધ્યમાં આવેલા બજાર ફળિયામાં સબ સેન્ટર દ્વારા ગામના બારેમાસ બીમાર પડતા લોકોની હેલ્થ તપાસી સારી એવી સારવાર આપવામાં આવી રહી છે. તદુપરાંત સાડા ત્રણ હજારની વસતી ધરાવતા ખાંભલા ગામમાં થોડા જ સમય અગાઉ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ખાંભલા સહિત બીલમોડા, તાડપાડા, નાની વઘઇ, કપડવંજ જેવાં ગામમાંથી આવતા લોકોને પણ બીમારીમાં સારવાર મળી રહે છે. ઘણીવાર બીમારી દરમિયાન દર્દીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી વધુ સારવારની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ત્યારે આવા સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્ર આ વિસ્તારના ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહે છે. તેમજ ગામના કેટલાક એવા પરિવાર પણ છે કે જેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે ગંભીર બીમારી દરમિયાન ખાંભલા ગામથી ૯ કિ.મી. અંતર કાપી વાંસદા ખાતે જય સારવાર લઇ શકતા ન હતા, તેમને પણ હવે ઘરઆંગણે આવા આરોગ્ય કેન્દ્ર મારફતે પૂરતી સારવાર મળી રહેતાં તેમના માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે.

પશુપાલન થકી દૂધના વ્યવસાયનો વિકાસ થયો
ખાંભલા ગામના મોટા ભાગના ખેડૂતો ખેતી પર જ નિર્ભર રહી પોતાનું જીવનનિર્વાહ કરતા હોય છે, પરંતુ હવે ધીરે ધીરે તેઓ ખેતી સાથે પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ તેના થકી સારું એવું દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે સધ્ધર થઈ રહ્યા છે. ખાંભલામાં કુલ ચાર દૂધડેરી આવેલી છે, તેમાં બજાર ફળિયા ખાતે-૧, મહુ ફળિયામાં ૧, પટેલ ફળિયામાં ૧ અને વાટી ફળિયામાં ૧ એમ ચાર ડેરી મળી કુલ 543 સભાસદ દૂધમંડળીમાં દૂધ ભરી સારી એવી આવક મેળવી પગભર થઇ રહ્યા છે.
(૧) પટેલ ફળિયાની દૂધડેરી :
પ્રમુખ : શર્મિલાબેન
મંત્રી : યાકુબભાઈ આર. ગાયકવાડ
સભાસદ : 150
(૨) બજાર ફળિયાની દૂધડેરી :
પ્રમુખ : રેખાબેન આર. પટેલ
મંત્રી : વિરાફ કે. અવારી
સભાસદ : 138
(૩) મહુ ફળિયા દૂધડેરી :
પ્રમુખ : સરલાબેન એમ. ગાવીત
મંત્રી : લાલજીભાઈ એ. ઉદાર
સભાસદ : 230
(૪) વાટી ફળિયાની દૂધડેરી :
પ્રમુખ : સુશીલાબેન ડી. વાડેકર
મંત્રી : રાહુલભાઇ બી. ગાયકવાડ
સભાસદ : 25

ગામની પ્રાથમિક શાળાઓ
ખાંભલા ગામમાં શિક્ષણની દૃષ્ટિએ જોવા જઇએ તો બે પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે, જેમાં ખાંભલા ગામના મહુ ફળિયામાં આવેલી પ્રાથમિક શાળા વર્ગ જેની સ્થાપના તા.12/6/1980ના રોજ થઈ હતી. આ શાળામાં 11 શિક્ષક 1થી 8 ધોરણમાં અભ્યાસ કરતાં 383 જેટલાં બાળકોને સારું ભણતર આપી રહ્યાં છે. તેમજ બજાર ફળિયામાં ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ચાલી રહી છે. જેની સ્થાપના તા.16/6/1965માં કરવામાં આવી હતી. આ શાળામાં 6 શિક્ષક 1થી 8 ધોરણમાં અભ્યાસ કરતાં 217 જેટલાં બાળકોને સારું શિક્ષણ આપી રહ્યાં છે. આમ, આ બંને પ્રાથમિક શાળાઓ મળી ખાંભલા ગામના ધોરણ-1થી 8 સુધી અભ્યાસ કરતા કુલ 600 જેટલા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી રહ્યા છે.

આ બંને શાળામાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પૌષ્ટિક સારું ભોજન પણ અપાઇ રહ્યું છે. તેમજ અહીંના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણતર પ્રત્યે પૂરતું ધ્યાન તો અપાઇ રહ્યું છે, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ બાળકોને પ્રોત્સાહન અને તેમની પાછળ સારી મહેનત કરવામાં આવે છે. જેના કારણે અગાઉ પણ આ શાળાઓમાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી આગળના વધુ અભ્યાસક્રમ માટે શહેરોની સારી એવી કોલેજ નવસારી, વલસાડ, બારડોલી જેવાં મોટાં શહેરોમાં એડમિશન લઈ આગળનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ૧૦૦ ટકા આદિવાસી વસતી ધરાવતો વિસ્તાર હોવાથી શાળામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારના ગામોમાંથી આવતા ઘણાં એવાં બાળકો છે, જેમને હોસ્ટેલમાં જ રહી વધુ સારું શિક્ષણ મળી રહે તેમ છે.

નવા પુલના નિર્માણથી ગ્રામજનોની 15 વર્ષ જૂની સમસ્યાનું નિવારણ
ખાંભલા ગામની મધ્યમાંથી પસાર થતી કાવેરી નદી ઉપર હાલમાં જ જિલ્લા પંચાયત હસ્તક નવનિર્માણ પામેલા પુલને લઈ ગ્રામજનોને ચોમાસા દરમિયાન પડતી અનેક મુશ્કેલીઓનો પણ અંત આવ્યો છે. આ પુલના નિર્માણ અગાઉ નદી ઉપર ખૂબ જ નીચાણવાળો કોઝવે હોવાથી નદીની સામેની બાજુ આવેલું મહુ ફળિયું, ઉપલું ફળિયું અને ચીકાર ફળિયાના ગ્રામજનો ચોમાસા દરમિયાન કોઝવે ડૂબી જવાથી ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ જતા હતા. જાણે અન્ય ફળિયાથી સંપર્કવિહોણા થઇ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. જેને કારણે આ ફળિયાના લોકોએ બીમારીમાં સારવાર માટે દવાખાને જવામાં, ખેડૂતોએ વેપાર કરવામાં અને વિદ્યાર્થીઓ માટે સામે શાળાએ જવામાં મોટી મુશ્કેલીઓ ઊભી રહેતી હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં કોઝવે અસરગ્રસ્ત લોકોએ સાતથી આઠ કિ.મી.નો ચકરાવો લઈ તાડપાડાથી નવતાડ થઈ ખાંભલા જવું પડતું હતું. ત્યારે આ પુલના નિર્માણના પગલે ગ્રામજનોની આ તમામ સમસ્યાનો અંત આવતાં ખૂબ જ રાહત અનુભવાઈ રહી છે. 15 વર્ષથી રજૂઆતના પગલે આ પુલનું નિર્માણ થતાં ગ્રામજનોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top