Gujarat

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ તો આવી ગયું, હવે પસંદગીની ફેકલ્ટીમાં પ્રવેશ કઈ રીતે? જાણો..

ગાંધીનગર: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ (Science Result) જાહેર કરાયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા છે. હવે વિવિધ શિક્ષણલક્ષી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશનું કાર્ય શરૂ થશે. ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓ (Student) માટે પ્રવેશ આપવો મોટો પડકાર બન્યો છે. જ્યારે એ ગ્રુપના વિદ્યાર્થીઓને પ્રવેશમાં વધુ સમસ્યા નહીં થાય હાલ તેવું દેખાઈ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 64 હજાર વિદ્યાર્થી પાસ થયા છે, જેની સામે મેડિકલ, પેરામેડિકલ અને બીએસસીની કુલ બેઠકોનો આંકડો 80 હજાર સુધી પહોંચે છે. પ્રવેશ બાબતે સૌથી વધારે સ્પર્ધા બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે માનવામાં આવી રહી છે. બીજી તરફ કોરોના કાળને કારણે કેટલાક વિદ્યાર્થીઓ હાલ ઓફલાઈન એજ્યુકેશન માટે પ્રવેશ (Admission) લેવા તૈયાર ન હોય તેવી સ્થિતિ પણ બની શકે છે.

રાજ્યમાં એ ગ્રૂપના 43 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે હાલ ડિગ્રી એન્જિનિયરિંગની 65 હજાર બેઠકો ઉપલબ્ધ છે. તેવામાં પ્રવેશ બાબતે સૌથી વધારે સ્પર્ધા બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે માનવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહ પછી મેડિકલ, પેરામેડિકલ અને B.SC માં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. ગત વર્ષના પ્રવેશના આંકડા પ્રમાણે એન્જિનિયરિંગની 64 હજાર બેઠક છે જેથી પ્રવેશ એ ગ્રુપના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઈ જાય તો પણ બેઠકો વધવાની શક્યતા છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને પેરામેડિકલની 38391 બેઠક છે. જે પૈકી એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી, બીએસસી નર્સિંગ ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે. જોકે એ ગ્રુપના કેટલાક વિદ્યાર્થીઓ B.Sc.માં અભ્યાસની રુચિ દાખવતા હોય છે. જેથી સીટોનો પ્રશ્ન લગભગ નહીંવત હોય તેવું હાલ લાગી રહ્યું છે.

રાજ્યમાં પાછલાં કેટલાંક વર્ષોમાં ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણ પણ વધ્યું છે, જેમાં પણ B.Sc.ના સહિત બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વિવિધ કોર્સ ચાલે છે. રાજ્યની મુખ્ય સરકારી યુનિવર્સિટીઓમાં ધોરણ 12 પછી B.Sc. માટે 47 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ છે, જેમાં મોટા ભાગની યુનિવર્સિટીઓએ જરૂર પડે તો બેઠકોની સંખ્યા વધારવાની તૈયારી પણ દર્શાવી છે. મેડિકલના તમામ કોર્સમાં NEET ની પરીક્ષાના આધારે જ પરિણામ અપાય છે 12 સપ્ટેમ્બરે યોજાવાની છે. જ્યારે પેરામેડિકલની પરીક્ષા ધોરણ 12 બોર્ડ અને ગુજકેટની પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ અપાશે. બીએસસીમાં ધોરણ 12ના પરિણામ અપાય છે.

Most Popular

To Top