Madhya Gujarat

JEE અને NEETની તૈયારીમાં પરિણામ ઘટ્યું

આણંદ: આણંદ સહિત રાજ્યભરમાં ધો.12 સાયન્સનું પરિણામ ખૂબ જ નીચું આવ્યું છે. જેને લઇ શિક્ષણ નિષ્ણાંતોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે વાલીઓમાં રિતસર ચિંતા જોવા મળી રહી છે. જોકે, તેના કારણ અંગે મનોમંથન ચાલી રહ્યાં છે. જેમાં આણંદની નોલેજ હાઈસ્કૂલના ડિરેક્ટર કમલેશ રોહિતના સંશોધન દરમિયાન ચોંકાવનારી વિગત બહાર આવી છે. ખાસ કરીને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને ફક્ત JEE અને NEETની તૈયારીમાં જ સમય આપવાનું દબાણ કરતાં પારંપારિક અભ્યાસ બગડ્યો હોવાનું બહાર આવ્યું છે.

આણંદના નોલેજ ગ્રુપના ડિરેક્ટર કમલેશ રોહિતે જણાવ્યું હતું કે, ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા કેટલીક અગત્યની બાબતો જાણવા મળી છે. જેમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઝડપથી જાહેર કરવામાં આવેલું પરિણામ હતું. તેમાં પણ છેલ્લા 10 વર્ષનું સૌથી ઓછામાં ઓછું પરિણામ આવ્યું છે. રાજ્યના 1,10,042 ઉપસ્થિત ઉમેદવારો પૈકી 38,063 નપાસ થયાં છે. તેમાં પણ એ- ગ્રુપ એટલે કે મેથેમેટિક્સ ગ્રુપમાં ઉપસ્થિત 40,352 પૈકી 11,217 વિદ્યાર્થીઓ નપાસ થયાં છે. તેવી જ રીતે બી ગ્રુપમાં બાયોલોજીમાં ઉપસ્થિત 69,820 પૈકી 26,834 વિદ્યાર્થીઓ નપાસ થયાં હતાં. રાજ્યમાં પ્રથમ વખત એવું બન્યુ છે કે, એ ગ્રુપ કરતાં બી ગ્રુપનું પરિણામ 10.56 ટકા જેટલું ઓછું આવ્યું છે.

આ ઓછા પરિણામ અંગે કમલેશ રોહિતે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અને વાલીઓ ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમથી વિમુખ થઈ રહ્યા છે. દેખાદેખીમાં સ્કૂલોનું મહત્વ ખૂબ ઘટાડી દેવામાં આવ્યું છે. મોટાપાયે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે JEE અને NEET નું માર્કેટિંગ કરવામાં આવે છે. તમામ પોતાના દીકરા દીકરીને ડોક્ટર બનાવાય ઈચ્છે છે અથવા આઈઆઈટીમાં જ પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવે છે. જે તે વિષયનું પાયાનું જ્ઞાન મેળવ્યા સિવાય સીધું જ વિદ્યાર્થીઓને MCQ ની પ્રેક્ટિસ પર ચડાવી દેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીની વિગતવાર મુદ્દાસર લખાણ લખવાની આવડત પર ભયંકર ક્ષતિ પહોંચી છે. હોશિયાર વિદ્યાર્થી પણ ભાષા અને કોમ્પ્યુટર તથા પ્રેક્ટીકલ જેવા વિષયને નજર અંદાજ કરે છે જેથી જેથી આ વર્ષે માત્ર 61 જેટલા વિદ્યાર્થીઓ જ એ1 ગ્રેડ સાથે અને 1523 વિદ્યાર્થીઓ જ એ2 ગ્રેડ એટલે કે 80 ટકા કરતાં વધુ માર્કસ સાથે ઉત્તીર્ણ થયાં છે.

  • ધો.12 સાયન્સના ઓછા પરિણામના તારણો
  • JEE અને NEET જેવી પરીક્ષાઓનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 બંનેનો હોવાથી આ પરીક્ષાઓની ચિંતામાં ધોરણ 12 ના અભ્યાસક્રમ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી.
  • JEE અને NEET પરીક્ષાની તૈયારી કરાવતા નેશનલ કોચિંગ ઇન્સ્ટિટયૂટ અને કેટલાક લોકલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકો સાથે મળીને ડમી સ્કૂલનું કલ્ચર ઊભું કર્યું છે, આ વિદ્યાર્થી શાળાએ જતો જ નથી અને તેને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે.
  • પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીને પાયાથી તૈયારી કરાવવાના બદલે મોટા મોટા સપના બતાવી મસમોટી ફીઓ વસૂલીને આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પરિણામ બાદ છૂટી પડે છે અને વિદ્યાર્થી અને વાલી નો ઘાટ બાવાના બેઉ બગડ્યા જેવો થાય છે.
  • જો તમામ વિષયનું પાયાનું જ્ઞાન શાળાકીય સ્તરે યોગ્ય રીતે આપવામાં આવે તો વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ટ્વિસ્ટેડ પ્રશ્નોનો જવાબ આપી કોઈપણ કોમ્પિટીટીવ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરે જ, જે હાલના તબક્કે થતું નથી.
  • JEE અને NEET જેવી પરીક્ષાઓની તૈયારી ક્યારેય બોર્ડના ભોગે ન જ થાય. ધોરણ 12 ની બોર્ડની માર્કશીટ આજીવન અગત્યની છે, એટલી સાદી વાત વિદ્યાર્થીઓ અને વાલીઓ સમજી શકતા નથી.
  • IAS કે IPS તૈયારી કરનારા વિદ્યાર્થી તલાટી કે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પાસ ન કરી શકે એ આશ્ચર્યજનક ન કહેવાય ? એવી જ હાલત ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની થઈ છે.
  • કોમ્પિટીટીવ એક્ઝામની તૈયારી બોર્ડની સાથે હોય તેના ભોગે નહીં, એ ઝડપથી સમજવું જ રહ્યું.
  • તમામ વિદ્યાર્થી ડોક્ટર કે એન્જિનિયર બનવા જ સર્જાયેલ નથી, વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા અન્ય વિષયો પર અને પ્યોર સાયન્સમાં પણ ખૂબ સારી કેરિયર બનાવી શકાય છે, તે બાબત પણ ધ્યાને લેવી જોઈએ.

Most Popular

To Top