World

નાદારીને આરે પહોંચેલા શ્રીલંકાને લીધે આ દેશોને પણ થયું અબજોનું નુકસાન

શ્રીલંકા: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા(Sri Lanka)એ અન્ય દેશોનું દેવું ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. દેશે કહ્યું છે કે તે કેટલાક સમય માટે અન્ય દેશોની લોન ચૂકવી શકશે નહીં. શ્રીલંકાનું અન્ય દેશોનું કુલ દેવું 5,100 મિલિયન ડોલર છે.

  • શ્રીલંકામાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું
  • કેટલાક સમય માટે અન્ય દેશોની લોન ચૂકવી શકશે નહીં: શ્રીલંકા
  • શ્રીલંકાનું અન્ય દેશોનું કુલ દેવું 5,100 મિલિયન ડોલર

શ્રીલંકામાં આર્થિક સંકટ દિવસેને દિવસે ઘેરી બની રહ્યું છે. હવે પરેશાન દેશે મંગળવારે જાહેરાત કરી કે તે અન્ય દેશોના 5,100 મિલિયન ડોલરનું દેવું થોડા સમય માટે ચૂકવી શકશે નહીં. તેનું કારણ એ છે કે દેશને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી બેલઆઉટ પેકેજ મળી શક્યું નથી. શ્રીલંકાના ટ્રેઝરી સેક્રેટરી મહિન્દ્રા સિરીવર્દનેએ મંગળવારે આ જાહેરાત કરી હતી.

નાણા મંત્રાલયે કહી આ વાત
શ્રીલંકાના નાણા મંત્રાલયે અન્ય દેશોની સરકારો અને અન્ય લેણદારોને કહ્યું છે કે મંગળવાર પછી, કોઈપણ વ્યાજની ચૂકવણી માટે રાહ જોવી પડશે અથવા શ્રીલંકાના રૂપિયામાં ચુકવણી સ્વીકારવી પડશે. શ્રીલંકાની સરકારે કહ્યું છે કે બેલઆઉટ પેકેજને લઈને IMF સાથે વાતચીત ચાલુ રહેશે. સરકારે અન્ય દેશો તરફથી પણ દ્વિપક્ષીય સહયોગની આશા વ્યક્ત કરી છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર નંદલાલ વીરાસિંઘે જણાવ્યું હતું કે વર્તમાન મૂડીનો ઉપયોગ આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા માટે કરવામાં આવશે.

કયા દેશો પાસેથી કેટલી લોન લેવામાં આવી
શ્રીલંકાનું કુલ બાહ્ય દેવું (અન્ય દેશોનું દેવું) 5,100 મિલિયન ડોલર છે. ગયા વર્ષે દેશ પર કુલ દેવું 3,500 મિલિયન ડોલર હતું. આ રીતે, એક વર્ષમાં દેશનું દેવું વધીને 1,600 મિલિયન ડોલર થઈ ગયું. શ્રીલંકાએ તેના કુલ દેવાના 47 ટકા ડેટ માર્કેટમાંથી લીધા છે. તેચીનનું દેવું દેશની કુલ લોનના 15 ટકા જેટલું છે. દેશમાં એશિયન ડેવલપમેન્ટ બેંકની 13 ટકા, વિશ્વ બેંકની 10 ટકા, જાપાનની 10 ટકા અને ભારતની 2 ટકા ભાગીદારી છે.

3 બિલિયન ડોલર ફંડ એકત્ર કરવું અઘરૂં કામ: નાણાંમંત્રી
અગાઉ, શ્રીલંકાના નાણા પ્રધાન અલી સબરીએ કહ્યું હતું કે ઇંધણ અને દવાઓના પુરવઠાને સરળ બનાવવા અને આર્થિક કટોકટીનું સંચાલન કરવા માટે શ્રીલંકાને આગામી છ મહિનામાં લગભગ $3 બિલિયનની જરૂર પડશે. સાબરીએ ગયા અઠવાડિયે શ્રીલંકાના નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નાણામંત્રી તરીકેના તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં, સાબરીએ 3 બિલિયન ડોલર ફંડ એકત્ર કરવા વિશે કહ્યું, “તે એક અઘરું કામ છે.”

આઝાદી બાદનું સૌથી મોટું આર્થિક સંકટ
શ્રીલંકા 1948માં યુકેથી આઝાદી મેળવ્યા બાદ તેના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકો લાંબા વીજ કાપ અને ઇંધણ, ખાદ્યપદાર્થો અને અન્ય દૈનિક આવશ્યક ચીજોની અછતને લઈને અઠવાડિયાથી વિરોધ કરી રહ્યા છે. તેઓ પ્રમુખના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top