Dakshin Gujarat

ઉમરગામના વંકાસ ગામમાં ચોંકાવનારી ઘટના: 12 કલાકમાં જ બે સગાભાઇઓએ ફાંસો ખાઇ લીધો

ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના વંકાસ ગામમાં (Village) ચોંકાવનારી ઘટના સામે આવી છે બે સગા ભાઈઓએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી આ બંને સગા ભાઈઓએ કયા કારણોસર મોતને વ્હાલું કર્યું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

  • ઉમરગામના વંકાસમાં 12 કલાકમાં જ બે સગાભાઇઓએ ફાંસો ખાઇ લેતા ચકચાર
  • નાનાભાઇનો મૃતદેહ પીએમ રૂમમાં મૂકીને આવ્યા બાદ સવારે મોટાભાઇની લાશ વૃક્ષ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી
  • એક પછી એક બે ભાઇઓની રહસ્યમય આત્મહત્યાનું કારણ અકબંધ

પ્રાપ્ત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉમરગામ તાલુકાના વંકાસ ગામે ભીમરાપાડા ફળિયામાં રહેતા સાહીલ નરેશભાઈ ભીમરા (ઉ.વ.21) એ ગઇકાલે તારીખ 9 ફેબ્રુઆરીએ 7.30 થી 8.30 દરમિયાન ઘરના લાકડાના દાંડા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતની જાણ પરિવારજનોને થતાં તેને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સમાં સુવડાવી ભિલાડ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

નાના ભાઈનો મૃતદેહ મૂકીને તે વખતે મોટોભાઇ મેહુલ નરેશભાઈ ભીમરા (ઉ.વ.23) હોસ્પિટલ થી મોટરસાયકલ લઈને નીકળી ગયો હતો અને ઘરે નહીં આવતા પરિવારજનોએ અને પડોશીઓએ આખી રાત તેની શોધખોળ કરી હતી. દરમિયાન સવારે ઘરની પાછળ આવેલ આંબાવાડીમાં તેની બાઇક જોવા મળી હતી અને આંબા સાથે દોરી બાંધી ફાંસો ખાઇ ગયેલી હાલતમાં મેહુલ નરેશભાઈ ભીમરા ની લાશ મળી આવતા પરિવાર જનો અને ગ્રામજનો ચોકી ગયા હતા અને આ શું થઈ ગયું અવુ વિચારતા થઈ ગયા હતાં.

બનાવની જાણ થતા જ ઉમરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પંચનામુ કરી કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મેહુલ નંદીગામ ખાતે આવેલી એક કંપનીમાં કામ કરે છે જ્યારે મૃતક સાહીલ સરીગામ ખાતે કોમ્પ્યુટર શીખવા જતો હતો બંને સગા ભાઈઓએ કયા કારણસર આપઘાત કર્યો તેની તપાસ પોલીસ કરી રહી છે. વંકાસ ખાતે રહેતા લલ્લુભાઇ રઘુભાઇ ભીમરાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top