National

દિલ્હીની રોહિણી કોર્ટ બહાર વકીલ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે બોલાચાલીમાં ફાયરિંગ, બે વકીલો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: દિલ્હીની રોહિણી કોર્ટની બહાર ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, કોર્ટની સુરક્ષામાં તૈનાત વકીલ અને પોલીસકર્મી વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન બોલાચાલીમાં ગોળીબાર થયો હતો. સુરક્ષાકર્મીઓ દ્વારા ફાયરિંગની ઘટનામાં 2 વકીલોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. વકીલ અને નાગાલેન્ડ પોલીસ વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન અહીં કોર્ટની બહાર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં બે વકીલોને ગોળી વાગી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સુરક્ષાકર્મીએ જ કર્યું ફાયરિંગ
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 9.40 વાગ્યે, બે વકીલો, સંજીવ ચૌધરી, ઋષિ ચોપરાના ક્લાયન્ટ્સ વચ્ચેના ઝપાઝપી દરમિયાન, કોર્ટની રક્ષા કરી રહેલા નાગાલેન્ડ પોલીસના કર્મચારીએ સર્વિસ ગનથી ગોળીબાર કર્યા પછી દિલ્હીની રોહિણી કોર્ટ પરિસરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વકીલો અને અસીલ વચ્ચે લડાઈ થઈ હતી. સુરક્ષા ફરજ પરના નાગાલેન્ડ પોલીસનો જવાન પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની સર્વિસ ગનમાંથી ગોળી ચલાવવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, રોહિણી કોર્ટમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી સામે આવી છે, આ પહેલા પણ ગોળીબાર અને બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ સામે આવી ચુકી છે.

અગાઉ પણ થયું હતું ફાયરીંગ
ઉલ્લેખનીય છે કે અગાઉ ગયા વર્ષે 26 સપ્ટેમ્બર 2021ના રોજ રોહિણી કોર્ટમાં ગોળીબારની ઘટના સામે આવી હતી. તે સમયે, અન્ડરટ્રાયલ કેદી જિતેન્દ્ર માન ગોગીને બે ગેંગસ્ટર રાહુલ અને જગદીપ ઉર્ફે જગ્ગાએ ન્યાયાધીશની સામે ગોળી મારી દીધી હતી, જેઓ રોહિણી કોર્ટરૂમની અંદર વકીલના વેશમાં આવ્યા હતા. પોલીસના જવાબી ગોળીબારમાં બંને હુમલાખોરો પણ માર્યા ગયા હતા. બંને હુમલાખોરો ટિલ્લુ તાજપુરિયા ગેંગ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

Most Popular

To Top