World

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાન અને ફીલીસ્તીન દ્વારા લાવવામાં આવેલા આ ઠરાવને સમર્થન આપ્યું

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રમાં (United Nations) ભારતે (India) પાકિસ્તાન (Pakistan) અને ફીલીસ્તીન (Palestine) દ્વારા લાવવામાં આવેલા ઠરાવને સમર્થન આપ્યું હતું. યુએનની ટોચની માનવાધિકાર સંસ્થાએ બુધવારે યુરોપમાં કુરાન (Quran) સળગાવવાની ઘટનાઓને પગલે ધાર્મિક દ્વેષને કાબૂમાં લેવા દેશોને વધુ પગલાં લેવાની હાકલ કરતા ઠરાવને મંજૂરી આપી હતી. પશ્ચિમી દેશો આનો વિરોધ કરી રહ્યા હતા અને તેઓને આશંકા હતી કે સરકારોના કડક પગલાં અભિવ્યક્તિની સ્વતંત્રતામાં અવરોધ બની શકે છે.

પાકિસ્તાન અને ફીલીસ્તીન પ્રસ્તાવ લાવ્યા
જિનીવામાં 47 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHCR)એ બુધવારે પાકિસ્તાન અને ફીલીસ્તીન દ્વારા લાવવામાં આવેલા ઠરાવને 12 વિરુદ્ધ 28 મતથી મંજૂરી આપી હતી. 7 સભ્યો આ મતદાનથી દૂર રહ્યા હતા. ભારતે ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું જે ‘પવિત્ર કુરાનની અપવિત્રતાના તાજેતરના જાહેર અને પૂર્વયોજિત કૃત્યોની નિંદા કરે છે અને સખત રીતે નકારે છે’. સાથે જ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાથી ઉદ્ભવતા દેશોની જવાબદારીઓને અનુરૂપ ધાર્મિક દ્વેષના આ કૃત્યોના ગુનેગારોને જવાબદાર રાખવાની જરૂરિયાતને પણ રેખાંકિત કરે છે.

કુરાનની અપવિત્રતા વિરુદ્ધ લાવવામાં આવેલ આ ઠરાવ પસાર થતાં જ માનવ અધિકાર પરિષદના ગૃહમાં તાળીઓનો ગડગડાટ શરૂ થયો હતો. આફ્રિકાના કેટલાક વિકાસશીલ દેશો તેમજ ચીન અને પશ્ચિમ એશિયાના દેશોએ ઠરાવને સમર્થન આપ્યું હતું. જેમાં બાંગ્લાદેશ, ક્યુબા, મલેશિયા, માલદીવ, કતાર, યુક્રેન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થતો હતો. ઠરાવની વિરુદ્ધ મતદાન કરનારા દેશોમાં બેલ્જિયમ, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, યુકે અને યુએસ હતા. તાજેતરમાં યુરોપના કેટલાક ભાગોમાં કુરાન સળગાવવાની ઘટનાઓ બાદ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

પાકિસ્તાન અને ફીલીસ્તીન દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં દેશોને ધાર્મિક દ્વેષના કૃત્યો અને તેમની હિમાયત કે જે ભેદભાવ, દુશ્મનાવટ અથવા હિંસા ઉશ્કેરે છે તેને રોકવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટે પગલાં લેવા આહ્વાન કરે છે. પાકિસ્તાનના રાજદૂત ખલીલ હાશ્મીએ મતદાન પછી ભાર મૂક્યો હતો કે ઠરાવ વાણી સ્વાતંત્ર્યના અધિકારને અવરોધવાનો પ્રયાસ કરતું નથી, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિશેષ જવાબદારીઓ વચ્ચે ન્યાયપૂર્ણ સંતુલન ઇચ્છે છે.

Most Popular

To Top