Columns

ચંડીગઢના મેયરની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે ભાજપનું નાક કાપ્યું છે

ભાજપના નેતાઓ સત્તાની ખુરશી પર કબજો જમાવવા એટલા બધા અધીરા થઈ ગયા છે કે ઉતાવળમાં તેઓ નૈતિકતાના પાયાના સિદ્ધાંતો પણ ભૂલી ગયા છે. ચંડીગઢના મેયરની ચૂંટણીમાં ભાજપે નીતિનિયમોને નેવે મૂકીને જીત હાંસલ કરી હતી, પણ તેમાં લોકશાહીના ધજાગરા કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સવેળા દરમિયાનગીરી કરીને તે ચૂંટણી રદ જાહેર કરી છે, જેને કારણે ભાજપનું નાક કપાયું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારને વિજેતા જાહેર કર્યા છે.

સુપ્રીમ કોર્ટે અગાઉનાં ચૂંટણી પરિણામોને ફગાવી દીધાં હતાં. આ નિર્ણય બાદ કુલદીપ કુમારને ચંદીગઢના નવા મેયર જાહેર કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ૩૦ જાન્યુઆરીની ચૂંટણીના આચરણમાં ગંભીર ક્ષતિઓ શોધી કાઢ્યા બાદ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ સામે “ગેરવર્તન’માટે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે તે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને રદ કરી રહી નથી અને તે મતગણતરી પ્રક્રિયામાં ગેરરીતિઓ દૂર કરવા પૂરતાં મર્યાદિત પગલાંઓ લઈ રહી છે.

મેયરની ચૂંટણી ‘આપ’ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે લડવામાં આવી હતી, જેમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે ‘આપ’મેયર પદની ચૂંટણી લડશે અને લોકસભાની બેઠક કોંગ્રેસ માટે છોડવામાં આવશે; પરંતુ હવે ‘આપ’એ લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આ સમજૂતી માત્ર મેયરની ચૂંટણી માટે હતી. લોકસભા ચૂંટણી માટે કોઈ ગઠબંધન થયું ન હતું. ‘આપ’લોકસભાની ચૂંટણીમાં મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો લાભ ઉઠાવશે.

મેયરની ચૂંટણીના વિવાદ બાદ ‘આપ’એ શહેરભરમાં દેખાવો કરીને પોતાનું સમર્થન વધારવાનો પ્રયાસ કર્યો છે. ‘આપ’ના નેતાઓ ઇચ્છે છે કે મેયરની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસરે જે રીતે આઠ મત અમાન્ય કર્યા છે તેનાથી ભાજપની બદનામી થઈ છે. ‘આપ’હવે આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે પણ ઉઠાવવા માંગે છે. આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી અલગથી લડવાની તૈયારી કરી રહી હોવા છતાં મહાનગરપાલિકા ગૃહમાં કોંગ્રેસનો ત્યાગ કરી શકે તેમ નથી. ભાજપનો મુકાબલો કરવા માટે તેને કોંગ્રેસના સાત કાઉન્સિલરોની પણ જરૂર છે.

જો કોંગ્રેસ સાથેના સંબંધો બગડશે તો ‘આપ’માટે ગૃહ ચલાવવું મુશ્કેલ બનશે, જ્યારે ભાજપ ‘આપ’ સાથે કોંગ્રેસના સંબંધોને બગાડવાનો પ્રયાસ કરશે. માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આવા સંજોગોમાં ‘આપ’ના પ્રયત્નો રહેશે કે વિકાસ દરખાસ્તો ગૃહની બેઠકમાં વહેલી તકે પસાર થાય, જેથી લોકો ‘આપ’ના કામથી વાકેફ થાય. ‘આપ’ના ત્રણ કાઉન્સિલરોનો સમાવેશ ભાજપ માટે નફાકારક સોદો નહોતો. ભાજપના નેતાઓ પણ કબૂલી રહ્યા છે કે તેઓ સુનાવણી પહેલાં મેયરનાં રાજીનામાં અને ત્રણ કાઉન્સિલરોના પક્ષપલટાની વાત ભૂલી ગયા છે, કારણ કે જો ‘આપ’ના કાઉન્સિલરોનો સમાવેશ કરવો હતો તો તે સુનાવણી બાદ કરવામાં આવવો જોઈતો હતો.

‘આપ’ના કાઉન્સિલરોને સામેલ કરવા માટે સ્થાનિક નેતૃત્વને વિશ્વાસમાં લેવામાં આવ્યું ન હતું. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર ‘આપ’ના ત્રણ કાઉન્સિલરોના સમાવેશ માટે નેતાઓ વચ્ચે શાખયુદ્ધ શરૂ થયું હતું, તેથી જ તેમને ઉતાવળમાં સામેલ કરવામાં આવ્યા હતા. સુનાવણી પહેલાં આ વાત આખા શહેરમાં વાયરલ થઈ ગઈ હતી. જો આ ત્રણેય કાઉન્સિલરોને ‘આપ’માં રહેવા દેવામાં આવે અને મેયરના રાજીનામા બાદ ફરીથી ચૂંટણી બાદ ‘આપ’ના કાઉન્સિલરોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હોત તો ભાજપને ફાયદો થાત.

ચંડીગઢના મેયરની ચૂંટણી ૧૮ જાન્યુઆરીએ થવાની હતી; પરંતુ તે જ દિવસે અનિલ મસિહની તબિયત બગડતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી વહીવટીતંત્રે ૬ ફેબ્રુઆરીના રોજ મેયરની ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમારે વહેલી ચૂંટણીની માંગ સાથે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે ૩૦ જાન્યુઆરીએ ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. આ પછી ૩૦ જાન્યુઆરીએ કડક સુરક્ષા હેઠળ ચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે ૧૬ મત મેળવીને ચૂંટણી જીતી હતી. જ્યારે ‘આપ’અને કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારને ૧૨ મત મળ્યા હતા. ગઠબંધનના ૮ મતો અમાન્ય ઠર્યા હતા. આ પછી મામલો હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં ગયો. અનિલ મસીહ પર ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ચેડાં કરવાનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે નોમિનેટેડ કાઉન્સિલર અને મેયર ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહને સખત ઠપકો આપ્યો છે.

લોકો જાણવા માંગે છે કે ચંદીગઢના મેયરની ચૂંટણીમાં વોટ ટેમ્પરિંગના આરોપનો સામનો કરનારા અનિલ મસીહ કોણ છે. ચૂંટણી પછી બધાને લાગતું હતું કે અનિલ મસીહ નોકરિયાત છે પરંતુ હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અનિલ મસીહ ભાજપના સક્રિય નેતા છે. તેમણે ૨૦૧૧માં ભાજપની લઘુમતી પાંખમાં એન્ટ્રી લીધી હતી. આ પછી તેઓ ધીરે ધીરે પાર્ટીમાં સક્રિય થવા લાગ્યા હતા. તેઓને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ સૂદના નજીકના માનવામાં આવે છે. તેમની સક્રિયતા જોઈને તેમને લઘુમતી મોરચામાં મહાસચિવનું પદ આપવામાં આવ્યું. થોડા મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી.

જતિન્દર પાલ મલ્હોત્રાના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તાજેતરમાં લઘુમતી મોરચાના કન્વીનરના નામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેના અન્ય સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી નથી. ચંડીગઢમાં ‘આપ’ના મેયર બન્યા બાદ આમ આદમી પાર્ટીમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ જીતને ઇન્ડિયા ગઠબંધન સાથે પણ જોડવામાં આવી રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીની મોટી જીત પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા ગઠબંધન હેઠળ આ પહેલી સફળતા છે અથવા કહી શકીએ કે ઈન્ડિયા એલાયન્સ હેઠળ કોંગ્રેસ અને ‘આપ’ના ગઠબંધનમાં આ પહેલી સફળતા છે, જેની આગામી લોકસભાની ચૂંટણીમાં પણ મોટી અસર પડશે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અત્યાર સુધી માત્ર ચંડીગઢમાં જ ગઠબંધન થયું છે અને ઇન્ડિયા ગઠબંધન પહેલી વાર ચૂંટણી જીતી શક્યું છે. લોકસભાની ચૂંટણીને આડે હવે થોડો સમય બાકી છે. હવે જ્યારે આપણે લોકસભાની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ ત્યારે આ વખતે મોદી વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધન થવાની સંભાવના છે. જો કે આ ગઠબંધનના પક્ષો એકબીજા સાથે કેટલી મજબૂતીથી ઊભા છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ મહાગઠબંધન હેઠળની મોટી જીત બાદ ચંડીગઢમાં આજે ઇન્ડિયા ગઠબંધનને વધુ મજબૂતી મળે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટી માત્ર દિલ્હી અને પંજાબમાં સત્તા પર છે. દિલ્હીમાં કોંગ્રેસ અને ‘આપ’વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે, જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે.

ચંડીગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેયર બન્યા તે ઇન્ડિયા ગઠબંધન માટે પાશેરામાં પહેલી પૂણી જેવી સફળતા છે. જો ભારતના સ્તર પર વિપક્ષોનું તેવું ગઠબંધન સાધી શકાય તો ભાજપના વિજયરથને રોકી શકાય તેમ છે, પણ હાલમાં તો તે વાત શેખચલ્લીના ખ્વાબ જેવી જણાય છે. ભાજપે જેવી રીતે બિહારમાં નીતીશકુમારની વિકેટ પાડી તેમ તે બીજી ઘણી વિકેટો પાડવાની વેતરણમાં છે. ઇન્ડિયા ગઠબંધને હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top