SURAT

15 દિવસ સુધી સુરતની મહિલાને ખબર જ નહીં પડી કે શરીરમાં ગોળી છે

સુરત: શનિવારે માનદરવાજા ટેનામેન્ટ ખાતે થયેલી આર્મીમેનની પત્ની પર ફાયરિંગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મહિલા પર 15 દિવસ પહેલા પણ ફાયરિંગ થયું હતું અને ગોળી તેના સાથળમાં ઘૂસી ગઇ હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહિલાને તેના શરીરમાં ગોળી હોવાની કોઈ જાણકારી જ ન હતી.

  • શનિવારે આર્મીમેનની પત્ની ઉપર અજાણ્યાઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
  • સારવાર દરમિયાન એક્સ-રે કાઢ્યો ત્યારે ખબર પડી કે મહિલાના શરીરમાં પહેલાં જ એક ગોળી છે
  • પત્થર વાગ્યો હોવાનું માની મહિલાએ ટાંકા લેવડાવી દીધા હતા
  • આર્મીમેન દ્વારા પારિવારિક ઝઘડામાં પોતાની પત્ની પર હુમલો કરાવાયો હોવાની શંકા

માન દરવાજા ટેનામેન્ટ પાસે આર્મીમેનની પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ગોળીબારની ઘટના બની હતી. મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા હતાં. તેમનો પતિ સાથે છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. દરમિયાન શનિવારે સાંજના સમયે નંદાબેન ઘરની પાસે હતાં ત્યારે ત્રણથી ચાર ઇસમ બે બાઇક લઇને આવ્યા હતા. તેઓએ અચાનક જ નંદાબેન ઉપર ફાયરિંગ કર્યું હતું. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનામાં નંદાબેનને હાથ અને પગમાં ઇજા થઇ હતી અને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ મહિલાની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. સાથે જ પોલીસના જણાવ્યા પ્રમાણે નંદાબેન અને વિનોદભાઇની વચ્ચે પારિવારીક ઝઘડામાં આ ફાયરિંગ થયું હોવાની શક્યતા છે.

વિનોદભાઇ પોતે આર્મીમેન છે અને તેઓએ ફાયરિંગ કર્યું હોઇ શકે અથવા તો પોતાના સાગરિતો પાસે ફાયરિંગ કરાવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન આ મહિલાનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે પહેલાથી જ તેના શરીરમાં ગોળી હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલાએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા તેઓ બમરોલી રોડ ખાતે હતા ત્યારે તેમને કંઇક વાગ્યું હતું. ત્યારે તેમને લાગ્યું હતું કે કોઇ ટાયર ફાટ્યું હશે અને પથ્થર સાથળના ભાગમાં ઘૂસી ગયો હશે એટલે તેમણે સ્થાનિક ડોક્ટર પાસે ટાંકા લઇ લીધા હતાં. જો કે, ત્યારબાદ તેમને કોઇ દુ:ખાવો નહીં થતા બધુ સામાન્ય હોય તેમ લાગ્યું હતું પરંતુ જ્યારે તેનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે આ ખુલાસો થયો હતો.

Most Popular

To Top