National

હે રામ! અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે ભંડોળમાં મળેલા 15,000 ચેક બાઉન્સ થયાં

રામ મંદિર(RAM MANDIR)ના નિર્માણ માટે દાન કરવામાં આવેલા 22 કરોડ રૂપિયાના 15,000 ચેક બાઉન્સ (CHEQUE BOUNCE) થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટ(AUDIT REPORT)માં આ વાતનો ખુલાસો થયો છે. ઓડિટ રિપોર્ટમાં ટ્રસ્ટ અધિકારીઓ(TRUSTEE)એ કહ્યું છે કે સંબંધિત બેન્ક ખાતા(BANK ACCOUNT)માં ભંડોળની અછતને કારણે અથવા ઓવરરાઇટિંગ અને હસ્તાક્ષર (SIGNATURE) મેળ ખાતા ન હોવા જેવી ખામીઓને કારણે આવું બન્યું છે. 

ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે બેંકો સાથે વાત કરવામાં આવી રહી છે અને તકનીકી ખામીના કેસોમાં તેમને દૂર કરીને ભંડોળ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મિશ્રાએ કહ્યું કે, બેંકોને તેમની ભૂલો સુધારવાની તક આપવામાં આવશે, જેમના દ્વારા આપવામાં આવેલા ચેક બાઉન્સ થયા છે. ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરીએ ટ્રસ્ટને જણાવ્યું હતું કે, 15,000 ચેક બાઉન્સ થયાં છે, તેમાંથી 2,000 અયોધ્યામાંથી જ એકત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી વધુ 13,000 ચેક આવ્યા છે. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું હતું કે અમે બાઉન્સ થયેલ ચેક પરત કરી રહ્યા છીએ અને દાન આપનારા લોકોને ફરી એકવાર નવો ચેક (NEW CHEQUE) આપવાની અપીલ કરી છે. જો કે, ચેક બાઉન્સની આ સંખ્યા ઘણી વધારે છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સાથે સંકળાયેલ અન્ય સંગઠનો દ્વારા રામ મંદિર નિર્માણ માટે ભંડોળ ઉભું કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન 15 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અભિયાન દરમિયાન 2500 કરોડનું દાન પ્રાપ્ત થયું છે. જો કે, આ સંદર્ભમાં ટ્રસ્ટ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર ડેટા આપવામાં આવ્યો નથી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રાજસ્થાન (RAJSTHAN) તરફથી સૌથી વધુ 515 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય કહે છે કે અઢી એકરમાં માત્ર મંદિર બનશે. 

મંદિર પર પૂરની કોઈ અસર નહીં પડે
આ ઉપરાંત મંદિરની આજુબાજુ છ એકર વિસ્તારમાં એક પાર્ક (THEME PARK) બનાવવામાં આવશે. પૂરની અસરોને રોકવા માટે રીટેનિંગવોલ ભૂગર્ભમાં આપવામાં આવશે. આ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે, અમે આ તૈયારી સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું, ‘આપણે બધા પર્યાવરણને અનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આર્કિટેક્ટ કામ કરી રહ્યા છે કે મંદિરના આંગણાની બહારની બાકીની 64 એકર જમીનમાં શું બનાવવું જોઈએ. સાથે જ પર્યાવરણને સુસંગત રાખવાનો અને કુદરતી વાતારવરણ રહેવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે. ઓગસ્ટ મહિનામાં, જયપુર સ્થિત એક કંપની દ્વારા 70 એકર જમીનનો સર્વે કરવામાં આવ્યો છે.

Most Popular

To Top