National

કુતુબમિનારથી ઊંચો મિઝોરમનો અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ તૂટી પડ્યો, 17 મજૂરોના મોત

નવી દિલ્હી: મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે અંડર કન્ટ્ર્ક્શન રેલવે બ્રિજ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 17 મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે 40 જેટલાં મજૂરો બ્રિજના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા વધે તેવી દહેશત છે.

મિઝોરમના જે રેલવે ઓવર બ્રિજ પ્રોજેક્ટ પર મજૂરો કામ કરી રહ્યાં હતાં તે પુલ નંબર 196ની ઊંચાઈ 104 મીટર છે. આ બ્રિજ દિલ્હીના કુતુબ મિનારથી પણ ઊંચો છે. મિઝોરમને દેશના વિશાળ રેલવે નેટવર્ક સાથે જોડવા માટે આ રેલવે બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. મિઝરોમના મુખ્યમંત્રી જોરમથાંગાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકાતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે.

પશ્ચિમ બંગાળના માલદાના જિલ્લા અધિકારી નિતીન સિંઘાનીયાએ કહ્યું કે મિઝોરમમાં બનેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 મજૂરોના મોત નિપજ્યા હોવાના અધિકૃત અહેવાલ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. મૃતદેહોને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર તંત્ર રેસ્કયુના ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. વડાપ્રધાને લક્યું કે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છં. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અસરગ્રસ્તોને સંભવ તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.

રેલવે વિભાગ તરફથી પણ આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઇજા પામેલાઓને 2 લાખ અને સામાન્ય ઈજા થઈ હોય તેવા પીડિતોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.

Most Popular

To Top