Business

ચિમ્પાન્ઝીસના સહજીવનનાં સાંઠ વર્ષનાં સહયાત્રી! જેન ગુડૉલ

અમેરિકાની ટેંપલટન ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન આપવા બદલ ટેંપલટન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારના જ્યૂરી પેનલમાં હિંદુ, ઇસાઇ, યહૂદી, બુદ્ધ અને મુસ્લિમ ધર્મી સમાવિષ્ટ છે અને તમામ ધર્મી આ પુરસ્કાર મેળવી શકે છે. પુરસ્કારની પ્રતિષ્ઠાનું મૂલ્યાંકન તેની ઇનામી રાશિથી થતું નથી, તેમ છતાં એટલું જાણવું રહ્યું કે નોબલ પ્રાઇઝ કરતાં ટેંપલટન પુરસ્કારની ઇનામી રાશિ વધુ છે. ટેંપલટન પુરસ્કાર વિશે જાણવું આપણા માટે એ રીતે પણ અગત્યનું છે કે 1973માં આ સન્માન આરંભાયા બાદ તેના પ્રથમ પુરસ્કાર મેળવનાર મધર ટેરેસા હતાં અને તે પછી સર્વપલ્લી રાધાકૃષ્ણન્, બાબા આમટે, પાંડુરંગ આઠવલે અને દલાઈ લામાને આ સન્માન પ્રાપ્ત થયું છે.

આધ્યાત્મિક વિશ્વમાં આ સન્માન જાણીતું છે અને આ વર્ષે તે મેળવનારાઓની યાદીમાં સમાવિષ્ટ થનારું નામ છે જેન ગુડૉલનું. ઇંગ્લેંડના જેન ગુડૉલનું નામ ભારતીયો માટે અજાણ્યું લાગે; પણ તેઓની છબિ-વીડિયો અવારનવાર‘નેશનલ જિયોગ્રાફી’,‘ડિસ્કવરી’ અને ‘એનિમલ પ્લેનેટ’ ચેનલો પર આવતી રહે છે. ચિમ્પાન્ઝીસની સાથેનો તેમનો પ્રેમ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચી ચૂક્યો છે. ચિમ્પાન્ઝીઓ સાથે તેમનું સહજીવન રહ્યું છે. આજે જેન ગુડૉલ 87 વર્ષના છે અને તેમણે પોતાનું સાઠ વર્ષનું જીવન ચિમ્પાન્ઝીઓ સાથે વિતાવ્યું છે. જેન ગુડૉલની વ્યવસાયિક ઓળખ એન્થ્રોપોલોજિસ્ટ (માનવશાસ્ત્રના જ્ઞાતા) અને પ્રાયમેટોલોજીસ્ટ (Primatologist) (એનાટોમી, બાયોલોજી, સાઇકોલોજી અને વેટરનિટીના અભ્યાસને મળીને આ શાસ્ત્ર બને છે, જે મુખ્યત્વે મેમલ્સથી એન્થ્રોપોલિજિસ્ટની શાખાનો અભ્યાસુ છે) છે. આ ઓળખ મેળવવા જેન ગુડૉલ પોતાના જીવનના છ દાયકા આપ્યા છે અને ટેંપલટન સન્માન સાથે તેઓ જાણીતા મેગેઝિન ‘ટાઇમ’ના કવર પેજ પર પણ આ વખતે ચમકયા છે.

જેન ગુડૉલની આ સફર આરંભાય છે તાન્ઝાનિયાના ગોમ્બેસ્ટ્રીમ નેશનલ પાર્કથી. તાન્ઝાનિયાનો આ સૌથી નાનો નેશનલ પાર્ક છે, પણ ચિમ્પાન્ઝીસની હાજરીના કારણે તે વિશેષ છે. જેન ગુડૉલ 26 વર્ષના હતા ત્યારે પહેલી વાર અહીં આવ્યા અને પછી તેઓ અહીંના જ બનીને રહ્યા. ગોમ્બસ્ટ્રીમનું વિશ્વ તેમને એટલું બધું ગમી ગયું કે તેઓ પોતાના ઇંગ્લેન્ડના કાળને ભૂલીને અહીં રહેવા લાગ્યા. ચિમ્પાન્ઝીસમાં તેમને રસ પડ્યો અને તે વિશેની જાણ જાણે ચિમ્પાન્ઝીસની પણ થઈ હોય તેમ તેઓ જેન સાથે વર્તવા લાગ્યા. જેન ગુડૉલ ચિમ્પાન્ઝીસને પ્રેમ વરસાવવા માટે જ નહોતા આવ્યા બલકે તેમણે વિધિવત્ રીતે અભ્યાસ પણ કરવો હતો.

જો કે જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેમની પાસે ડૉક્ટરેટ થઈ શકે તેવું કોઈ શિક્ષણ નહોતું પરંતુ તેઓનું કાર્ય જોતાં શિક્ષણના માપદંડથી મુક્તિ આપવામાં આવી અને તેમણે 1966માં પોતાનું ડૉક્ટરેટ પૂર્ણ કર્યું. તેમના સંશોધનનો વિષય હતો ‘બિહેવિયર ઑફ ફ્રી લિવિંગ ચિમ્પાન્ઝીસ્’. આ અભ્યાસમાં તેમણે જાણ્યું કે ચિમ્પાન્ઝીસ અને માનવી 98 સરખા જિનેટિક કોડ ધરાવે છે. તે કાળે ચિમ્પાન્ઝીના વર્તન-વલણ વિશેનું જ્ઞાન સામે આવ્યું નહોતું. ચિમ્પાન્ઝીનાં સામાજિક બંધારણની વાત પણ અજાણી હતી. જેન ગુડાલે સંશોધન આરંભ્યું ત્યારે પ્રાણીઓના મસ્તિષ્ક વિશે વાત કરવી અસહજ ગણાતી; ઇવન પ્રાણીઓના ક્ષેત્રે કામ કરનારાઓ માટે પણ.

માનવી જ વિચારી શકે છે તેવું દૃઢપણે માનવામાં આવતું. પ્રાણીઓના વર્તન-વલણની જાણ તો લોકોને હતી પરંતુ શાસ્ત્રની રીતે તેને સમજાવવું અને અન્યને તે સ્વીકારતાં કરવું તે દૂરની વાત હતી. જેન ગુડાલે અભ્યાસ દ્વારા એ સાબિત કરી આપ્યું કે ચિમ્પાન્ઝીસ વિચારી શકે છે અને લાગણી પણ દર્શાવી શકે છે. ચિમ્પાન્ઝીસ એકબીજાને ગળે મળે છે, કિસ કરે છે, શાબાશી આપે છે અને અન્ય માનવી જેવું વલણ તેમના માટે સહજ છે. તેઓનો પરિવારપ્રેમ પણ તેમનાં વર્તનમાં ઝળકે છે. પરિવાર સાથે તેઓ એક સમાજ પણ ધરાવે છે, જેમની સાથે તેઓ એ પ્રમાણે વ્યવહાર રાખે છે. આમ, ઇમોશન, ઇન્ટેલિજન્સ, પરિવાર અને સામાજિક સંબંધો જેવાં માનવીય તત્ત્વો તેમનામાં જોવા મળે છે.

આ પ્રમાણે જેન ગુડૉલ એવું પણ સાબિત કરી શક્યા છે કે માત્ર જગતમાં માનવી જ સાધનોનો ઉપયોગ કરી શકે તેમ નથી, બલકે ચિમ્પાન્ઝીસ પોતાની મેળે સાધન બનાવીને તેનો ઉપયોગ કરે છે. આ રીતે એક માન્યતા છે કે ચિમ્પાન્ઝીસ શાકાહારી છે પરંતુ જેને તે ધારણા ખોટી પાડી અને તેઓ કેવી રીતે આયોજનબદ્ધ શિકાર કરે છે તે પણ પુરાવા સહિત સમજાવ્યું. તેમણે ચિમ્પાન્ઝીસ સાથેના લાંબા સહવાસમાં એ જોયું કે તેઓ માનવીની જેમ જ હૂંફાળા સંબંધ રાખે છે પણ બીજી તરફ તેઓ આક્રમક થાય છે, હિંસા પર ઊતરી આવે છે અને એકબીજા પર હુમલો કરીને નુકસાન પહોંચાડવા સુધી જાય છે. ચિમ્પાન્ઝીસની રહેણીકરણી-વર્તન-વલણ વિશે તેમણે વિસ્તૃત આલેખન ‘થ્રૂ અ વિન્ડો : માય થર્ટી યર્સ વિથ ધ ચિમ્પાન્ઝીસ ઑફ ગોમ્બે’ નામના પુસ્તકમાં કર્યું છે.

અહીં સુધીનું તેમનું કાર્ય ચિમ્પાન્ઝીસને ઓળખવાનું હતું પરંતુ તે પછી તેમણે જે જવાબદારી ઉપાડી તે તેમની સુરક્ષાની હતી. વિશ્વમાં હાલમાં ચિમ્પાન્ઝીસની સંખ્યા દોઢ લાખથી ત્રણ લાખ સુધી અંદાજવામાં આવે છે. અને ‘ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઑફ નેચર’ની યાદી પ્રમાણે ચિમ્પાન્ઝીસ ‘રેડ લિસ્ટ’માં સ્થાન ધરાવે છે. ટૂંકમાં એની લુપ્ત થવાની શક્યતા છે પરંતુ તેમ છતાં ચિમ્પાન્ઝીસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. તેનો શિકાર પણ થાય છે અને યુરોપ-અમેરિકામાં એક સમય સુધી ચિમ્પાન્ઝીસ ટી પાર્ટી પણ યોજવામાં આવતી. જેમાં ચિમ્પાન્ઝીસને કપડાં પહેરીને બેસાડવામાં લોકો આનંદ લેતાં. આવાં મનોરંજનના હેતુસર ચીમ્પેન્ઝીનો ઉપયોગ પણ તેમના પર જોખમ વધારી રહ્યું છે. જેને આ માટે ‘જેન ગુડવિલ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના કરી છે.  આ કામ સાથે તેઓની આધ્યાત્મિક સફર ચાલતી રહી. તેઓ ધાર્મિક રહ્યા છે. આ વિશે તેમણે ‘રિઝન ફોર હોપ : અ સ્પિરિચ્યુઅલ જર્ની’નામનું પુસ્તક પણ લખ્યું છે. આ આધ્યાત્મિક સફર વિશે એક વખત તેમને પૂછવામાં આવ્યું હતું કે ‘શું તેઓ ઈશ્વરમાં આસ્થા ધરાવે છે?’ ત્યારે તેમનો ઉત્તર હતો કે, “મને એનો ખ્યાલ નથી કે ઈશ્વર છે કે નહીં પરંતુ હું આધ્યાત્મિક શક્તિ પર વિશ્વાસ ધરાવું છું અને જ્યારે કુદરતી વાતાવરણમાં હોઉં ત્યારે તેની વિશેષ અનુભૂતિ કરું છું. તે શક્તિ મારા કે અન્ય કોઈ પણ કરતાં વધુ વ્યાપક અને મજબૂત છે. તે હું અનુભવું છું અને તે શક્તિ મારા અસ્તિત્વ માટે પૂરતી છે.” તેમના કામમાં પણ તેમણે આ રીતે આધ્યાત્મિકતા અનુભવી છે. તેમણે કહ્યું છે કે “જંગલ અને પ્રાણીઓ સાથે તેમનું “સ્પિરિચ્યુઅલ કનેક્શન” છે અને જો તમે એકલા હો તો તમે નિસર્ગનો હિસ્સો છો તેમ અનુભવશો અને જો તમે કોઈની સાથે છો, તે વ્યક્તિને ભલે તમે પ્રેમ કરતાં હો. નિસર્ગમાં પછી તમે એકલા નથી રહેતાં અને તમે તેમાં સમ્મિલિત પણ નથી થઈ શકતા.” તેમના આધ્યાત્મિક વિચારો નિસર્ગ સાથે જોડાયેલા છે અને તેમના આ વિચારો-અનુભવથી જ તેઓ ટેંપલટન પુરસ્કાર મેળવી શક્યા છે.

કોઈ ક્ષેત્રમાં આટલી લાંબી સફર હોય અને તેમાં કોઈ વિવાદ ન જડે તેવું બનવું અશક્ય છે. જેન ગુડાૅલના જીવનમાં પણ આવા વિવાદ મળે છે. તેમણે જ્યારે ચિમ્પાન્ઝીસને નામ આપ્યાં ત્યારે તેનો વિરોધ અનેક પ્રાણીવિદોએ કર્યો. તે પહેલાં ચિમ્પાન્ઝીસની ઓળખ માટે નંબરો અપાતાં. પ્રાણીવિદોનું માનવું હતું કે નામ આપવાથી તેમના પર થતાં અભ્યાસમાં લાગણી પ્રધાન બાબત બની જાય છે તેનાથી અભ્યાસમાં મર્યાદા આવે છે અને જ્યારે તેમણે ચિમ્પાન્ઝીસની ‘પર્સનાલિટી’ હોય છે અને તેના વિશે વાત કરવાનું આરંભ્યું ત્યારે પણ તેમનો વિરોધ થયો. આ સિવાય તેમણે ચિમ્પાન્ઝીસને આક્રમક ગણાવ્યાં હતાં તેનો પણ અન્ય અભ્યાસીએ ઇનકાર કરીને તેમના પર સવાલ ખડા કર્યા છે. તેમના એક પુસ્તકમાં નકલ કરવાનો પણ આરોપ છે. જો કે તે આરોપ તેમણે સ્વીકારીને વિવાદ ઉકેલ્યો છે. જેન ગુડાૅલનું પૂરું જીવન રોમાંચકારી રહ્યું છે અને તે રોમાંચ હવે તે લખાણ અને વક્તવ્ય દ્વારા વહેંચી રહ્યા છે.

Most Popular

To Top